- પિતા-પુત્ર જયરાજ અને બેનિક્સના મોત મામલે કોર્ટ કડક, પોલીસ અત્યાચાર સામે કડક સંદેશ
વર્ષ 2020માં સમગ્ર દેશને હચમચાવી દેનારા સાથનકુલમ કસ્ટોડિયલ ડેથ કેસમાં મદુરાઈની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જસ્ટિસ જી. મુથુકુમારે પિતા પી. જયરાજ અને પુત્ર જે. બેનિક્સની હત્યાના ગુનામાં તત્કાલીન ઇન્સ્પેક્ટર એસ. શ્રીધર સહિત કુલ 9 પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી છે.
આ કેસે દેશભરમાં પોલીસ અત્યાચાર અને કસ્ટોડિયલ હિંસાના મુદ્દે ગંભીર ચર્ચા ઉભી કરી હતી. હવે આવેલા આ ચુકાદાને પોલીસ તંત્ર માટે કડક ચેતવણી તરીકે જોવામાં આવી રહ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
19 જૂન, 2020ના રોજ લોકડાઉન દરમિયાન નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી દુકાન ખુલ્લી રાખવાના આરોપમાં પિતા-પુત્ર જયરાજ અને બેનિક્સની પોલીસે અટકાયત કરી હતી.
અટકાયત બાદ બંનેને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ રાત્રિ દરમિયાન બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર, બંને પર અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યા હતા અને તેમને નગ્ન કરી ક્રૂર રીતે પીટવામાં આવ્યા હતા.
આ અત્યાચાર બાદ 22 જૂને બેનિક્સ અને 23 જૂને જયરાજનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.
તપાસ અને કોર્ટની કડક નોંધ
આ કેસમાં મદ્રાસ હાઈકોર્ટએ સુઓમોટો અરજી દાખલ કરી હતી અને બાદમાં તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે સ્થાનિક પોલીસ કર્મચારીઓ તપાસમાં સહકાર આપી રહ્યા નહોતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે એક અભૂતપૂર્વ આદેશ આપતા રેવન્યુ અધિકારીને પોલીસ સ્ટેશનનો કબજો લેવા જણાવ્યું હતું. ભારતીય પોલીસ ઈતિહાસમાં આ પ્રકારનો આદેશ અત્યંત દુર્લભ માનવામાં આવે છે.
‘ન્યાય માટે કડક સજા જરૂરી’
કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે જો હાઈકોર્ટની સતત દેખરેખ ન હોત, તો કદાચ સત્ય બહાર આવી શક્યું ન હોત. પોલીસ વિભાગમાં કડક સંદેશ પહોંચાડવા માટે આજીવન કેદ પૂરતી નથી, તેથી આ કેસમાં ફાંસીની સજા યોગ્ય અને અનિવાર્ય ગણાઈ છે.
આ ચુકાદા સાથે પિતા-પુત્રને અંતે ન્યાય મળ્યો છે અને દેશભરમાં પોલીસ જવાબદારી અંગે એક મજબૂત સંદેશ પહોંચ્યો છે.
આ પણ વાંચો – ટ્રમ્પે અપશબ્દ સાથે આપી ચેતવણી, ઈરાની દૂતાવાસે કહ્યું – ‘અમેરિકા તો પહેલેથી જ પાષાણ યુગમાં પહોંચી ગયું છે’
