- ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર સંપન્ન: $20 અબજનું રોકાણ અને 100% જકાતમુક્ત નિકાસનો માર્ગ મોકળો
નવી દિલ્હી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધોમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. બંને દેશોએ ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement – FTA) પર સહી-સિક્કા કર્યા છે. આ કરાર હેઠળ બંને દેશો એકબીજાને સંપૂર્ણ 100 ટકા જકાતમુક્ત (Duty-Free) નિકાસ કરી શકશે. ખાસ કરીને ભારતના કાપડ, ચામડાના જૂતા, હીરા અને ઝવેરાત જેવા ક્ષેત્રોને આનો સીધો અને મોટો ફાયદો મળશે.
વર્ષના અંત સુધીમાં અમલીકરણ
ભારતીય કેન્દ્રીય મંત્રીમંડળે આ વેપાર સમજૂતીને પહેલેથી જ મંજૂરી આપી દીધી છે. હવે આ કરારને ન્યૂઝીલેન્ડની સંસદની સંમતિની જરૂરિયાત હોવાથી, તે ચાલુ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ રીતે અમલી બનશે તેવી સંભાવના છે. આ સમજૂતી પર ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ સચિવ પિયુષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વેપાર પ્રધાન ટોડ મેકલે દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
રોકાણની મોટી પ્રતિબદ્ધતા
ભારત માટે આ એવું બીજું ટ્રેડ ડીલ છે જેમાં આગામી 15 વર્ષ કે તેથી વધુ સમયગાળામાં 20 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ચાર દેશોના યુરોપીયન બ્લોક (EFTA) તરફથી પણ ભારતને 100 અબજ ડોલરના રોકાણનું વચન મળ્યું છે. આ નવા કરાર બાદ બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વધીને 5 અબજ ડોલર થઈ જવાનો અંદાજ છે.
PM મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનની પ્રતિક્રિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એફટીએ પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આનાથી ખેડૂતો, યુવાનો, મહિલાઓ, MSME, કલાકારો, સ્ટાર્ટઅપ્સ અને સંશોધકોને નોંધપાત્ર ફાયદો થશે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઉમેર્યું કે, $20 અબજનું આ રોકાણ આપણા કૃષિ, ઉત્પાદન અને ટેકનોલોજી ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે.
બીજી તરફ, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લુકસને આને ‘સદીઓમાં એકવાર થતા કરાર’ તરીકે ઓળખાવ્યો છે. તેમણે કહ્યું કે આનાથી ન્યૂઝીલેન્ડના નિકાસકારોને વિશ્વના ત્રીજા નંબરના સૌથી મોટા અર્થતંત્ર અને 1.4 અબજ લોકોના વિશાળ ભારતીય બજારનો સીધો એક્સેસ મળશે.
આ પણ વાંચો – ગાંધીનગર: રાજ્યના વહીવટી તંત્રમાં મોટી હલચલ, 65 જેટલા અધિકારીઓની બદલી અને બઢતીથી સચિવાલય ગુંજ્યું
