- મોદી સરકારના દાવા અને હકીકત વચ્ચે મોટું અંતર: 2 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી અને અર્થવ્યવસ્થા મુદ્દે સરકારને ઘેરી
નવી દિલ્હી: કોંગ્રેસે મોદી સરકારના અત્યાર સુધીના ત્રીજા કાર્યકાળને પણ નિષ્ફળ ગણાવ્યો છે. મોદી સરકાર 3.0 ના ૨ વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો અને તેની વાસ્તવિકતા જનતા સમક્ષ મૂકી છે. કોંગ્રેસે કહ્યું કે છેલ્લા ૧૨ વર્ષોમાં સરકારે મોટી મોટી જાહેરાતો કરી, શાનદાર ભાષણો આપ્યા અને ચર્ચાઓમાં રહ્યા, પરંતુ તેની લોકોના જીવન પર કોઈ જ સકારાત્મક અસર પડી નથી.
કોંગ્રેસે અર્થવ્યવસ્થા, રોજગારી, વિદેશ નીતિ, કૃષિ, MSME, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે, ‘ઉજ્જવલા યોજનામાં મહિલાઓને પહેલા ૧૨ ગેસ સિલિન્ડર આપવાનું વચન આપવામાં આવ્યું હતું. ગયા વર્ષે તેને ઘટાડીને ૯ કરવામાં આવ્યા. હવે મોદી 3.0 ની વર્ષગાંઠના દિવસે તેને વધુ ઘટાડીને ૪ કરી દેવામાં આવ્યા છે. આ મહિલાઓ અને પરિવારો પર વધુ એક મોટો ફટકો છે.’
અર્થવ્યવસ્થાના દાવા હકીકતથી જોજનો દૂર
કોંગ્રેસે કહ્યું છે કે પીએમ મોદીએ દાવો કર્યો હતો કે ભારત ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે અને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. પરંતુ આજે વાસ્તવિકતા એ છે કે અર્થવ્યવસ્થા ૪ ટ્રિલિયન ડોલરથી પણ નીચે છે અને ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને રહી ગયું છે. રૂપિયો ડોલર સામે સતત નબળો પડી રહ્યો છે. વિદેશી રોકાણકારો ભારત છોડી રહ્યા છે અને ભારતીય ઉદ્યોગપતિઓ પણ વિદેશમાં જ રોકાણ કરી રહ્યા છે.
𝐌𝐨𝐝𝐢 𝐆𝐨𝐯𝐭’𝐬 𝐏𝐫𝐚𝐜𝐡𝐚𝐚𝐫🔊: India is rapidly moving towards becoming the world’s third-largest economy.
𝐇𝐢𝐬𝐚𝐚𝐛 👉We were the fourth-largest economy and are now the sixth-largest, and that is because of the weakness of the rupee. It is a verdict on Prime… pic.twitter.com/wV0YdVFD8F
— Congress (@INCIndia) June 9, 2026
‘મોદી સરકારનું પ્રચાર પર વધારે ધ્યાન’
કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર માત્ર પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. દસ્તાવેજમાં અર્થવ્યવસ્થા, રોજગાર, પર્યાવરણ, આબોહવા પરિવર્તન, લઘુમતીઓ, નાગરિક સ્વતંત્રતા અને લોકશાહી જેવા ૧૩ મોટા ક્ષેત્રોમાં વચનો અને વાસ્તવિકતાની તુલના કરવામાં આવી છે. કોંગ્રેસ નેતાઓએ કહ્યું, ‘મોટી મોટી જાહેરાતો થાય છે, પરંતુ સામાન્ય માણસ, ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને નાના વેપારીઓ ભારે પરેશાન છે.’
કોંગ્રેસના મતે- પીએમના દાવા અને વાસ્તવિકતા
મોંઘવારી: પીએમએ કહ્યું હતું કે લોકોને મોંઘવારીથી રાહત મળશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ૨૦૧૪ થી અત્યાર સુધીમાં LPG નો ભાવ ૧૨૩% વધ્યો છે. પેટ્રોલનો ભાવ ૪૪% અને ડીઝલનો ૭૩% વધ્યો છે. દૂધમાં ૭૧% અને કઠોળમાં ૮૪% નો ભાવવધારો થયો છે.
રોજગાર: મોદીએ કહ્યું હતું કે ભારતને વિશ્વમાં રોજગારીનું કેન્દ્ર બનાવીશું, જ્યારે હકીકત એ છે કે ૧૦ માંથી ૪ યુવાનો બેરોજગાર છે. શહેરી વિસ્તારોમાં ૧૮.૪% યુવાનો બેરોજગાર છે.
વેપાર (MSME): MSME ને લઈને અનેક દાવાઓ કરાયા હતા, પરંતુ સચ્ચાઈ એ છે કે ગયા વર્ષે ૪૦ હજાર MSME બંધ થઈ ગયા.
ખેડૂતો: પીએમએ કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરીશું, જ્યારે હકીકત એ છે કે છેલ્લા ૧ વર્ષમાં ૧.૯ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે, એટલે કે સરેરાશ દર કલાકે એક ખેડૂત આત્મહત્યા કરે છે.
ખાતર ઉત્પાદન: ભારત ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર થવાની વાત હતી, પરંતુ સત્ય એ છે કે LNG નું ઉત્પાદન ૨૫% ઘટ્યું છે અને યુરિયાનું ઉત્પાદન પણ મોટા પાયે ઘટ્યું છે.
કોંગ્રેસે આ મુદ્દાઓ પર પણ સરકારને ઘેરી
મહિલા સશક્તિકરણ: ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારત ૧૦૮ માં સ્થાનેથી ગગડીને ૧૩૧ માં સ્થાને પહોંચી ગયું છે.
લોકશાહી: સમગ્ર દેશમાં ૬.૫ કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
રેલવે સુરક્ષા: રેલવેમાં ૩૧ મોટા અકસ્માતો થયા, ૨૨,૪૧૩ લોકોના રેલવે ટ્રેક પર મોત થયા. ‘કવચ’ સિસ્ટમ માત્ર ૨% ટ્રેક પર જ લગાવવામાં આવી છે.
શિક્ષણ: શિક્ષણ ક્ષેત્રે ૮૯ પેપર લીક થયા અને ૪૮ વખત ફરીથી પરીક્ષા લેવી પડી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.
‘૭૫ પાનાંનું રિપોર્ટ કાર્ડ’
મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ ૯ જૂન ૨૦૨૪ ના રોજ શરૂ થયો હતો. બે વર્ષ પૂરા થવા પર સરકાર પોતાની સિદ્ધિઓનો ભારે પ્રચાર કરી રહી છે, જેનો જવાબ કોંગ્રેસે આ દસ્તાવેજ દ્વારા આપ્યો છે. કોંગ્રેસના રિસર્ચ વિભાગના પ્રમુખ રાજીવ ગૌડા અને અમિતાભ દુબેએ પ્રેસ કોન્ફરન્સ કરીને ૭૫ પાનાંનો વિસ્તૃત દસ્તાવેજ બહાર પાડ્યો છે, જેનું નામ ‘Promise versus Reality’ (વચન વિરુદ્ધ વાસ્તવિકતા) છે.
આ દસ્તાવેજ AICC રિસર્ચ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે આ રિપોર્ટ સરકારના ખોટા પ્રચારની સામે નગ્ન વાસ્તવિકતા બહાર લાવે છે. આ રિપોર્ટ કાર્ડ બાદ રાજકીય વર્તુળોમાં આ મુદ્દે ચર્ચા તેજ બની ગઈ છે.
આ પણ વાંચો – હેલ્થ ઇન્શ્યોરન્સ અને હોસ્પિટલો વધવા છતાં ભારત માટે શરમજનક સત્ય: સારવાર વિના મરનારાઓની સંખ્યા બમણી થઈ
