- રેપ પીડિતાઓના ગર્ભપાત માટે કાયદામાં સુધારો કરવા કેન્દ્રને સુપ્રીમનો આદેશ: “બળાત્કારના કિસ્સામાં ગર્ભપાત માટે સમય મર્યાદા ન હોવી જોઈએ”
નવી દિલ્હી: બળાત્કાર પીડિત સગીરાના શરીર પર સ્વાયત્તતા અને ગર્ભપાતના અધિકાર મુદ્દે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ૧૫ વર્ષની રેપ પીડિતાના ૩૦ સપ્તાહના ગર્ભપાતને મંજૂરી આપતા અગાઉના આદેશને એઈમ્સ (AIIMS) દ્વારા ક્યુરેટિવ અરજી મારફતે પડકારવામાં આવતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એઈમ્સની આકરી ઝાટકણી કાઢી છે.
“નાગરિકોની પસંદગીનું સન્માન કરો”
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે એઈમ્સની અરજી ફગાવી દેતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ પર અનિચ્છિત ગર્ભાવસ્થા થોપી શકાય નહીં. કોર્ટે કહ્યું, “આ હજુ એક બાળકી જ છે, જેની અત્યારે અભ્યાસ કરવાની ઉંમર છે. તમે તેને માતા બનાવવા માંગો છો? આ સગીરાએ જે પીડા અને અપમાન સહન કરવા પડશે તેનો વિચાર કરો”.
કાયદામાં સુધારો કરવા કેન્દ્રને આદેશ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે રેપ પીડિતાઓને ૨૦ સપ્તાહથી વધુના અનિચ્છિત ગર્ભને પાડી દેવા માટે કાયદામાં જરૂરી સુધારો કરવામાં આવે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે બળાત્કારના કારણે ગર્ભવતી બનેલી મહિલાઓ માટે ગર્ભપાતની કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએ અને કાયદો બદલાતા સમય સાથે તાલમેલ બેસે તેવો લચીલો હોવો જોઈએ. સાથે જ આવા કેસોની સુનાવણી એક સપ્તાહની અંદર પૂરી થાય તેવી વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું છે.
એઈમ્સની દલીલો અને કોર્ટનું વલણ
એઈમ્સના ડોક્ટરોએ દલીલ કરી હતી કે ૩૦ સપ્તાહનો ગર્ભ હવે જીવન જીવવાની સ્થિતિમાં છે અને ગર્ભપાત કરવાથી સગીરાને ભવિષ્યમાં સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. જોકે, કોર્ટે એઈમ્સને નિર્દેશ આપ્યો છે કે તેઓ સગીરાના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગર્ભ રાખવો કે નહીં તેનો અંતિમ નિર્ણય માત્ર પીડિતા અને તેના પરિવારનો જ હોવો જોઈએ.
આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્થાપિત કર્યું છે કે માતાની શારીરિક અને માનસિક સ્થિતિ કોઈપણ કાયદાકીય ટેકનિકલીટી કરતા સર્વોપરી છે.
