- 91 લાખ મતદારોની બાદબાકી અને વિપક્ષનું વિભાજન: જાણો કેવી રીતે બંગાળમાં મમતાનો ગઢ તૂટ્યો
કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં વર્ષ 2026ની ચૂંટણી એક મોટા ઉલટફેર તરીકે નોંધાઈ છે. આ વખતે ભાજપની મોટી જીત પાછળનું સૌથી મુખ્ય કારણ મુસ્લિમ બહુલ બેઠકો પર મતોનું વિભાજન અને હિન્દુ મતોનું એકત્રીકરણ માનવામાં આવે છે. ખાસ કરીને મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુર જેવા જિલ્લાઓમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની વોટ બેંકમાં મોટું ગાબડું પડ્યું છે.
SIR અને વોટર લિસ્ટની અસર
ચૂંટણી પહેલા વોટર લિસ્ટના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન અંદાજે 91 લાખ જેટલા મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. મુર્શિદાબાદમાં જ 4.55 લાખ નામો દૂર થયા, જેની સીધી અસર TMC ના વોટ શેર પર જોવા મળી છે. વિશ્લેષકોનું માનવું છે કે હજારો મતદારો ઓછા થવાથી ગણિત બદલાઈ ગયું છે.
મુસ્લિમ મતોનું ત્રિપાંખિયું વિભાજન
2021માં જ્યાં મુસ્લિમ સમાજે CAA-NRC ના ડરથી TMC ને એકતરફી વોટ આપ્યા હતા, આ વખતે તે વોટ બેંક કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને હુમાયુ કબીરની ‘આમ જનતા ઉન્નયન પાર્ટી’ (AJUP) વચ્ચે વહેંચાઈ ગઈ. મુર્શિદાબાદની 22 બેઠકોમાંથી ભાજપે 9 બેઠકો જીતીને સૌને ચોંકાવી દીધા છે, જ્યારે 2021માં ભાજપ પાસે માત્ર 2 બેઠકો હતી.
મુખ્ય જિલ્લાઓના આંકડા
મુર્શિદાબાદ: કુલ 22 બેઠકોમાંથી ભાજપે 9 જીતી. TMC 20 બેઠકોથી ઘટીને 9 પર આવી ગઈ.
માલદા: ભાજપે 12 માંથી 6 બેઠકો જીતી.
ઉત્તર દિનાજપુર: ભાજપે 9 માંથી 4 બેઠકો પર કબજો કર્યો.
હિન્દુ મતોનું એકત્રીકરણ (Polarization)
જ્યાં મુસ્લિમ મતો વહેંચાયા, ત્યાં બીજી તરફ હિન્દુ બહુલ બેઠકો પર મતદારો ભાજપના પક્ષમાં મજબૂતીથી એકજૂથ થયા. મુર્શિદાબાદની નવગ્રામ અને કાંદી જેવી બેઠકો, જ્યાં હિન્દુ વસ્તી વધુ છે, ત્યાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. કાંદી બેઠક પર ઓવૈસીની AIMIM ને મળેલા 22 હજારથી વધુ મતોએ પણ મમતા બેનર્જીની મુશ્કેલીમાં વધારો કર્યો.
બંગાળની કુલ વસ્તીમાં આશરે 27 ટકા મુસ્લિમ વસ્તી છે, જે 2011 થી મમતા બેનર્જીની મજબૂત તાકાત રહી છે. પરંતુ આ વખતે દક્ષિણ 24 પરગણા અને બીરભૂમ જેવા જિલ્લાઓમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે, જે દર્શાવે છે કે હવે બંગાળના રાજકારણમાં ‘વોટ બેંક’ ના જૂના સમીકરણો બદલાઈ રહ્યા છે.
આ પણ વાંચો – બંગાળમાં બંધારણીય જંગ : મમતાએ રાજીનામું આપવાનો કર્યો ઇનકાર, શું કાયદો તેમને પદ પર રહેવા દેશે?
