- સરકારી શાળાઓમાં ઘટ્યા ૨.૨૬ કરોડ એડમિશન : ધોરણ ૯ માં ડ્રોપઆઉટ રેટ ૧૧.૫% એ પહોંચ્યો, બેઝિક ગણિતમાં પણ વિદ્યાર્થીઓ નબળા
નીતિ આયોગ દ્વારા ભારતીય શિક્ષણ વ્યવસ્થા અંગે તાજેતરમાં જાહેર કરવામાં આવેલો એક અહેવાલ ભારે ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો છે. ‘સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પોરલ એનાલિસિસ એન્ડ પોલિસી રોડમેપ ફોર ક્વોલિટી એનહાંસમેન્ટ’ શીર્ષક હેઠળ જાહેર થયેલા આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં દેશભરમાંથી આશરે ૯૪,૦૦૦ જેટલી સરકારી શાળાઓ નામશેષ થઈ ગઈ છે. શિક્ષણ જગતમાં ચિંતાની લહેર જગાડતા આ આંકડા સ્પષ્ટ કરે છે કે, ગ્રામીણ ભારતમાં શાળાકીય શિક્ષણ અત્યારે એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.
દરરોજ સરેરાશ ૨૫ સરકારી શાળાઓ બંધ થઈ
અહેવાલના આંકડા દર્શાવે છે કે છેલ્લા એક દાયકામાં ભારતમાં દરરોજ સરેરાશ ૨૫ શાળાઓ બંધ થઈ છે, જેમાં સૌથી મોટો ભોગ સરકારી શાળાઓનો લેવાયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં દેશમાં સરકારી શાળાઓની સંખ્યા ૧૧.૦૭ લાખ હતી, જે વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને ૧૦.૧૩ લાખ થઈ ગઈ છે. આ જ ગાળામાં સરકારી સહાયતા મેળવતી શાળાઓની સંખ્યા પણ ૮૩,૦૦૦થી ઘટીને ૭૯,૦૦૦ થઈ ગઈ છે. આનાથી તદ્દન વિપરીત, ખાનગી શાળાઓમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે ૨.૮૮ લાખથી વધીને ૩.૩૯ લાખ પર પહોંચી ગઈ છે. શાળાઓ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓના કુલ એડમિશન આંકડામાં ૨.૨૬ કરોડ જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.
બાળકોની સંખ્યા ઘટવા પાછળના મુખ્ય કારણો
નીતિ આયોગના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૪-૧૫માં દેશની શાળાઓમાં કુલ ૨.૯૫ કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને ૨૪.૬૯ કરોડ થઈ ગયા છે. આ ઘટાડા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર ગણાવવામાં આવ્યા છે.
ઘટતો પ્રજનન દર: દેશમાં પ્રજનન દર ઘટવાના કારણે શાળાએ જવા યોગ્ય ઉંમરના બાળકોની વસ્તી ઓછી થઈ રહી છે.
શાળાઓનું મર્જર: ઓછી સંખ્યાવાળી શાળાઓને એક કરી દેવાની નીતિ.
ડ્રોપઆઉટ રેટ: ઊંચા ધોરણોમાં બાળકોને શાળામાં ટકાવી રાખવાના પડકારો.
શાળાઓનું વિલીનીકરણ (મર્જર): ફાયદો કે નુકસાન?
સરકાર દ્વારા ઓછી સંખ્યા ધરાવતી આસપાસની શાળાઓને એકબીજા સાથે જોડવા માટે ‘સ્કૂલ કન્સોલિડેશન’ (વિલીનીકરણ)ની નીતિ અપનાવવામાં આવી છે. સરકારનો તર્ક છે કે આનાથી બિલ્ડિંગ અને શિક્ષકો જેવા સંસાધનોનો વધુ સારો ઉપયોગ થઈ શકે છે. પરંતુ સામાજિક કાર્યકરોનો દાવો છે કે આ નીતિના કારણે જ એડમિશન ઘટ્યા છે. ઘરની નજીકની શાળા બંધ થતાં અંતર વધી જવાથી ઘણી છોકરીઓએ અભ્યાસ છોડવો પડ્યો છે. રિપોર્ટ અનુસાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સૌથી મોટા પાયે અંદાજે ૪૦,૦૦૦ શાળાઓ બંધ કે મર્જ કરવામાં આવી છે.
મોટા ધોરણોમાં ‘ડ્રોપઆઉટ’ રેટમાં ચિંતાજનક ઉછાળો
પ્રાથમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓ દ્વારા ભણવાનું છોડી દેવાના ટ્રેન્ડ પર રિપોર્ટમાં ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રાઇમરી ક્લાસ (ધોરણ ૧થી ૫): શાળા છોડવાનો દર માત્ર ૦.૩% છે.
અપર પ્રાઇમરી (ધોરણ ૬થી ૮): આ દર વધીને ૩.૫% થઈ જાય છે.
માધ્યમિક સ્તર (ધોરણ ૯ અને ૧૦): અહીં પહોંચતા જ ડ્રોપઆઉટ રેટ ૧૧.૫%ના જોખમી સ્તરે પહોંચી જાય છે.
ધોરણ ૮માંથી ૯માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનો દર પણ ૯૧.૫૮%થી ઘટીને ૮૬.૬% રહી ગયો છે. પુડુચેરી અને કેરળ જેવા રાજ્યોમાં આ સ્થિતિ ૯૯.૬% સાથે ઉત્તમ છે, પરંતુ બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને પૂર્વોત્તરના રાજ્યોમાં આ સ્થિતિ ઘણી ચિંતાજનક છે.
શિક્ષણની ગુણવત્તા સામે સવાલ: ધોરણ ૯ના વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં પણ નબળા!
શાળાઓ બંધ થવાની સાથે શિક્ષણની ગુણવત્તા પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ધોરણ ૯માં ભણતા ઘણા વિદ્યાર્થીઓ માત્ર બીજગણિત અને ભૂમિતિ જેવા અઘરા વિષયોમાં જ નહીં, પરંતુ ટકાવારી, અપૂર્ણાંક અને ગુણોત્તર જેવી ગણિતની પાયાની બાબતો સમજવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. શરૂઆતના ધોરણોમાં રહી ગયેલી કચાસ આગળના મોટા ધોરણો સુધી સતત ચાલુ રહે છે, જે સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સામે એક મોટો પડકાર છે.
આ પણ વાંચો – સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર: હિંમતનગર સિવિલમાં ૫ બાળકોનાં મોત, આરોગ્ય વિભાગ દોડતું થયું
