ગાંધીનગર : ગુજરાતમાં છેવાડાના અને આદિવાસી વિસ્તારોમાં હજુ પણ આરોગ્ય સેવાઓની ગંભીર તૃટી છે. આ કારણે ગરીબ અને અસહાય દર્દીઓને નકલી અને લાયકાત વગરના ડોક્ટરોના સહારે રહેવું પડે છે. આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતાને કારણે રાજ્યના ગામડાઓ અને પછાત વિસ્તારોમાં નકલી ડોક્ટરોની સંખ્યા વધી રહી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી કુલ 2724 નકલી ડોક્ટરો પકડાયા છે. આમાં સૌથી વધુ કેસ નવસારી જિલ્લામાં નોંધાયા છે, જ્યાં 221 નકલી ડોક્ટરો સામે કાર્યવાહી થઈ છે. અમદાવાદ, અમરેલી, આણંદ, ખેડા અને નર્મદા જેવા જિલ્લાઓમાં પણ આવા કેસો સામે આવ્યા છે.
રાજ્ય સરકારે આ સમસ્યાને ગંભીરતાથી લઈને ‘ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક-2026’ વિધાનસભામાં પસાર કર્યું છે. આ બિલ અનુસાર હવે નાના ક્લિનિકથી માંડીને મોટી હોસ્પિટલો અને લેબોરેટરીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
નવા કાયદાની મુખ્ય જોગવાઈઓ
1. લાયકાત વગરની વ્યક્તિ દર્દીની સારવાર કરી શકશે નહીં.
2. કાયદાનું ઉલ્લંઘન કરનારને રૂપિયા 10 હજારથી 5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે.
3. હોસ્પિટલ અને ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવાથી દર્દીઓને ખાતરી થશે કે તેઓ જ્યાં સારવાર લઈ રહ્યા છે તે સંસ્થા સરકારી માપદંડો અનુસાર ચાલે છે.
આંકડાઓ શું કહે છે?
1. વર્ષ 2021માં 839 નકલી ડોક્ટરો પકડાયા હતા.
2. વર્ષ 2023માં આ આંકડો વધીને 1010 થયો હતો.
3. અત્યાર સુધીમાં 169 ડોક્ટરો પાસે નકલી ડિગ્રી હોવાનું પુરવાર થયું છે.
4. 154 નકલી ડોક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
5. 4 નકલી ડોક્ટરો હજુ પકડાયા નથી.
6. 6 ડોક્ટરો ધરપકડની બીકે દવાખાના બંધ કરીને ફરાર થઈ ગયા છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે રાજ્યમાં હજુ પણ ઘણા ઠેકાણે લાયકાત વગરના ડોક્ટરો દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આ બિલ પાસ થવાથી આવા તત્ત્વો પર અંકુશ આવશે અને દર્દીઓને યોગ્ય સારવાર મળવાની આશા વધશે. આ કાયદો અમલમાં આવ્યા પછી રાજ્યમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરવાની આશા છે. જો કે, કાયદાની અમલવારી કેટલી અસરકારક બને છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો – રિટાયર્ડ સુપ્રીમ કોર્ટ જજની દલીલથી પણ નીરવ મોદીને UK અદાલતમાં ન મળી રાહત
