પ્રતીકાત્મક તસવીર
મુંબઈ/ચંદ્રપુર : વધતા દેવા અને વ્યાજખોરોથી ત્રાસીને મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના એક ડેરી ખેડૂત રોશન કુલેને કંબોડિયામાં પોતાની કિડની વેચવી પડી હતી. આ ઘટનાએ એક મોટી તપાસ શરૂ કરી છે, જેમાં એક ક્રૂર આંતરરાષ્ટ્રીય કિડની રેકેટનો પર્દાફાશ થયો છે.
36 વર્ષીય રોશન કુલે મિંથુર ગામમાં 12 ગાયો સાથે નાનકડો ડેરી ધંધો ચલાવતા હતા. માર્ચ 2021માં તેમની બધી ગાયોને લમ્પી સ્કિન ડિસીઝ થઈ ગઈ. આ અચાનક આફતને કારણે તેઓ દેવામાં ડૂબી ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, ત્યારબાદ જે થયું તેનાથી તેઓને આખરે પોતાની કિડની વિદેશમાં વેચવી પડી.
ગયા અઠવાડિયે મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલાને ગંભીરતાથી લીધો અને પોલીસને ઝડપી તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
વ્યાજખોરોએ ખેડૂતને દેવાદાર બનાવ્યો
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, માર્ચ 2021માં પશુઓની સારવાર પર લગભગ 40,000 રૂપિયા ખર્ચ કર્યા છતાં તેઓ ઠીક ન થયા. વધુ ઈલાજ માટે તેમણે સ્થાનિક સાહુકાર મનીષ ઘાટબંધે પાસેથી 1 લાખ રૂપિયાની લોન લીધી હતી. લોન પર ખૂબ ઊંચો વ્યાજ હતો અને તેને 15 દિવસમાં ચૂકવવાની શરત હતી. કુલે ડેડલાઈનમાં માત્ર 15,000 રૂપિયા જ ચૂકવી શક્યા. જ્યારે તેમણે વધુ સમય માંગ્યો તો ઘાટબંધેએ કથિત રીતે મારપીટ કરી હતી.
કુલેએ ફરિયાદમાં લખ્યું છે કે “તેણે કહ્યું કે આગામી આઠ દિવસમાં મારે તેને બાકીના 85,000 રૂપિયા 20% વ્યાજ અને રોજ 5,000 રૂપિયાની પેનલ્ટી સાથે ચૂકવવા પડશે. તેણે ધમકી પણ આપી કે જો પૈસા નહીં ચૂકવું તો તે મારા ઘરમાંથી કિંમતી સામાન લઈ જશે.”આથી વધુ પરેશાન થઈને કુલેએ અન્ય સાહુકારો પાસેથી પૈસા લીધા. ફરિયાદમાં તેમણે કિશોર બાવનકુલે, લક્ષ્મણ ઉરકુડે, પ્રદીપ બાવનકુલે, સંજય બલ્લારપુરે અને સત્યવાન બોરકરના નામ લીધા છે, જે બ્રહ્મપુરીના રહેવાસી છે. 2021 અને 2022 વચ્ચે તેમણે વધુ પૈસા લીધા, દર વખતે વધુ વ્યાજે. ફરિયાદ અનુસાર, તેમણે આખરે કેટલાક લાખના લોન માટે 48.5 લાખથી વધુ રૂપિયા ચૂકવ્યા. તેમણે જમીન વેચી, સોનું ગીરવે મૂક્યું અને એક ટ્રેક્ટર પણ આપ્યું, પરંતુ માંગણીઓ ચાલુ રહી. ફરિયાદમાં તેમણે લખ્યું છે કે “મને દેવાની ઊંડી ખાઈમાં ધકેલી દેવામાં આવ્યો. મારે મારા પિતાની કિંમતી વસ્તુઓ પણ વેચવી પડી. આખરે મારે કંબોડિયામાં મારી ડાબી કિડની વેચવી પડી.”
કંબોડિયાની સફર અને રેકેટ
જ્યારે બધા વિકલ્પો ખતમ થઈ ગયા ત્યારે કુલેએ ઓનલાઈન સર્ચ કર્યું. આ દરમિયાન તે રામકૃષ્ણ સુનચુના સંપર્કમાં આવ્યા, જેને પોલીસ ઓર્ગન-ટ્રાફિકિંગ નેટવર્કમાં વચેટીયો ગણાવે છે. તપાસમાં સામે આવ્યું કે સોલાપુરના મિકેનિકલ ઈજનેર સુનચુએ કંબોડિયાની ટ્રિપની વ્યવસ્થા કરી. મોહાલીના એક અન્ય એજન્ટ હિમાંશુ ભારદ્વાજે કથિત રીતે કુલેના ટિકિટ બુક કરી હતી. સુનચુએ પણ પોતાની કિડની વેચી હતી. કુલે 14 ઓક્ટોબર 2024ના રોજ નોમ પેન્હ જઈને પ્રીહ કેટ મીલિયા હોસ્પિટલમાં પોતાની કિડની વેચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને આશરે 8 લાખ રૂપિયા મળ્યા. સર્જરી પછી તરત જ કુલે ભારત પરત ફર્યા. પરંતુ તેમની આર્થિક તંગી ચાલુ રહી.
બચાવ અને FIR
જુલાઈ 2025માં કુલેએ કોંગ્રેસ MLA અને CLP લીડર વિજય વડેટ્ટીવારનો સંપર્ક કર્યો અને મદદ માંગી. વડેટ્ટીવારની ટીમે કન્ફર્મ કર્યું કે તેમણે કુલેને ભારત પરત લાવવામાં મદદ કરી. વડેટ્ટીવારે ગયા અઠવાડિયે વિધાનસભામાં જણાવ્યું કે “કુલે વિયેતનામમાં એક કોલ સેન્ટરમાં કામ કરતા હતા અને ત્યાં તેમના પર હુમલો થયો અને તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવાયો.”તેમણે વધુ કહ્યું કે વિયેતનામથી પરત ફર્યા પછી કુલેએ અનેક વખત પોલીસનો સંપર્ક કર્યો હતો. આખરે 16 ડિસેમ્બર 2025ના રોજ તેમણે FIR નોંધાવી. પોલીસે BNSના અનેક પ્રોવિઝન હેઠળ છ લોકો પર કેસ કર્યો છે, જેમાં એક્સ્ટોર્શન, ગેરકાયદેસર કેદ, ક્રિમિનલ ઈન્ટિમિડેશન અને કોન્સ્પિરસી સાથે મહારાષ્ટ્ર મની લેન્ડિંગ (રેગ્યુલેશન) એક્ટના પ્રોવિઝન પણ સામેલ છે.
ઓર્ગન-ટ્રાફિકિંગનું મોટું નેટવર્ક
જેમ-જેમ તપાસકર્તાઓએ કુલેની સફરનો પર્દાફાશ કર્યો તેમ-તેમ તેમને એજન્ટો, હોસ્પિટલ અને ડોક્ટરોના મોટા નેટવર્કનો પત્તો લાગ્યો.
પોલીસે ડિસેમ્બર 2025માં સુનચુ અને ભારદ્વાજને ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ભારદ્વાજે પહેલાં તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં સ્ટાર કિમ્સ હોસ્પિટલમાં પોતાની કિડની વેચી હતી. પોલીસ હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાજરત્નમ ગોવિંદસ્વામીની કથિત ભૂમિકાની પણ તપાસ કરી રહી છે, જે હાલ ફરાર છે.
તપાસમાં દિલ્હીના સર્જન ડૉ. રવિંદરપાલ સિંહની સંડોવણીની પણ શંકા છે, જે કથિત રીતે નેટવર્ક દ્વારા ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે તિરુચિરાપલ્લી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીઓ પાસેથી 55 લાખથી 60 લાખ રૂપિયા લેવામાં આવતા હતા. આ પૈસા કથિત રીતે હોસ્પિટલ, એજન્ટો, ડોક્ટરો અને ડોનર વચ્ચે વહેંચાતા હતા. ચંદ્રપુરના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (SP) મુમ્મકા સુદર્શને કહ્યું કે “આ એક મોટું રેકેટ છે જેની આપણે તપાસ કરી રહ્યા છીએ.”
તપાસમાં કાનૂની અવરોધો
તપાસમાં પ્રક્રિયાગત મુશ્કેલીઓ આવી રહી છે કારણ કે ઓર્ગન-ટ્રાન્સપ્લાન્ટ સાથે જોડાયેલા અપરાધો Transplantation of Human Organs and Tissues Act, 1994 હેઠળ આવે છે, જેમાં ધરપકડ માટે ખાસ પરવાનગી જરૂરી છે.
પોલીસે આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીના સર્જન ડૉ. રવિંદરપાલ સિંહને ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને એન્ટિસિપેટરી બેલ મળી ગઈ. આ મામલાની સુનાવણી હાલ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં ચાલી રહી છે અને સિંહને 11 માર્ચ સુધીની અંતરિમ રાહત મળી છે.
આ દરમિયાન, ગોવિંદસ્વામી જેમણે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચમાંથી ટ્રાન્ઝિટ બેલ મેળવી હતી. કહેવાય છે કે બેલની શરતો પૂર્ણ ન કરવાને કારણે ફરાર થઈ ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને ડોક્ટરો આ મામલામાં મુખ્ય આરોપી છે, જ્યારે સુનચુ અને ભારદ્વાજ હજુ કસ્ટડીમાં છે.
તપાસ એડિશનલ SP ઈશ્વર કટકડેના નેતૃત્વમાં એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે તેમને શંકા છે કે અનેક પીડિતો છે, પરંતુ તેઓ હજુ આગળ આવવાથી ડરી રહ્યા છે.
આ પણ વાંચો – મણિપુરમાં સેનાના જવાન સહિત 20 લોકોને કુકી ગ્રુપે ‘બંધક’ બનાવ્યા : CM ખેમચંદે રિહાઈની અપીલ કરી
