- વિદ્યાર્થીઓના હિતમાં અભિજીત દીપકેનું મેગા કેમ્પેઈન: NEET અને પેપર લીક મુદ્દે દિલ્હીમાં કરશે મોટું પ્રદર્શન
- શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ મોરચો: ‘કોકરોચ જનતા પાર્ટી’એ યુવાનોને 6 જૂને દિલ્હી એરપોર્ટ પર ઉમટી પડવા કરી અપીલ
વ્યંગ્યાત્મક સોશિયલ મીડિયા કેમ્પેઈન ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેએ જાહેરાત કરી છે કે તેઓ 6 જૂને ભારત પરત ફરશે અને દિલ્હીના જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરીને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરશે.
અભિજીત દીપકે હાલમાં અમેરિકામાં છે. તેમણે ત્યાં બોસ્ટન યુનિવર્સિટીમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતના યુવાનો અને ‘કોકરોચ’ (વંદા) ને લઈને આપવામાં આવેલા એક નિવેદન બાદ સોશિયલ મીડિયા કેમ્પેઈન ‘કોકરોચ જનતા પાર્ટી’ની શરૂઆત થઈ હતી. તેના સ્થાપક મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરના અભિજીત દીપકે છે. તેઓ કેટલાક વર્ષો સુધી આમ આદમી પાર્ટી (AAP) ની કમ્યુનિકેશન ટીમમાં કામ કરી ચૂક્યા છે.
અભિજીત દીપકેએ શું જાહેરાત કરી છે?
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર એક વીડિયો જાહેર કર્યો છે. તેમાં તેઓ કહી રહ્યા છે કે તેમણે ભારત પરત ફરવાનો નિર્ણય લીધો છે.
અભિજીતે વીડિયોમાં કહ્યું, “હું મારા દેશ અને મારા ઘરે ભારત પરત ફરી રહ્યો છું, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવા માટે. આટલા દિવસોથી અમે સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવી રહ્યા છીએ કે પેપર લીકના કારણે NEET ના જે બાળકોએ આત્મહત્યા કરી અને લાખો વિદ્યાર્થીઓની મહેનત બરબાદ થઈ છે, તેના માટે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ.”
તેમણે વધુમાં ઉમેર્યું, “આઠ લાખ બાળકોએ અમારી પિટિશન પર સહી કરી છે, કરોડો લોકોએ સોશિયલ મીડિયા પર આ માંગનું સમર્થન કર્યું છે. દેશમાં દિલ્હી, લખનૌ અને જયપુર સહિત ઘણી જગ્યાએ આ અંગે પ્રદર્શનો પણ થઈ રહ્યા છે, પરંતુ તેમ છતાં તેમને કોઈ ફરક પડી રહ્યો નથી. NEET ના 22 લાખ વિદ્યાર્થીઓ, CBSE ના 17 લાખ વિદ્યાર્થીઓ, CUET ના 16 લાખ વિદ્યાર્થીઓ અને SSC GD ના 40 લાખ વિદ્યાર્થીઓ, આવા એક કરોડથી વધુ વિદ્યાર્થીઓ છે જેમની જિંદગી સાથે સિસ્ટમે મજાક કરી છે. આના કારણે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને પરેશાન છે અને આની જવાબદારી કોઈકે તો લેવી જ પડશે.”
અભિજીત દીપકેએ કહ્યું કે આટલી મોટી ભૂલ હોવા છતાં શિક્ષણ મંત્રી રાજીનામું નથી આપતા, તો તેનો અર્થ એ છે કે દેશમાં એકાઉન્ટેબિલિટી (જવાબદેહી) નામની કોઈ વસ્તુ બચી જ નથી. એવું લાગે છે કે સિસ્ટમ જેટલી ઇચ્છે તેટલી ભૂલો કરી શકે છે અને તેના કોઈ પરિણામ નહીં આવે. આવું ક્યાં સુધી ચાલશે? તેથી હવે સમય આવી ગયો છે કે આપણે સૌએ સાથે આવવું પડશે અને ભારતના બંધારણના માર્ગે ચાલીને શાંતિપૂર્ણ રીતે આપણો અવાજ ઉઠાવતા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવી પડશે.
તેમણે અપીલ કરતા કહ્યું, “જો આપણે સાથે મળીને અવાજ ઉઠાવીશું તો તેમણે આપણી વાત માનવી જ પડશે. મેં નિર્ણય લીધો છે કે હું 6 જૂન, શનિવારે સવારે દિલ્હી આવીશ. તમે સૌ મને એરપોર્ટ પર મળો. આપણે સૌ સાથે મળીને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જઈશું, ત્યાં જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટે પરવાનગી માંગીશું.”
અંતમાં તેમણે કહ્યું, “ભારતનું બંધારણ આપણને અધિકાર આપે છે કે આપણે ખોટાની વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવી શકીએ છીએ. તે જ બંધારણ મુજબ અમે અમારો અવાજ ઉઠાવીશું અને હું આશા રાખું છું કે જેટલા પણ ‘કોકરોચ જનતા પાર્ટી’ના સમર્થકો છે અને જેટલા પણ યુવાનો અને વિદ્યાર્થીઓ આ સિસ્ટમથી પરેશાન છે, તેઓ આ પ્રદર્શનમાં જોડાશે. જેમને પણ લાગે છે કે આપણા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ, તે તમામ લોકો આ પ્રદર્શનમાં સામેલ થાય.”
આ પણ વાંચો – ગાંધીનગરમાં ACB નો સપાટો: મુખ્ય વિદ્યુત નિરીક્ષક પાસેથી 2.65 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ
