નવી દિલ્હી/લખનૌ: ઉત્તર પ્રદેશમાં શુક્રવારે (૨૯ મે) રાત્રે ફૂંકાયેલા ભયંકર આંધી-તોફાને ભારે તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં ૨૮ લોકોના કરુણ મોત નીપજ્યા છે. મોટાભાગના લોકો મકાનો ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જવાથી અથવા તો ઉખડી ગયેલા થાંભલા અને વૃક્ષો નીચે દબાઈ જવાથી જીવ ગુમાવી બેઠા છે. ‘ધ ટેલિગ્રાફ’ ના અહેવાલ મુજબ, સહારનપુરના શાકુંભરી દેવી વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગાંડીતૂર બનેલી નદી પાર કરવાના પ્રયાસમાં બે મહિલાઓના ડૂબી જવાથી મોત થયા છે.
પૂર્વ અને મધ્ય જિલ્લાઓમાં સૌથી વધુ અસર
તોફાનની સૌથી વ્યાપક અસર રાજ્યના પૂર્વ અને મધ્ય જિલ્લાઓ પર જોવા મળી છે. અહીં અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાઈ ગયો હતો. આંધી-તોફાન વચ્ચે માત્ર બુંદેલખંડમાં જ ૧૦ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જેમાં હમીરપુર અને બાંદા જિલ્લામાં મકાન પડવાથી ૩-૩ લોકોના, જ્યારે મહોબા તથા ઉરઈ જિલ્લામાં ૨-૨ લોકોના મોત થયા છે.
આ ઉપરાંત પૂર્વ જિલ્લા કૌશાંબીમાં ૪ અને પ્રતાપગઢમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આઝમગઢ, બલિયા અને ભદોહીમાં પણ ૧-૧ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કાનપુર, ચિત્રકૂટ, દેવરિયા અને મહારાજગંજથી પણ લોકોના મોતના અહેવાલો મળ્યા છે.
રેલવે વ્યવહાર ખોરવાયો, મુસાફરો અટવાયા
આ તોફાન દરમિયાન રેલવે નેટવર્કને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. કાનપુર-ઉરઈ રેલખંડ પર જલૌન પાસે રેલવે ભવનની છતના પતરાં ઉડીને ઓવર હેડ ઈલેક્ટ્રિક (OHE) લાઈન પર પડ્યા હતા. જેના કારણે તાર તૂટી ગયા અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો. પરિણામે ઉરઈ વાયા દોડતી ટ્રેનોનું સંચાલન છ કલાક સુધી ઠપ રહ્યું હતું. ગોરખપુરમાં પણ રેલવે ટ્રેક પર વૃક્ષ પડવાથી OHE તાર તૂટી જતા ૧૦ થી વધુ ટ્રેનો અટવાઈ ગઈ હતી.
હવામાન વિભાગના આંકડા અને ચેતવણી
હવામાન વિભાગે શુક્રવારે અયોધ્યામાં ૯૦ મિમી, અલ્હાબાદમાં ૬૧ મિમી, ઉન્નાવમાં ૫૯ મિમી, સિદ્ધાર્થનગરમાં ૫૧ મિમી અને સહારનપુરમાં ૩૨ મિમી વરસાદ નોંધ્યો છે. વિભાગની આગાહી મુજબ હજુ પણ રાજ્યના કેટલાક અલગ-અલગ ભાગોમાં તેજ પવન સાથે તોફાન આવવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મે મહિનાની શરૂઆતમાં પણ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વીજળી પડવા અને ભારે કરાની વૃષ્ટિના કારણે ૧૧૧ લોકોના મોત થયા હતા. તે સમયે દિવાલ અને ઝાડ પડવાની વ્યાપક ઘટનાઓ સામે આવી હતી. રશિયા, UAE અને સિંગાપોર જેવા દેશોના નેતાઓએ પણ તે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તે આપત્તિ પર તાત્કાલિક કોઈ જાહેર નિવેદન આપવામાં આવ્યું નહોતું.
હિમાચલમાં પણ ‘યલો એલર્ટ’
આ દરમિયાન હિમાચલ પ્રદેશના કેટલાક પહાડી ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને કરા પડ્યા છે. જેને પગલે હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારો માટે ‘યલો એલર્ટ’ (Yellow Alert) જારી કર્યું છે. શુક્રવારે સાંજે શિમલા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડતાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું.
આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ
