ભગવાન રામલલાની પાવન નગરી અયોધ્યા આ દિવસોમાં બે વિરોધાભાસી કારણોસર ચર્ચાના કેન્દ્રમાં છે. એક તરફ જ્યાં લાખો શ્રદ્ધાળુઓ અતૂટ આસ્થા સાથે ભવ્ય મંદિરમાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે, તો બીજી તરફ મંદિર પરિસરમાં જ દાનપેટી અને નાણાકીય બાબતોમાં થયેલી કથિત ગેરરીતિની તપાસે વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. આ મામલાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ હવે પોતાનો દાયરો વધાર્યો છે. માત્ર સામાન્ય કર્મચારીઓ જ નહીં, પરંતુ સુરક્ષા અને વહીવટી માળખા સાથે જોડાયેલા જવાબદાર અધિકારીઓની ભૂમિકા પણ હવે ઝીણવટભરી રીતે ખંગાળવામાં આવી રહી છે.
17 વર્ષથી અડીખમ ‘રેડિયો મેન્ટેનન્સ ઓફિસર’ (RMO) પર નજર
શરૂઆતી તપાસમાં રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું. જોકે, હવે તપાસ એજન્સીઓએ પોતાનું ધ્યાન સીસીટીવી (CCTV) અને ટેકનિકલ દેખરેખનું સંચાલન કરતા રેડિયો મેન્ટેનન્સ ઓફિસર (RMO) પર કેન્દ્રિત કર્યું છે.
આ અધિકારી છેલ્લા ૧૭ વર્ષથી કોઈપણ પ્રકારની બદલી વિના માત્ર આ જ પરિસરમાં તહેનાત છે. સરકારી સિસ્ટમમાં આટલા લાંબા સમય સુધી એક જ જગ્યાએ નિમણૂક પાછળ કયા કારણો કે રાજકીય પીઠબળ જવાબદાર છે, તે જાણવા SIT પ્રયાસ કરી રહી છે.
હાલમાં સીસીટીવી કેમેરાની કામગીરી, તેનું બેકઅપ, ડેટા પ્રોટેક્શન અને પેન ડ્રાઈવ જેવા તમામ ડિજિટલ રેકોર્ડ્સ જપ્ત કરીને તેની ફોરેન્સિક અને ટેકનિકલ પડતાલ થઈ રહી છે.
₹10 કરોડનો જંગી ખર્ચ અને અભેદ્ય સુરક્ષા પર સવાલ
અયોધ્યાનું રામ મંદિર દેશના સૌથી સુરક્ષિત ધાર્મિક સ્થળોમાં અગ્રસ્થાને છે. અહીં બહુસ્તરીય સુરક્ષા કવચ અને અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ ગોઠવવામાં આવી છે.
સરકારી આંકડાઓ મુજબ, છેલ્લા માત્ર 11 મહિનામાં જ મંદિરની સુરક્ષા વ્યવસ્થા પાછળ આશરે ₹10 કરોડ જેટલો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે.
સૌથી મોટો સવાલ એ છે કે, આટલી મજબૂત વ્યવસ્થા છતાં દાનપેટી કે ચઢાવામાં ગેરરીતિ કઈ રીતે શક્ય બની?
આ ઉપરાંત, મંદિરમાં VIP પ્રવેશ માટે અપાતા ‘સ્પેશિયલ પાસ’ ની પ્રક્રિયા પણ તપાસના ઘેરામાં છે. શું કોઈએ નિયમો નેવે મૂકીને આ પાસ સિસ્ટમનો પોતાના અંગત ફાયદા માટે દુરુપયોગ કર્યો છે કે કેમ, તેની પણ તપાસ ચાલી રહી છે.
વાયરલ વીડિયો અને 125 લોકોની પૂછપરછ પૂર્ણ
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાનની ગણતરી કરતો એક કથિત વીડિયો વાઇરલ થયો હતો, જેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. જોકે, SIT આ વીડિયોને જ અંતિમ સત્ય માનવાને બદલે તેને કેસની અન્ય કડીઓ સાથે જોડીને જોઈ રહી છે.
SIT દ્વારા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા આશરે 200 લોકોની પૂછપરછ કરવાનું આયોજન કરાયું છે.
અત્યાર સુધીમાં 125 થી વધુ લોકોના નિવેદનો નોંધાઈ ચૂક્યા છે. નિવેદનોમાં જોવા મળતા વિરોધાભાસને દૂર કરવા માટે શંકાસ્પદ કર્મચારીઓને ફરીથી બોલાવીને ક્રોસ-ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ: વહીવટી માળખું અને જવાબદારીઓ
SIT ની ટીમ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે મંદિર ટ્રસ્ટના વહીવટી માળખા અને હોદ્દેદારોની ભૂમિકાની પણ સમીક્ષા કરી રહી છે. ટ્રસ્ટની મુખ્ય સંરચના અને તેમની જવાબદારીઓ નીચે મુજબ છે.
| હોદ્દેદારનું નામ | ટ્રસ્ટમાં પદ | મુખ્ય જવાબદારીઓ |
| મહંત નૃત્યગોપાલ દાસ | અધ્યક્ષ | ટ્રસ્ટની મહત્ત્વની બેઠકો અને કાર્યોમાં મુખ્ય પ્રતિનિધિત્વ કરવું. |
| ચંપતરાય | મહામંત્રી | ઓડિટ સમિતિના અધ્યક્ષ; મંદિરના તમામ પ્રકારના આયોજનોનું સંચાલન જોવું. |
| સ્વામી ગોવિંદદેવ ગિરી | કોષાધ્યક્ષ | ફાઇનાન્સ કમિટીના હેડ; દાન, ભંડોળ અને તમામ નાણાકીય વ્યવહારોનું સંચાલન. |
| નૃપેન્દ્ર મિશ્ર | સભ્ય | મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ; બાંધકામ સંબંધિત કાર્યોની સતત સમીક્ષા કરવી. |
| સ્વામી વિશ્વપ્રસન્નતીર્થ | સભ્ય | ધાર્મિક સમિતિના અધ્યક્ષ; ધાર્મિક વિધિઓ અને બેઠકોમાં ભાગ લેવો. |
| ડૉ. અનિલ કુમાર મિશ્ર | સભ્ય | તમામ પ્રકારના વહીવટી (એડમિનિસ્ટ્રેટિવ) કાર્યોની જવાબદારી સંભાળવી. |
| ગોપાલ રાવ | વિશેષ આમંત્રિત | મંદિર મેનેજમેન્ટ, શ્રદ્ધાળુઓ માટે દર્શન તેમજ આરતી પાસની વ્યવસ્થા જોવી. |
જોકે, તપાસ એજન્સીઓએ હજુ સુધી ટ્રસ્ટના કોઈ વરિષ્ઠ પદાધિકારીની સીધી સંડોવણી અંગે સત્તાવાર ટિપ્પણી કરી નથી. પરંતુ ચાર દિવસની મેરેથોન તપાસ બાદ એ સ્પષ્ટ છે કે આ માત્ર કોઈ નાની ચોરીનો મામલો નથી, પરંતુ સિસ્ટમમાં રહેલી મોટી ખામીઓ અને મિલીભગત તરફ ઈશારો કરે છે.
આ પણ વાંચો – AMC કર્મચારીઓનું પલાયન યથાવત્: કામના અસહ્ય દબાણ અને સરકારી પ્રેસરથી કંટાળી વધુ 20 કર્મીઓએ આપ્યા રાજીનામા
