લખનઉ : ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં સુરત અને રાજકોટની યાદ અપાવે તેવી એક અત્યંત દર્દનાક દુર્ઘટના સર્જાઈ છે. લખનઉના વ્યસ્ત એવા અલીગંજ વિસ્તારમાં આવેલા ઉષા મહેતા માર્ગ પરની ત્રણ માળની કોમર્શિયલ ઈમારતમાં ભયાનક આગ લાગતા ૧૫ નિર્દોષ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૪ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર તમામ યુવાનોની ઉંમર ૨૦ થી ૨૫ વર્ષની આસપાસ હોવાથી પીડિત પરિવારો પર આભ તૂટી પડ્યું છે.
એનિમેશન ક્લાસમાં લાગી આગ, બચવાના તમામ રસ્તાઓ હતા બંધ
અલીગંજ વિસ્તાર એ કોચિંગ સેન્ટર્સનું હબ ગણાય છે. આગ લાગી તે ત્રણ માળની ઈમારતમાં એનિમેશન કોચિંગ સેન્ટર ચાલતું હતું. વર્કિંગ ડે હોવાથી સેન્ટરમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા હાજર હતી.
કેવી રીતે લાગી આગ?: પ્રાથમિક અટકળો મુજબ એસી (AC) માં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી.
અજાણ વિદ્યાર્થીઓ: આગ જ્યારે વિકરાળ બની ત્યારે જ ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓને તેની જાણ થઈ હતી, ત્યાં સુધીમાં આખું બિલ્ડિંગ ધુમાડાના ગોટેગોટાથી ઘેરાઈ ચૂક્યું હતું.
બંધ દરવાજાએ લીધા જીવ
બિલ્ડિંગ ચારેબાજુથી પેક હોવાથી બહાર નીકળવાનો કોઈ વિકલ્પ નહોતો. જીવ બચાવવા માટે કેટલાક વિદ્યાર્થીઓ બાથરૂમમાં ભરાઈ ગયા હતા, તો કેટલાકે ટેરેસ તરફ દોટ મૂકી હતી. પરંતુ સૌથી મોટી બેદરકારી એ હતી કે ટેરેસ પર જવાની સીડીના દરવાજે તાળું મારેલું હતું, જેના કારણે તેઓ બહાર ન જઈ શક્યા અને આગની જ્વાળાઓમાં હોમાઈ ગયા. કેટલાક યુવાનોએ બારીમાંથી કૂદવાનો પ્રયાસ પણ કર્યો હતો.
બિલ્ડિંગમાં ગેમઝોન અને પેટ ક્લિનિક પણ હતા
આ ઈમારતમાં માત્ર કોચિંગ ક્લાસ જ નહીં, પરંતુ સૌથી ઉપરના માળે ગેમ ઝોન અને સૌથી નીચે પેટ ક્લિનિક (પશુઓનું દવાખાનું) પણ ચાલતું હતું. રિપોર્ટ્સ મુજબ આ દુર્ઘટનામાં ક્લિનિકમાં રહેલા કેટલાક પ્રાણીઓનાં પણ મોત થયા છે. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના ૧૪ થી વધુ વાહનો કામે લગાડવા પડ્યા હતા અને મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું.
સીએમ યોગીએ પ્રવાસ ટૂંકાવ્યો, તપાસના આદેશ
આ ગોઝારી ઘટના સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલીગઢના પ્રવાસે હતા. ઘટનાની ગંભીરતા જોતા તેઓ પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક લખનઉ પહોંચ્યા હતા અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સીએમ યોગીએ પીડિત પરિવારોને સાંત્વના આપતા આ સમગ્ર અગ્નિકાંડની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
વળતરની જાહેરાત
દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સપાના વડા અખિલેશ યાદવે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
કેન્દ્ર સરકાર: પીએમ રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને રૂ. ૨ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે.
યુપી સરકાર: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્ય સરકારના ફંડમાંથી મૃતકોના પરિવારજનોને રૂ. ૫ લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની વધારાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
