- ગાંધીનગરમાં વહીવટી સર્જરી: 5 સંયુક્ત સચિવો અને 39 ઉપ સચિવોને બઢતીની ભેટ, અનેક વિભાગોના અધિકારીઓ બદલાયા
ગાંધીનગર: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે 5 સંયુક્ત સચિવોને અધિક સચિવ તરીકે અને 39 ઉપ સચિવોને નાયબ સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, 21 જેટલા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીઓના આદેશ પણ જારી કરાયા છે.
5 વરિષ્ઠ સંયુક્ત સચિવોને અધિક સચિવ તરીકે પ્રમોશન
સરકારની નવી અધિસૂચના મુજબ, સચિવાલય સેવાના 5 અનુભવી સંયુક્ત સચિવોને અધિક સચિવ વર્ગ-1 (પે મેટ્રીક્સ લેવલ-13A) માં હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.
આર. એચ. વસાવા અને એમ. ડી. શાહને આદિજાતિ વિકાસ વિભાગમાં જ અધિક સચિવ તરીકે જવાબદારી સોંપાઈ છે. જ્યારે એ. એચ. મનસુરીની નાણા વિભાગમાં આર. જી. ભટ્ટ ની માર્ગ અને મકાન વિભાગની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ એમ. એન. મોદી ની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અધિક સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
39 ઉપ સચિવોને નાયબ સચિવ તરીકે બઢતી
વહીવટી માળખામાં નીચેના સ્તરે પણ મહત્વના ફેરફાર કરતા, સચિવાલય સેવાના 39 જેટલા ઉપ સચિવોને નાયબ સચિવ તરીકે હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. આ તમામ અધિકારીઓને બઢતી સાથે નવી જગ્યાએ તાત્કાલિક અસરથી હાજર થવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આ મોટા પાયે કરાયેલી બઢતીથી સચિવાલયના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી મહત્વની જગ્યાઓ ભરાશે.
21 અધિકારીઓની સામુહિક આંતરિક બદલી
બઢતીની સાથે 21 જેટલા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલીના આદેશો પણ અપાયા છે. જેમાં ગૃહ વિભાગ, નર્મદા, જળસંપત્તિ, કલ્પસર અને માર્ગ-મકાન જેવા મહત્વના વિભાગોનો સમાવેશ થાય છે. આ બદલીઓ દ્વારા સરકાર પ્રજાલક્ષી કામોમાં વધુ ગતિ લાવવા માંગે છે.
વહીવટી અસરો અને અમલીકરણ
સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા દ્વારા જારી કરાયેલા આ આદેશો મુજબ, જે અધિકારીઓની બદલી કે બઢતી થઈ છે, તેમણે પોતાની નવી જગ્યાનો ચાર્જ તાત્કાલિક સંભાળવાનો રહેશે. આ અધિકારીઓ ચાર્જ સંભાળશે તે તારીખથી તેમની જગ્યાઓ અપગ્રેડ થયેલી ગણાશે. સચિવાલયમાં એકસાથે 60 થી વધુ અધિકારીઓના કાર્યભારમાં થયેલા આ ફેરફારને કારણે વહીવટી તંત્રમાં નવી ઊર્જા જોવા મળી રહી છે.
આ પણ વાંચો – શું 73 લાખ રદ થયેલા નામો બંગાળનું પરિણામ બદલશે? બીજા તબક્કા પહેલા નવો ડેટા સામે આવતા રાજકીય ગરમાવો
