પશ્ચિમ બંગાળ ચૂંટણી: પ્રથમ તબક્કાના રેકોર્ડબ્રેક મતદાન બાદ બીજા તબક્કા માટે રાજકીય પક્ષોની આરપારની લડાઈ
કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા રેકોર્ડતોડ મતદાન બાદ હવે સત્તાના દાવેદારોએ બીજા તબક્કા માટે પૂરેપૂરી તાકાત ઝોંકી દીધી છે. ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળ્યો છે, તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીએ પણ આક્રમક તેવર અપનાવ્યા છે.
જીતના દાવા અને આંકડાકીય જંગ
પ્રથમ તબક્કાની 152 બેઠકોના મતદાન બાદ ભાજપ અત્યંત ઉત્સાહમાં છે અને 110 થી વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. નોંધનીય છે કે 2021 માં ભાજપ આ બેઠકોમાંથી માત્ર 59 જીતી શક્યું હતું. સામા પક્ષે તૃણમૂલ કોંગ્રેસ પણ પાછળ નથી, તેમણે આ વખતે 125 થી 135 બેઠકો પર વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વળી, નંદીગ્રામ અને ભવાનીપુર બેઠકોને લઈને પણ શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે. અભિષેક બેનર્જીનો દાવો છે કે શુભેન્દુ અધિકારી આ વખતે નંદીગ્રામ હારશે, જ્યારે શુભેન્દુએ મમતા બેનર્જીને ભવાનીપુરમાં હરાવવાનો પડકાર ફેંક્યો છે.
મહિલા મતોનું ગણિત: ‘લક્ષ્મી ભંડાર’ કે ‘આર.જી. કર’ કાંડ?
ચૂંટણી પંચના આંકડા મુજબ, આ વખતે મહિલાઓએ પુરુષો કરતા 2% વધુ મતદાન કર્યું છે. પુરુષોનું મતદાન 91% રહ્યું છે જ્યારે મહિલાઓનું 93% જેવું ઊંચું મતદાન નોંધાયું છે. હવે સવાલ એ છે કે આ મતદાન મમતા સરકારની ‘લક્ષ્મી ભંડાર’ યોજનાના સમર્થનમાં છે કે પછી આર.જી. કર મેડિકલ કોલેજ કાંડ સામેના રોષમાં?
TMC નેતાઓનું માનવું છે કે મહિલાઓ હંમેશા મમતા સાથે રહી છે અને આર.જી. કરની ઘટના સામેનો વિરોધ સરકાર વિરોધી મતોમાં પરિવર્તિત નહીં થાય. જ્યારે વિપક્ષ માને છે કે મહિલા સુરક્ષાના મુદ્દે મમતા સરકાર સામે છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
મતદાર યાદીમાંથી રદ થયેલા નામોનો પેચ
ચૂંટણી પંચના એક ચોંકાવનારા ડેટા મુજબ, બીજા તબક્કાની 142 બેઠકો પર અંદાજે 73 લાખ જેટલા નામો મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. વિશ્લેષકોના મતે, આટલી મોટી સંખ્યામાં રદ થયેલા નામો અનેક બેઠકો પર ચૂંટણીના સમીકરણો બગાડી શકે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં તૃણમૂલ કોંગ્રેસ મજબૂત માનવામાં આવે છે. આ ડેટા બહાર આવતા રાજકીય ગરમાવો વધ્યો છે. આ ડેટાના સામે આવ્યા પછી ઈસી અને બીજેપી પર નિશાન સાંધવામાં આવી રહ્યો છે.
એજન્સીઓની સક્રિયતા અને રાજકીય દબાણ
બીજા તબક્કાના મતદાન પહેલા રાજ્યમાં કેન્દ્રીય એજન્સીઓ (ED) ફરી સક્રિય થઈ છે. ઉત્તર 24 પરગણા જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જોકે, હાઈકોર્ટે મમતા સરકારના બે મંત્રીઓને ચૂંટણી સુધી પૂછપરછમાં રાહત આપી છે, જે તૃણમૂલ માટે મોટી રાહત સમાન છે.
હાલમાં અમિત શાહ 27 એપ્રિલ સુધી બંગાળમાં રોડ-શો અને રેલીઓ કરી રહ્યા છે, જ્યારે પીએમ મોદી સિક્કિમથી બંગાળના મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે. હવે જોવાનું એ રહેશે કે 29 એપ્રિલે બીજા તબક્કાના મતદાનમાં બંગાળની જનતા કોના પક્ષમાં પોતાનો જનાદેશ આપે છે.
આ પણ વાંચો – સુરતમાં ‘દ્રશ્યમ’ સ્ટાઈલ હત્યા : પતિએ પત્નીને પતાવી લાશને પેટીમાં ચણી દીધી, પછી પુત્રના ફોનથી ચિઠ્ઠી મોકલી કબૂલાત કરી
