- બેન્કોની મનમાની પર રોક: હવે ઓટોમેટિક સિસ્ટમ નક્કી કરશે કોની લોન ફસાઈ, માનવીય દખલગીરી બંધ
મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ દેશની બેન્કિંગ સિસ્ટમને વધુ કડક અને ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ બનાવવાની દિશામાં મોટું ડગલું ભર્યું છે. RBIના નવા પરિપત્ર મુજબ, હવે જો કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસે પૈસા હોવા છતાં જાણીજોઈને લોનના હપ્તા નહીં ભરે, તો તેને માત્ર 6 મહિનાની અંદર જ ‘વિલફૂલ ડિફોલ્ટર’ (જાણીજોઈને નાણાં ન ચૂકવનાર) જાહેર કરી દેવામાં આવશે. આ નવા નિયમો 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે.
નવા નિયમોની મુખ્ય અસરો
1. એક લોન ફસાશે તો તમામ એકાઉન્ટ સ્થગિત: નવી જોગવાઈ મુજબ, જો કોઈ ગ્રાહકે એક કરતા વધુ જગ્યાએથી લોન લીધી હોય અને તે માત્ર એક જ લોનમાં ડિફોલ્ટર બનશે, તો પણ તેને તમામ લોન ખાતામાં ડિફોલ્ટર ગણી લેવાશે. એટલું જ નહીં, આવા કિસ્સામાં તેના તમામ બેન્ક એકાઉન્ટ સ્થગિત (ફ્રીઝ) કરી દેવામાં આવશે.
2. નુકસાનની પહેલેથી તૈયારી (ECL સિસ્ટમ)
અત્યાર સુધી બેન્કો લોન ફસાઈ ગયા પછી તેની જોગવાઈ (Provisioning) કરતી હતી. પરંતુ હવે ‘એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ’ (ECL) સિસ્ટમ અમલમાં આવશે. આનો અર્થ એ છે કે બેન્કે લોન આપતી વખતે જ તેના પર કેટલું જોખમ છે તે વિચારીને નફામાંથી અમુક રકમ અગાઉથી અલગ રાખવી પડશે. આનાથી બેન્કોના નફા પર ટૂંકા ગાળા માટે અસર પડી શકે છે, પરંતુ બેન્કિંગ સિસ્ટમ વધુ સુરક્ષિત બનશે.
3. માનવીય દખલગીરી વગર ઓટોમેટિક પ્રોસેસ
ઘણીવાર બેન્ક અધિકારીઓની મિલીભગતથી મોટા લોન લેનારાઓ ડિફોલ્ટ થવા છતાં બચી જતા હતા. હવે RBI એ આદેશ આપ્યો છે કે તમામ કોમર્શિયલ બેન્કોએ ‘ઓટોમેટેડ સિસ્ટમ’ દાખલ કરવી પડશે. આ સિસ્ટમમાં માણસોની દખલ વગર ઓટોમેટિક રીતે લોન લેનારના પેમેન્ટ પર નજર રાખવામાં આવશે અને સમય મર્યાદા પૂરી થતા જ તેને NPA જાહેર કરી દેવાશે.
4. લોનનું વર્ગીકરણ: બેન્કોએ હવે લોનને ત્રણ કેટેગરીમાં વહેંચવી પડશે
કેટેગરી 1: જેમાં જોખમ સૌથી ઓછું હોય.
કેટેગરી 2: જેમાં ધિરાણ સામે વધુ જોખમ દેખાતું હોય.
કેટેગરી 3: જે લોન વર્તમાન ધોરણ મુજબ NPA (ફસાયેલી મૂડી) બની ગઈ હોય.
જોકે, હપ્તો ન ભરાય અને લોન NPA થાય તે માટેનો 90 દિવસનો જૂનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. ભારતની બેન્કો વૈશ્વિક ધોરણોની હરોળમાં આવે તે હેતુથી આ કડક પગલાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો – લોકશાહીનો અર્થ માત્ર બહુમતી નહીં, પરંતુ બહુવિધતા છે
