અયોધ્યા શ્રી રામ મંદિરમાં દાનચોરી અને ગેરરીતિનો મુદ્દો સમગ્ર દેશમાં ભારે ચર્ચાનો વિષય બની રહ્યો છે, ત્યાં જ હવે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં પણ દાનચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક તરફ દેશમાં હિન્દુત્વ અને ધર્મના નામે મોટી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ગુજરાતના પવિત્ર યાત્રાધામોમાં ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલું દાન અને દાનપેટીઓ પણ હવે સુરક્ષિત રહી નથી. આ ઘટનાએ યાત્રાધામોની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલિયા નિશાન ઊભા કર્યા છે, જેના પગલે લાખો શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દોષિતો સામે કડક સજાની માંગ ઉઠી છે.
કેવી રીતે સામે આવ્યો દાનચોરીનો સમગ્ર કિસ્સો?
અંબાજી મંદિરમાં ગત એપ્રિલ અને મે મહિનામાં આયોજનબદ્ધ રીતે દાનચોરી કરવામાં આવી હોવાનો પર્દાફાશ થયો હતો. સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસમાં મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર ગત ૨૧ એપ્રિલના રોજ નોટોના બંડલ ચાલાકીથી છુપાવીને ચોરી કરતો કેદ થયો હતો. આ સિલસિલો અટક્યો ન હતો; ૭ મેના રોજ ફરીથી ચિરાગ ઠાકોરે દાનપેટીમાંથી રૂ. ૧.૦૪ લાખનું નોટોનું બંડલ પોતાના ખિસ્સામાં છુપાવ્યું હતું અને બાથરૂમ જવાના બહાને ગણતરી કક્ષમાંથી બહાર નીકળી ગયો હતો. આ ગંભીર મામલે બનાસકાંઠાના અધિક કલેક્ટરની સત્તાવાર ફરિયાદના આધારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી હતી, જોકે હાલ આ આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવીને મુક્ત થઈ ગયા છે, જે ભક્તોની નારાજગીનું મુખ્ય કારણ બન્યું છે.
ભારે વિવાદ બાદ તંત્ર જાગ્યું: ભંડાર કક્ષમાં નવા કડક નિયમો લાગુ
દાન ચોરીની આ શરમજનક ઘટના બાદ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કેટલીક નવી અને હાઇટેક વ્યવસ્થા અમલમાં મુકાઈ છે:
કર્મચારીઓની હકાલપટ્ટી: દાન ગણતરીની પ્રક્રિયામાંથી વર્ગ-૪ અને તમામ આઉટસોર્સિંગ કર્મચારીઓને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવ્યા છે.
હાઇટેક સીસીટીવી: મંદિરના ભંડાર કક્ષ (દાન ગણતરી રૂમ) માં લગભગ ૨૦ જેટલા નવા હાઇટેક સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.
લાઈવ પ્રસારણ: પારદર્શિતા જાળવવા માટે દાન ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું મંદિર પરિસરમાં લગાવવામાં આવેલી વિશાળ એલઇડી સ્ક્રીન પર શ્રદ્ધાળુઓ માટે લાઈવ પ્રસારણ શરૂ કરાયું છે.
કડક મોનિટરિંગ: મંદિરના વહીવટદાર અને મામલતદાર દ્વારા દર અઠવાડિયે રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવે છે.
અન્ય નિયમો: દાન ગણતરીમાં રોકાયેલા કર્મચારીઓ માટે ફરજિયાત હાજરી રજિસ્ટર અને મંજૂરી વગર રાત્રિ રોકાણ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અગાઉ મોહનથાળના પ્રસાદનો પણ થયો હતો મોટો વિવાદ
આ પહેલીવાર નથી જ્યારે અંબાજી મંદિર વિવાદોમાં સપડાયું હોય. અગાઉ એપ્રિલ ૨૦૨૩માં મંદિરમાં વર્ષોથી અપાતો પરંપરાગત ‘મોહનથાળ’ નો પ્રસાદ અચાનક બંધ કરીને ‘ચીક્કી’ આપવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયનો ભક્તો અને હિન્દુ સંગઠનો દ્વારા ભારે વિરોધ કરાયો હતો. દસ દિવસ સુધી ચાલેલા આ વિવાદ બાદ આખરે રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને મંદિરમાં મોહનથાળ તેમજ ચીક્કી એમ બંને પ્રસાદ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો – ઓસ્ટ્રેલિયામાં વડતાલધામ સીડનીની સેવાઓનું સન્માન : ધારાસભ્ય વોરેન કીર્બીએ સંસ્થાને અર્પણ કરી $૧ લાખની કોમ્યુનિટી વાન
