કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચેની લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ભાજપ ચૂંટણી લૂંટવાનો પ્રયાસ કરી રહી છે અને રાજ્યમાં ગુંડાગીરી તથા ‘આતંકવાદ’ ફેલાવી રહી છે.
મમતા બેનર્જીનો આક્રોશ
બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે, “તેઓ ચૂંટણી રિગ (Rig) કરવા માંગે છે. જુઓ, અમારા કાર્યકરોને રાત્રે કેવી રીતે માર મારવામાં આવ્યો છે? આ કેવી ગુંડાગીરી છે?”. તેમણે વધુમાં ઉમેર્યું કે કેન્દ્રીય સુરક્ષા દળો માત્ર ભાજપના કહેવા મુજબ કામ કરી રહ્યા છે અને બહારથી આવેલા ઓબ્ઝર્વર્સ રાજ્યમાં ડરનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે તેમના પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે પરંતુ લોકો મરવા તૈયાર છે પણ મેદાન છોડશે નહીં.
IPS અજય પાલ શર્માની એન્ટ્રીથી તણાવ
ઉત્તર પ્રદેશના ‘સિંઘમ’ તરીકે જાણીતા IPS અધિકારી અજય પાલ શર્માને દક્ષિણ 24 પરગણા જિલ્લાના પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શર્માએ TMC ઉમેદવાર જહાંગીર ખાનના સમર્થકોને મતદારોને ન ધમકાવવા કડક ચેતવણી આપી હતી, જેને ભાજપે નિષ્પક્ષ મતદાન માટેનું પગલું ગણાવ્યું છે, જ્યારે અખિલેશ યાદવ અને TMC એ તેને મતદારોને ડરાવવાનું કાવતરું ગણાવ્યું છે.
ફલતામાં EVM સાથે છેડછાડનો આરોપ
બીજી તરફ, ડાયમંડ હાર્બર લોકસભા હેઠળ આવતા ફલતા વિધાનસભા મતવિસ્તારમાં ભારે હંગામો થયો છે. ભાજપના ઉમેદવાર દેબાંગશુ પાંડા અને ભાજપ નેતા અમિત માલવીયાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે જહાંગીર ખાનના ગઢમાં અનેક બૂથો પર ભાજપ અને CPM ના બટન પર ટેપ ચીપકાવી દેવામાં આવી હતી, જેથી મતદારો વોટ ન આપી શકે. માલવીયાએ તેને ‘ડાયમંડ હાર્બર મોડલ’ ગણાવીને ફરી મતદાનની માંગ કરી છે. જોકે, ચૂંટણી પંચે જણાવ્યું છે કે ફરિયાદ બાદ તપાસ કરતા EVM સામાન્ય રીતે કામ કરી રહ્યા છે, પરંતુ જો ગેરરીતિ સાબિત થશે તો ફરી મતદાન કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કાના રેકોર્ડ મતદાન બાદ આજે બીજા તબક્કામાં 142 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે અને મતોની ગણતરી 4 મેના રોજ થશે.
આ પણ વાંચો – રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે લડત આપતા વિગ્નેશ શિશિર પર છેતરપિંડીનો આરોપ : કરોડોના કૌભાંડમાં નામ ખૂલ્યું
