- ભ્રષ્ટાચાર સામે એ.સી.બી.ની લાલ આંખ: રાજકોટમાં જી.એસ.ટી.નો મામલો થાળે પાડવા 25 લાખ માંગનાર અધિકારી જેલભેગા
- રાજકોટ CGST કચેરીમાં કરોડોનો ભ્રષ્ટાચાર? 20 લાખની લાંચ લેતા સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમાર અને વચેટીયાની ધરપકડ
રાજકોટ: ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં રાજકોટમાં એક મોટી સફળતા મેળવી છે. સી.જી.એસ.ટી. (CGST) કચેરીના એક ઉચ્ચ અધિકારી અને તેમના વતી લાંચના નાણાં સ્વીકારતા ટેક્સ કન્સલ્ટન્ટને ૨૦ લાખ રૂપિયાની માતબર રકમ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
આ કેસની વિગત મુજબ, ફરિયાદી સામે જી.એસ.ટી. ન ભરવા અને ખોટા બિલ બનાવવા બાબતે સી.જી.એસ.ટી. કચેરીમાં એક અરજી થઈ હતી. આ મામલે કાયદેસરની મોટી કાર્યવાહી ન કરવા અને કેસને થાળે પાડવા માટે સી.જી.એસ.ટી. સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધ કુમારે ૨૫ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી સાથેની રકઝક બાદ અંતે ૨૦ લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સી.જી.એસ.ટી., ડીવીઝન-૧, રેન્જ-૫, રાજકોટ ખાતે ફરજ બજાવતા (૧) સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશકુમાર મનબોધ્ધકુમાર તથા (ર) ટેક્ષ કન્સલ્ટન્ટ આકાશ રમેશભાઇ કલોલીયા રૂ. ૨૦ લાખની લાંચ લેતા ઝડપાયા.@sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani @InfoGujarat #ACBGujarat #FightAgainstCorruption pic.twitter.com/9g6dywNpiM
— ACB Gujarat (@ACBGujarat) April 29, 2026
એ.સી.બી.નું સફળ છટકું
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે હિંમત દાખવી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમારે આ લાંચની રકમ સીધી લેવાને બદલે ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલીયાને આપવા માટે સૂચના આપી હતી. એ.સી.બી.ની ટીમે રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલા ક્રીએટીવ કોમ્પ્લેક્ષમાં વ્યૂહાત્મક છટકું ગોઠવ્યું હતું. જેવું આકાશ કલોલીયાએ ફરિયાદી પાસેથી ૨૦ લાખ રૂપિયા સ્વીકાર્યા, કે તરત જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એ.સી.બી.ની ટીમે ત્રાટકીને તેને ઝડપી લીધો હતો.
ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ
આ સફળ ઓપરેશન બાદ એ.સી.બી.એ સુપરિન્ટેન્ડન્ટ મુકેશકુમારની પણ ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. રાજકોટમાં થયેલી આ મોટી કાર્યવાહીને પગલે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.
આ પણ વાંચો – બંગાળ ચૂંટણીમાં ઘમાસાણ : મમતા બેનર્જીનો ભાજપ પર ‘આતંકવાદ’ અને ગેરરીતિનો આરોપ
