તમિલનાડુમાં સરકાર રચનાને લઈને ઊભા થયેલા તાજા સંવિધાનિક વિવાદે દેશની સંસદીય પરંપરા અને રાજ્યપાલની ભૂમિકાને કેન્દ્રમાં મૂકી દીધી છે. TVKના નેતા થલપતિ વિજયને સરકાર બનાવવા માટે આમંત્રણ આપતા પહેલા 118 ધારાસભ્યોના સમર્થનની યાદી રજૂ કરવાની શરત મૂકવામાં આવી હોવાનો મુદ્દો માત્ર રાજકીય વિવાદ નથી, પરંતુ લોકશાહી પ્રક્રિયાની વ્યાખ્યા અને તેની મર્યાદાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
ભારતીય સંસદીય પ્રણાલીમાં બહુમતીનો અર્થ કુલ સભ્યોની સંખ્યાથી નક્કી થતો નથી, પરંતુ હાજર અને મતદાન કરનાર સભ્યોના આધારે નક્કી થાય છે. આ સિદ્ધાંત માત્ર પુસ્તકી નથી, પરંતુ પ્રયોગમાં અનેક વખત સાબિત થયો છે. પી. વી. નરસિંહ રાવની આગેવાનીમાં 1991માં બનેલી કેન્દ્ર સરકાર સ્પષ્ટ બહુમતી વગર હોવા છતાં પૂર્ણ કાર્યકાળ સુધી ચાલી હતી અને તે સંપૂર્ણપણે સંવિધાનિક રીતે માન્ય હતી. રાજ્યોમાં પણ અનેક વખત અલ્પમત સરકારો રચાઈ છે અને વિધાનસભામાં બહુમતી સાબિત કરીને સત્તા સંભાળી છે.
દરેક ધારાસભ્ય પાસે મતદાન સમયે ત્રણ વિકલ્પ હોય છે, સમર્થનમાં મત આપવો, વિરોધમાં મત આપવો અથવા મતદાનથી દૂર રહેવું. abstain કરવાનો આ અધિકાર લોકશાહીનો અગત્યનો ભાગ છે. જો કેટલાક સભ્યો મતદાનમાં ભાગ લેતા નથી તો બહુમતીની ગણતરી માત્ર હાજર અને મતદાન કરનાર સભ્યોના આધારે થાય છે. એટલે 200 સભ્યોના ગૃહમાં જો 180 સભ્યો મત આપે તો બહુમતી માટે 101 નહીં પરંતુ 91 મત પૂરતા થાય છે. રાજ્યપાલ દ્વારા 118 સમર્થન ફરજિયાત ગણાવવું આ મૂળભૂત સંસદીય સિદ્ધાંતને અવગણવા જેવું છે.

રાજ્યપાલની ભૂમિકા સંવિધાનિક પ્રક્રિયાને સુનિશ્ચિત કરવાની છે, રાજકીય પરિણામોને પૂર્વનિર્ધારિત કરવાની નહીં. પરંપરા મુજબ, જ્યારે કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન હોય ત્યારે સૌથી મોટા પક્ષને પ્રથમ તક આપવામાં આવે છે અને તેને વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની તક આપવામાં આવે છે. 2018 કર્ણાટક સરકાર રચના સંકટ દરમિયાન બી. એસ. યેદિયુરપ્પાને પૂર્ણ બહુમતી ન હોવા છતાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અંતિમ નિર્ણય ગૃહમાં થવાનો હતો.
હાલની પરિસ્થિતિમાં TVK સૌથી મોટો પક્ષ છે અને કોઈ અન્ય પક્ષ સરકાર બનાવવા માટે દાવો કરી રહ્યો નથી. આવી સ્થિતિમાં રાજ્યપાલ દ્વારા પૂર્વશરત તરીકે 118 ધારાસભ્યોના સમર્થનની માંગ કરવી સંવિધાનિક પરંપરાઓથી વિપરીત લાગે છે. લોકશાહીમાં અંતિમ પરીક્ષણ વિધાનસભાના પાટલા પર થાય છે, રાજભવનમાં નહીં.
આ મુદ્દો માત્ર એક રાજ્ય કે એક રાજકીય પક્ષનો નથી, પરંતુ સમગ્ર લોકશાહી વ્યવસ્થાની વિશ્વસનીયતા સાથે જોડાયેલો છે. થલપતિ વિજયને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવું અને તેમને બહુમતી સાબિત કરવાની તક આપવી એ સંવિધાનિક ફરજ છે. જો તેઓ બહુમતી સાબિત ન કરી શકે તો સરકાર પોતે જ પડી જશે, પરંતુ તક ન આપવી એ પ્રજાના જનાદેશને નકારવા જેવું છે.
આ પણ વાંચો – અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ પાછળ ₹38 કરોડનો ધુમાડો, જવાબદારી કોની?
