વડતાલ: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલધામ ખાતે ચાર દિવસીય સહજાનંદી બાળ-યુવા શિબિરનું રવિવારે માતૃપિતૃ વંદના સાથે સમાપન કરવામાં આવ્યું હતું. તા. 7 મેથી શરૂ થયેલી આ શિબિર તા. 10 મે સુધી ચાલી હતી, જેમાં અંતિમ દિવસે મધર્સ ડે નિમિત્તે 100થી વધુ માતા-પિતાનું પૂજન કરી વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
પૂર્ણાહુતિ પ્રસંગે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી સહિત સંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શિબિર દ્વારા બાળકોમાં સંસ્કાર, શિસ્ત અને આધ્યાત્મિક મૂલ્યો વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

કાર્યક્રમ દરમિયાન બાળકો શિક્ષાપત્રીના આદેશ મુજબ પોતાના માતા-પિતાના ચરણસ્પર્શ કરી વંદના કરતા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થળ પર ભાવુક વાતાવરણ સર્જાયું હતું. શિબિરમાં ભાગ લેનાર બાળકોને સંગીત અને વક્તૃત્વ ક્ષેત્રે પણ તાલીમ આપવામાં આવી હતી. વિવિધ વિષયો પર બાળકો દ્વારા પ્રભાવશાળી વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.

ખાસ કરીને રાજકોટના આઠ વર્ષીય રુદ્ર શર્માએ એક પાત્ર અભિનય રજૂ કરી ઉપસ્થિત સૌના મન જીતી લીધા હતા. શિબિરના અંતે દરેક બાળકને શ્યામવલ્લભ સ્વામીએ પુષ્પમાળા પહેરાવી અભિનંદન આપ્યા હતા. મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામીએ બાળકોને પ્રોત્સાહિત કરી આગામી ગ્રીષ્મ શિબિરમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું. શિબિરનું
સંચાલન શ્યામવલ્લભ સ્વામી, શાસ્ત્રી નારાયણચરણ સ્વામી, જ્ઞાનપ્રકાશ સ્વામી, કે.પી. સ્વામી, પ્રેમનંદન સ્વામી, કાંતિ ભગત અને માધવ સ્વામી સહિતના કાર્યકર્તાઓએ સંભાળ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ટ્રસ્ટી અલ્પિતભાઈ, નિકિતભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ, અજયભાઈ ડાકોર સહિતની ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી, તેવી માહિતી વડતાલ મંદિર તરફથી આપવામાં આવી હતી.
આ પણ વાંચો – મધ્ય પૂર્વ સંકટ વચ્ચે PM મોદીનો દેશને સંદેશ
