- ઈંધણ બચત, જાહેર પરિવહન અને સ્વદેશી અર્થતંત્ર મજબૂત કરવા માટે નાગરિકોને અપીલ
નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સંભવિત યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી Narendra Modiએ દેશવાસીઓને સંબોધિત કરીને એક વ્યાપક રાષ્ટ્રીય અપીલ કરી છે. વૈશ્વિક અસ્થિરતાના સંભવિત પ્રભાવને ધ્યાનમાં રાખીને તેમણે ઊર્જા બચત, આયાત પર નિર્ભરતા ઘટાડવા અને દેશની આંતરિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સહભાગી બનવા જણાવ્યું છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ઉપયોગ માત્ર જરૂરી કામો માટે જ કરવો જોઈએ. નાના સ્તરે થતી બચત પણ રાષ્ટ્રીય સ્તરે મોટો ફેરફાર લાવી શકે છે. તેમણે નાગરિકોને મેટ્રો, બસ જેવી જાહેર પરિવહન સુવિધાઓનો વધુ ઉપયોગ કરવા અપીલ કરી અને શક્ય હોય ત્યાં સુધી ખાનગી વાહનોનો ઉપયોગ ટાળવા કહ્યું.
સાથે જ કાર પૂલિંગને પ્રોત્સાહન આપતા તેમણે જણાવ્યું કે એક જ દિશામાં જતાં લોકો સાથે મળી મુસાફરી કરે તો ઈંધણ બચત શક્ય બને છે. માલ વહન માટે પણ શક્ય હોય ત્યાં સુધી રેલવેને પ્રાથમિકતા આપવાની સલાહ આપવામાં આવી છે જેથી રોડ ટ્રાફિક અને ખર્ચ બંનેમાં ઘટાડો થાય.
કોરોના સમયની જેમ ‘વર્ક ફ્રોમ હોમ’ મોડલને ફરીથી અપનાવવા અંગે પણ તેમણે સૂચન કર્યું. તેમના મુજબ, આથી અનાવશ્યક અવરજવર ઘટશે અને ઊર્જાની બચત થશે.
પ્રધાનમંત્રીએ આગામી એક વર્ષ સુધી અનાવશ્યક વિદેશ પ્રવાસ ટાળવા અને દેશની અંદર પ્રવાસનને પ્રાથમિકતા આપવા પણ અપીલ કરી. આથી દેશની અંદર આર્થિક પ્રવૃત્તિ વધશે અને વિદેશી ચલણની બચત થશે.
ઊર્જા ક્ષેત્રમાં તેમણે વીજળીનો મર્યાદિત ઉપયોગ કરવા, ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા અને કૃષિ ક્ષેત્રમાં કેમિકલ ખાતરના ઉપયોગમાં ઘટાડો કરીને સૂર્ય ઊર્જા જેવા વિકલ્પોને પ્રોત્સાહન આપવા કહ્યું.
આર્થિક દૃષ્ટિએ તેમણે ચેતવણી આપી કે વૈશ્વિક પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો વિદેશી ચલણના ભંડાર પર દબાણ આવી શકે છે. તેથી આયાતી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરીને સ્વદેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
આર્થિક નિષ્ણાતોના મતે, મધ્ય પૂર્વમાં જો તણાવ વધુ વધે તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજી આવી શકે છે, જેનો સીધો અસર ભારત જેવી આયાત આધારિત અર્થવ્યવસ્થા પર પડશે. આવા સમયમાં પ્રધાનમંત્રીની આ અપીલને સંકટ વ્યવસ્થાપન માટેની આગાહીરૂપ તૈયારી તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો – વડાપ્રધાનની ‘ગોલ્ડ અને ફ્યુઅલ’ બચાવવાની અપીલ: આર્થિક શિસ્તનો આગ્રહ કે આગામી મોટા સંકટના સંકેત?
