- સરકારનો સંદેશ સ્પષ્ટ છે, હવે નાગરિકોની ભાગીદારી અનિવાર્ય બની રહી છે
ભારતની રાજકીય અને આર્થિક ચર્ચાઓમાં હાલમાં એક એવી સ્થિતિ ઊભી થઈ છે, જ્યાં સરકારનો સંદેશ અને સત્તાના વર્તન વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યો છે. એક તરફ નરેન્દ્ર મોદીએ દેશને ચેતવણી આપી છે કે આવનારો સમય સરળ નથી અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોએ પોતાના ખર્ચ અને ઉપભોગ પર નિયંત્રણ લાવવું પડશે. બીજી તરફ, એ જ સમયે વડાપ્રધાન વૈશ્વિક સ્તરે સક્રિય કૂટનીતિક મુલાકાતો કરી રહ્યા છે. આ દ્વંદ્વ માત્ર રાજકીય ચર્ચાનો વિષય નથી, પરંતુ દેશના આર્થિક ભવિષ્ય અને સામૂહિક જવાબદારીની સમજણ સાથે જોડાયેલો છે.
વડાપ્રધાને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે આવનારા સંકટનો સામનો સરકાર એકલી કરી શકશે નહીં. ભારત સરકાર પાસે એટલા સાધનો અને સંસાધનો નથી કે તે વૈશ્વિક આંચકાઓનો એકલવાયો સામનો કરી શકે અને તેની અસર સામાન્ય નાગરિક સુધી પહોંચે નહીં. આ એક અસામાન્ય સ્વીકાર છે, જે રાજ્યની મર્યાદાઓને ખુલ્લેઆમ દર્શાવે છે.
સરકારે સંકેત આપ્યો છે કે કડક પગલાં લેવાઈ શકે છે. સાથે જ નાગરિકોને પણ તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. વિદેશ પ્રવાસ ટાળો, એક વર્ષ સુધી સોનું ન ખરીદો, પેટ્રોલ અને ડીઝલનો લઘુત્તમ ઉપયોગ કરો, શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ અપનાવો. આ માત્ર સલાહો નથી, પરંતુ આવનારી આર્થિક શિસ્તનો એક ભાગ છે.
આંકડાઓ આ ચિંતાને વધુ સ્પષ્ટ બનાવે છે. ભારતમાં દર વર્ષે અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું સોનું આયાત થાય છે. વિદેશ પ્રવાસોમાં આશરે 3 લાખ કરોડ રૂપિયા ખર્ચાઈ જાય છે. આ વર્ષે જ 1.5 લાખ કરોડનું ખાતર આયાત કરવું પડ્યું છે અને લગભગ 10 લાખ કરોડનું કાચું તેલ વિદેશથી લાવવું પડ્યું છે. આ આંકડા દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થા કેટલી હદે વૈશ્વિક સપ્લાય ચેઇન પર નિર્ભર છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવને સ્થિર રાખવા માટે સરકારે અગાઉ સરચાર્જ ઘટાડ્યો હતો. તેના કારણે સરકારને દર મહિને લગભગ 14 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, જ્યારે તેલ કંપનીઓને દરરોજ આશરે 1600 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. દુનિયાના મોટાભાગના દેશોમાં ઈંધણના ભાવ વધી રહ્યા છે, ત્યારે ભારતમાં તેને નિયંત્રિત રાખવાનો પ્રયત્ન પોતે જ એક મોટું આર્થિક દબાણ છે.
આ પરિસ્થિતિ કોરોના જેવી તાત્કાલિક આરોગ્ય કટોકટી નથી, પરંતુ તેનાથી ઓછી ગંભીર પણ નથી. આ એક ધીમે ધીમે ઊભરતું આર્થિક સંકટ છે, જે ઊર્જા, આયાત અને વૈશ્વિક અસ્થિરતાના ત્રિકોણમાં રચાઈ રહ્યું છે. પશ્ચિમ એશિયામાં વધતો તણાવ, ખાસ કરીને ‘હોર્મુઝની સામુદ્રધુની’ (Strait of Hormuz) આસપાસની પરિસ્થિતિ, આ જોખમને વધુ ઊંડું બનાવે છે.
અહીં મહાત્મા ગાંધીના વિચારો ફરી પ્રસ્તુત બને છે. ગાંધીજી કહેતા હતા કે “મારું જીવન જ મારો સંદેશ છે.” આજે આ વાક્ય માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ શાસન માટે પણ એક નૈતિક માપદંડ છે. જો નાગરિકોને સંયમ અપનાવવા કહેવામાં આવે છે, તો સત્તાના આચરણમાં પણ એ જ સંયમ દેખાવો જોઈએ.
પરંતુ આજના સમયની એક વાસ્તવિકતા એ પણ છે કે આંતરરાષ્ટ્રીય કૂટનીતિથી દૂર રહીને દેશ પોતાની સુરક્ષા અને આર્થિક સ્થિરતા જાળવી શકતો નથી. વડાપ્રધાનની વિદેશ મુલાકાતો ઊર્જા સુરક્ષા, રોકાણ અને ટેક્નોલોજી સહકાર માટે અનિવાર્ય હોઈ શકે છે. એટલે આ ચર્ચા “જવું કે ન જવું” પર નહીં, પરંતુ તેના “પરિણામ” પર કેન્દ્રિત થવી જોઈએ.
સરકાર હવે સ્પષ્ટ રીતે કહી રહી છે કે આ સંકટમાં નાગરિકોની ભાગીદારી જરૂરી છે. કોરોના કાળમાં જેમ 140 કરોડ લોકોએ મળીને એક મોટા સંકટનો સામનો કર્યો હતો, તેવી જ સામૂહિક શક્તિની ફરી જરૂરિયાત ઊભી થઈ છે.
જોકે અહીં એક મૂળભૂત પ્રશ્ન ઉભો થાય છે. શું નાગરિકો ત્યાગ કરવા તૈયાર રહેશે ? જો તેમને તેના સ્પષ્ટ પરિણામો ન દેખાયા તો? લોકશાહી માત્ર અપીલો પર નહીં, પરંતુ વિશ્વાસ પર ચાલે છે. જ્યારે વિશ્વાસ પારદર્શિતા તથા જવાબદારીથી જ બને છે. આથી આવનારો સમય માત્ર આર્થિક નહીં, પરંતુ સામાજિક અને નૈતિક પરીક્ષા પણ લેવાનો છે. માનસિક અને આર્થિક રીતે તૈયાર રહેવું હવે એક વ્યક્તિગત પસંદગી નહીં, પરંતુ રાષ્ટ્રીય જરૂરિયાત બની રહી છે. કારણ કે સંકટ ઉંબરે છે અને તેને ટાળવાનો એકમાત્ર રસ્તો એ છે કે દેશ તેને સામૂહિક રીતે ઓળખે, સમજે અને તેનો સામનો કરે. સાથે સરકાર પણ જન સમૂહને આપેલી સલાહને પોતાના વર્તનમાં ઉતારે.
અભિષેક પાંડેય
સંપાદક, ગુજરાત એક્સક્લૂસિવ
