નવી દિલ્હીઃ ભારતના ગૃહ મંત્રાલયે સોમવારે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડીને નાગરિકતા નિયમ, 2009માં મોટો સુધારો કર્યો છે. આ સુધારા અનુસાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવીને નાગરિકતા મેળવવા માંગતા અરજદારો માટે પાસપોર્ટ સંબંધિત માહિતી આપવી હવે ફરજિયાત રહેશે.
શું છે નવો નિયમ?
સરકારી જાહેરનામા પ્રમાણે, નાગરિકતાની અરજી કરતી વખતે અરજદારે એ સ્પષ્ટ જણાવવું પડશે કે તેની પાસે આ ત્રણેય પડોશી દેશોમાંથી કોઈનો માન્ય (Valid) અથવા એક્સપાયર થયેલો પાસપોર્ટ છે કે નહીં. જો અરજદાર પાસે પાસપોર્ટ હશે, તો તેનો નંબર, જારી કર્યાની તારીખ અને સ્થળ, તથા એક્સપાયરી ડેટ જેવી સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત રહેશે.
15 દિવસની સમયમર્યાદા
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, નાગરિકતાની મંજૂરી મળ્યા બાદ 15 દિવસની અંદર અરજદારે આ તમામ દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.
ગેરરીતિ રોકવા સરકારનું પગલું
ગૃહ મંત્રાલયનું સ્પષ્ટ કહેવું છે કે નાગરિકતા મેળવવાની પ્રક્રિયામાં થતી છેતરપિંડી અને ગેરરીતિઓને અટકાવવા માટે જ આ સુધારો કરવામાં આવ્યો છે. આ નવા નિયમથી અરજદારોની ચકાસણી વધુ પારદર્શક અને ચુસ્ત બનશે તેવું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો – નોર્વેની પત્રકારે પૂછ્યું, ‘તમારા વડાપ્રધાન મુશ્કેલ સવાલોના જવાબ ક્યારે આપશે’, ભારતે આપ્યો જવાબ
