ધોલેરા : શ્રી સ્વામિનારાયણ મંદિર-ધોલેરાધામ ખાતે શ્રી મદનમોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે પૂર્ણિમા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને કોઠારી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ‘સદ્વિદ્યા સેવા યજ્ઞ’ અંતર્ગત ભાલ પ્રદેશના અંદાજે 8,000 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય અભિયાન છબીલદાસ ડેવલપર્સ પ્રા. લિ., ધોલેરાના સહયોગથી હાથ ધરાયું હતું. ભાલ પ્રદેશની વિવિધ સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી આ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આશીર્વચન આપતા વડતાલધામના ચેરમેન પૂજ્ય સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન ઉજ્જવળ સમાજના નિર્માણ માટે જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે સદાચાર, ચારિત્ર્ય, રાષ્ટ્રપ્રેમ અને મૂલ્યનિષ્ઠ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણવિદ્ ભરતભાઈ પંડ્યા, આઈએએસ અધિકારી વી. જે. રાજપૂત, કમિશનર (દિવ્યાંગજન), બળવંત જાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પૂજ્ય બાપુ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, હરિચરણદાસજી સ્વામી અને વિજયપ્રકાશ સ્વામી સહિત સંત-મહંતોએ પણ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં ભાલ પ્રદેશની વિવિધ સરકારી શાળાઓના આચાર્યો, શિક્ષકો, 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ, હરિભક્તો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આયોજકોના જણાવ્યા મુજબ ‘સદ્વિદ્યા સેવા યજ્ઞ’નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા વધારવાનો, અભ્યાસ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવાનો અને મૂલ્યઆધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
