- અમરેલીમાં સિંહનો ખૂની ખેલ: લીલીયાના જંગલમાં યુવકને ફાડી ખાધો, સવા મહિનામાં 5 લોકોના મોત
અમરેલી જિલ્લામાં ફરી એકવાર વન્યપ્રાણીના આતંકની કમકમાટીભરી ઘટના સામે આવી છે. લીલીયા તાલુકાના અંટાળીયા નજીક આવેલા જંગલના વીડી વિસ્તારમાં સિંહના હુમલામાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં યુવકો ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા ગયા હોવાની આશંકા સેવાઈ રહી હતી, જોકે ઝડપાયેલા યુવકોએ પોતે રસ્તો ભૂલી ગયા હોવાનો દાવો કર્યો છે. વન વિભાગે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.
લઘુશંકા કરવા ગયેલા યુવક પર ત્રાટક્યો સિંહ
પ્રાપ્ત માહિતી અનુસાર, લીલીયાના અંટાળીયા નજીકના પ્રતિબંધિત વીડી વિસ્તારમાં ત્રણ યુવકો પ્રવેશ્યા હતા. આ સમયે સિંહ બેલડીનો મેટિંગ પિરિયડ ચાલતો હોવાથી ખલેલ પહોંચતા સિંહે યુવકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સોહિલ રફીકભાઈ નામના યુવકને સિંહે ફાડી ખાધો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફોરેસ્ટ વિભાગે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને સાથે રહેલા અન્ય બે યુવકોને અટકાયતમાં લઈને સઘન પૂછપરછ શરૂ કરી છે.
યુવકોનો દાવો: “અમે રસ્તો ભૂલ્યા હતા”
આ ઘટનામાં બચી ગયેલા અને વન વિભાગની અટકાયતમાં રહેલા યશરાજ સિંહ નામના યુવકે એક અલગ જ કહાની જણાવી છે. યશરાજના જણાવ્યા મુજબ:
“હું, સોહિલભાઈ અને રેહાનભાઈ PhonePe કંપનીમાં સ્માર્ટ સ્પીકર ઇન્સ્ટોલ કરવાનું કામ કરીએ છીએ. અમે લીલીયામાં ચાર સ્પીકર લગાવ્યા બાદ લુવારીયા જવા નીકળ્યા હતા, પરંતુ રસ્તો ભૂલા પડી ગયા હતા. આ દરમિયાન સોહિલભાઈ લઘુશંકા કરવા ગયા, ત્યારે જ ત્યાં છુપાઈને બેઠેલા સિંહે તેમના પર અચાનક હુમલો કરી દીધો. બૂમાબૂમ થતાં ચાર ફોરેસ્ટર ત્યાં દોડી આવ્યા હતા.”
જોકે, આ યુવકો ખરેખર રસ્તો ભૂલ્યા હતા કે ગેરકાયદેસર સિંહ દર્શન માટે જંગલમાં ઘૂસ્યા હતા, તે વન વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
અમરેલીમાં સિંહના હુમલાની વણથંભી વણઝાર
અમરેલી જિલ્લામાં છેલ્લા સવા મહિનામાં સિંહ અને માનવ વચ્ચેના ઘર્ષણની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. માત્ર ૪૦ દિવસના ટૂંકા ગાળામાં સિંહના હુમલાની ૭ ઘટનાઓ બની છે, જેમાં ૫ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.
છેલ્લા સવા મહિનામાં સિંહના હુમલાના આંકડા
૧ ઘંટીયાળ (બગસરા) મોત
૨ જૂનાસાવર (સાવરકુંડલા) મોત
૩ કોવાયા (રાજુલા) મોત
૪ ચતુરી (ખાંભા) મોત
૫ અંટાળીયા વીડી વિસ્તાર (લીલીયા) મોત
૬ વડ (રાજુલા) ઈજા
૭ ઠવી (સાવરકુંડલા) ઈજા
વન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને લોકોને જંગલ વિસ્તારમાં ન જવા કડક સૂચના આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો – અમદાવાદ રથયાત્રા 2026: 15 અને 16 જુલાઈએ સમગ્ર રથયાત્રા રૂટ રહેશે ‘નો પાર્કિંગ ઝોન’, પોલીસ કમિશનરનું જાહેરનામું
