- સિસ્ટમનું મૌન અને ડ્રગ્સનો કહેર : ગરીબ પોલીસના ડરે તો અમીર બદનામીની બીકે ડ્રગ્સથી થતા મોત છુપાવવા મજબૂર!
- ડ્રગ્સથી ઉજડતા પરિવારોનું દર્દ : સરકારી આંકડાઓ ખોખલા, સમાજમાં અંદરખાને મોતનો સિલસિલો યથાવત
અભિષેક પાંડેય, અમદાવાદ : ગત રવિવારે (5 જુલાઈ) ગોમતીપુરના ચતુરસિંહ ચોક પાસે ઇન્ડિયન મેડિકલ સ્ટોરના માલિક દ્વારા કફ સિરપના બાકી પૈસાની લેતી-દેતીમાં મઝહર અન્સારી નામના યુવકની સરાજાહેર કરાયેલી હત્યાએ સમગ્ર અમદાવાદને હચમચાવી દીધું. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ડ્રગ્સના આ કાળા કારોબાર અને તેનાથી પ્રભાવિત લોકોમાં આ પહેલું મોત છે?
જોકે, પોલીસના સત્તાવાર રેકોર્ડમાં આ ઘટનાને ડ્રગ્સના કારણે થયેલું અથવા પ્રભાવિત મોત ગણવામાં આવ્યું નથી. તો પછી એવા કેટલાં મોત હશે, જે ડ્રગ્સના કારણે થયા છે અથવા તેનાથી પ્રભાવિત છે, પરંતુ જેનો કોઈ સત્તાવાર હિસાબ જ નથી?
લગભગ એક કરોડની વસ્તી ધરાવતા આ મહાનગરમાં દરરોજ અનેક લોકોના મોત થાય છે અને સેંકડો ગુનાઓ બને છે. આવી સ્થિતિમાં જો નશાના કારણે કોઈનું મૃત્યુ થાય, તો તેના પર સત્તાવાર રીતે કોણ ધ્યાન આપે?
હકીકત એ છે કે શહેરમાં ડ્રગ્સના કારણે મોત થઈ રહ્યા છે, પરંતુ તે તમામ ‘ગુમશુદા મોત’ની શ્રેણીમાં આવી જાય છે. એક તરફ કાયદા અને સમાજના ડરથી પીડિત પરિવારો આ હકીકત છુપાવી રહ્યા છે, તો બીજી તરફ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સિસ્ટમ આવા કિસ્સાઓને સત્તાવાર રેકોર્ડમાં આવવા દેતી નથી.
આ ગુમશુદા મોતો પાછળનું સત્ય સમજવા માટે તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓ પર નજર કરવી જરૂરી છે, જે આ કડવી વાસ્તવિકતાની સાક્ષી પૂરી પાડે છે.
અગાઉ અહેવાલ આપ્યા મુજબ, રખિયાલ વિસ્તારના અન્સારીનગરમાં રહેતા 16 વર્ષના ફૈઝાન અન્સારીનું ગત 12 મેના રોજ કથિત રીતે MDMAના ઓવરડોઝના કારણે કરુણ મૃત્યુ થયું હતું. તે ગરીબ પરિવારમાંથી આવતો હતો અને નશાની લત પૂરી કરવા માટે કુખ્યાત ફમ્મો ઉર્ફે ફરઝાના અન્સારીનો પેડલર બની ગયો હતો.
ફૈઝાનના મૃત્યુ બાદ જ્યારે અમે પરિવાર સાથે વાત કરી, ત્યારે પરિવારે જણાવ્યું હતું કે તેનું મૃત્યુ કિડની ફેલ થવાને કારણે થયું હતું. પરંતુ મધ્યસ્થીઓ મારફતે પરિવારને ભરોસામાં લઈને ઊંડાણપૂર્વક વાતચીત કરતાં આખી હકીકત સામે આવી હતી.
ગરીબ પરિવારને માત્ર એટલો જ ડર હતો કે જે થવાનું હતું તે થઈ ગયું, પરંતુ જો હવે તેઓ પોલીસ અને કોર્ટના ચક્કરમાં પડશે, તો તેમની રોજીરોટી પણ છીનવાઈ જશે. પરિવારને કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને વિસ્તારના માફિયાઓ સાથે દુશ્મની પણ વહોરવી પડશે.
પરિસ્થિતિ એટલી હદે લાચાર હતી કે જ્યારે ફૈઝાનની તબિયત લથડવા માંડી, ત્યારે પોલીસ અને કાયદાકીય ઝંઝટથી બચવા માટે પરિવાર તેને રાતોરાત ઉત્તર પ્રદેશના આંબેડકરનગર સ્થિત પોતાના વતનમાં લઈ ગયો હતો.
આવું જ બીજું ‘ગુમશુદા મોત’ ફમ્મો ઉર્ફે ફરઝાના અન્સારીના સગા ભાઈ યુસુફ બટકાનું હોવાનું કહેવાય છે, જેનું મૃત્યુ પણ કથિત રીતે MDMAના કારણે થયું હતું. જોકે, તેનો કોઈ સત્તાવાર રિપોર્ટ નોંધાયો નહોતો.
આ એ જ યુસુફ બટકો હતો, જેને ફમ્મોએ અગાઉ MDMA પેડલિંગના એક કેસમાં પોલીસની કાર્યવાહી દરમિયાન આજમ ઉર્ફે ટાઇગર સાથે જેલ જવાથી બચાવી લીધો હતો. પરંતુ તે તેને ડ્રગ્સના કારણે થતા મોતથી બચાવી શકી નહીં.
દેખીતી વાત છે કે જે ફમ્મો પોતે શહેરમાં આ ઝેર વેચી રહી છે, તે પોતાના જ ભાઈના ઓવરડોઝના મોતની ફરિયાદ પોલીસ ચોપડે કેવી રીતે નોંધાવે?
આ જ રીતે ત્રીજો કિસ્સો આસિફ નામના યુવકનો છે, જે પોતે પણ ગંભીર રીતે MDMAનો વ્યસની હતો. એક દિવસ નશાની અતિશયતાના કારણે તેનું પણ મૃત્યુ થયું અને સમય જતાં લોકો તેને ભૂલી ગયા.
ગત રવિવાર, 5 જુલાઈએ જ્યારે ગોમતીપુરમાં મઝહર અન્સારીની હત્યા થઈ, ત્યારે પણ પોલીસના પ્રાથમિક સત્તાવાર રેકોર્ડમાં ક્યાંય કફ સિરપ કે નશાના કારોબારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ગોમતીપુરના ચતુરસિંહ ચોક પર જઈને સામાન્ય માણસ પણ આ હકીકત સમજી શકે છે, પરંતુ વહીવટી તંત્ર માટે આ સત્ય સ્વીકારવું મુશ્કેલ છે, કારણ કે આ સત્ય સ્વીકારવાથી સિસ્ટમની પોતાની નાકામયાબીનો પર્દાફાશ થઈ શકે છે.
ડ્રગ્સથી થતા મોતના આંકડા ક્યારેય સરકારી ડેટામાં જોવા મળતા નથી. તેને સમજવા માટે સમાજની અંદર ઊતરવું પડે છે. આ ગુમનામ મોતોનો આંકડો ક્યારેય માત્ર સરકારી તંત્રના રેકોર્ડથી જાણી શકાશે નહીં; તે સમાજની વચ્ચે જઈને જ સમજાઈ શકે છે.
અત્યાર સુધી સામે આવેલા તમામ કિસ્સાઓ એ જ દર્શાવે છે કે ડ્રગ્સના કારણે થતા મોતનો ભોગ મોટાભાગે ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો જ બને છે, જ્યારે શિક્ષિત અને સાધનસંપન્ન વર્ગ પોતાના બાળકોને ખાનગી સારવાર કે રિહેબિલિટેશન સેન્ટરોમાં મોકલીને બચાવવાનો પ્રયાસ કરે છે.
નશાના આ દળદળમાં ગરીબ વર્ગ કાયદા અને પોલીસના ડરથી આ તમામ યાતનાઓ મૂંગા મોઢે સહન કરી લે છે, કારણ કે નશાનો બંધાણી બનેલો ગરીબ યુવક ટૂંક સમયમાં જ પોતાનો ખર્ચ કાઢવા માટે પેડલર બની જાય છે. પરિણામે તેના પરિવારને કાયદાકીય કાર્યવાહીનો સતત ભય સતાવતો રહે છે.
બીજી તરફ, સંપન્ન અને સાધનસંપન્ન વર્ગ સામાજિક બદનામી અને આબરૂ જવાના ડરથી આ સમગ્ર મામલે મૌન ધારણ કરે છે.
એક સાધનસંપન્ન પરિવાર સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે તેમણે પોતાના વ્યસની દીકરાને સારવાર માટે શહેરની બહાર મોકલી દીધો હતો. તેઓએ ગમે તેટલો ખર્ચ કર્યો, પરંતુ તેમનું કહેવું હતું કે જો આ વાત સમાજમાં બહાર આવી હોત, તો તેમની નિર્દોષ દીકરીના લગ્નમાં પણ ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ શકી હોત.
વર્ષ 2021માં બનેલી આવી જ એક ઘટનામાં શહેરના એક નામાંકિત બિલ્ડરના દીકરાને નશાની હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સાથે હાઈ-પ્રોફાઇલ પરિવારોના કેટલાક બાળકો પણ સામે આવ્યા હતા, જેઓ આ નશાના બંધાણી હોવાનું જાણવા મળ્યું હતું.
પરંતુ તે સાધનસંપન્ન પરિવારોએ બધું જાણવા છતાં પોતાના બાળકોને બરબાદ કરનારા પેડલરો કે ડિસ્ટ્રીબ્યુટર્સ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરી નહોતી. તેના બદલે સમગ્ર મામલાને દબાવી દેવા માટે પોતાની સંપૂર્ણ વગ અને પ્રભાવનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે આ સમગ્ર કિસ્સો ક્યારેય પોલીસના સત્તાવાર રેકોર્ડનો ભાગ બની શક્યો નહોતો.
આ જ અમદાવાદમાં ચાલી રહેલા ડ્રગ્સ નેટવર્કની સૌથી ભયાનક વાસ્તવિકતા છે, જ્યાં મોત થઈ રહ્યા છે, પરિવારો ઉજડી રહ્યા છે, હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે, પરંતુ સત્તાવાર સરકારી ચોપડે બધું જ “ઓલ ઇઝ વેલ” છે.
હવે આ ખોખલી બની રહેલી સિસ્ટમ અને ‘ગુમશુદા મોત’ના આ સિલસિલા સાથે વહીવટી તંત્ર કેવી રીતે ડીલ કરશે, તેનો જવાબ પણ તેને જ શોધવા પડશે.
આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-2): અમદાવાદમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે?
