- મેડિકલ હબ ગણાતા પાલનપુરમાં ઘોર બેદરકારી: ડૉ. મકસૂદા નાગોરીની ભૂલથી માતા અને બે નવજાત જોડિયા બાળકોનું કરુણ મોત
- ‘આ સારવાર નથી, હત્યા છે!’: ઓપરેશનમાં નસ કાપી નાખી, બાળકો પર પણ ચીરકા વાગ્યા; ડો. મકસૂદા નાગોરી સામે કડક કાર્યવાહીની ઉઠી માંગ
ઉત્તર ગુજરાતનું પાલનપુર શહેર આજે મેડિકલ ક્ષેત્રે એક મોટું અને આગળ પડતું હબ બની ચૂક્યું છે. માત્ર આસપાસના ગામડાઓ જ નહીં, પરંતુ પડોશી રાજ્ય રાજસ્થાનથી પણ હજારો દર્દીઓ અહીંના તબીબો પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકે છે અને પોતાનો જીવ તેમના હાથમાં સોંપે છે. પરંતુ શું પાલનપુરના તમામ ડોક્ટરો આ ‘ભગવાન’ના દરજ્જાને લાયક છે ખરા? આ સવાલ એટલા માટે ઊભો થયો છે કારણ કે પાલનપુરમાં એક એવી કમકમાટીભરી ઘટના ઘટી છે, જેણે તબીબી જગત પર કાળો ડાઘ લગાવી દીધો છે. પૈસાની લ્હાય કે ડોક્ટરની અણઆવડતે એક હસતા-રમતા પરિવારનો માળો પીંખી નાખ્યો છે.
સારાહ લેડીકેર હોસ્પિટલમાં સર્જાયો કરુણાંતિકાનો ખેલ
પાલનપુર શહેરમાં આવેલી સારાહ લેડીકેર હોસ્પિટલ (Sarah Ladycare Hospital) હાલ ગંભીર વિવાદના કેન્દ્રમાં છે. મળતી માહિતી મુજબ, પાલનપુર નજીક આવેલા સાંગલા ગામના સંગીતાબેન શ્રીમાળી નામની ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારને આશા હતી કે ઘરે જોડિયા બાળકોની કિલકારીઓ ગુંજશે અને ખુશીઓ આવશે, પરંતુ ગાયનેક ડોક્ટર મકસૂદા નાગોરીની ગંભીર અને અક્ષમ્ય બેદરકારીના કારણે સંગીતાબેન અને તેમના બે જોડિયા માસૂમ બાળકોના કરુણ મોત નિપજ્યા છે. એકસાથે ત્રણ અર્થીઓ ઉઠતા ગામમાં અને પરિવારમાં ભારે રોકકળ મચી ગઈ છે.
ઓપરેશનના નામે ઘોર બેદરકારી: નસ કાપી અને ચીરકા વાગ્યાનો આક્ષેપ
દર્દીના શોકાતુર સગાસંબંધીઓએ અત્યંત ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે, હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ડોક્ટર મકસૂદા નાગોરીએ તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવું પડશે તેવું કહ્યું હતું. પરિવારે ડોક્ટર પર ભરોસો રાખીને સંમતિ આપી હતી. પરંતુ ઓપરેશન દરમિયાન ડોક્ટરે અચાનક જણાવ્યું કે દર્દીની સ્થિતિ ગંભીર છે અને ગર્ભાશયની કોથળી કાઢવી પડશે. ગભરાયેલા પરિવારે માત્ર એક જ વિનંતી કરી કે ગમે તે થાય, અમારા દર્દીનો જીવ બચવો જોઈએ. છતાં કોથળી કાઢી નાખ્યા પછી પણ ડોક્ટર માતા કે બંને બાળકોમાંથી કોઈનો પણ જીવ બચાવી શકી ન હતી.
પરિવારજનોનો આક્રોશ સાતમા આસમાને છે. તેઓ સીધો આક્ષેપ કરી રહ્યા છે કે ડોક્ટર મકસૂદા નાગોરીની બિનઅનુભવી અને બેદરકારીભરી સર્જરી દરમિયાન ભૂલથી દર્દીની કોઈ મુખ્ય નસ કપાઈ ગઈ હતી, જેના કારણે ભારે રક્તસ્ત્રાવ શરૂ થઈ ગયો હતો અને તે કંટ્રોલમાં ન આવતા દર્દીનું મોત થયું. એટલું જ નહીં, અત્યંત ચોંકાવનારી બાબત એ છે કે ડોક્ટરની સર્જિકલ બેદરકારીને લીધે નવજાત બાળકો અને ગર્ભાશયની કોથળી પર પણ સર્જરીના ‘ચીરકા’ (કાપા) લાગી ગયા હોવાનું પરિવાર જણાવી રહ્યો છે. આ આક્ષેપો દર્શાવે છે કે ઓપરેશન થિયેટરમાં દર્દીના જીવ સાથે કેટલી હદે ખીલવાડ કરવામાં આવ્યો હતો. આ અંગેના ફોટોગ્રાફ પણ પરિવાર રજૂ કરવા સંમતિ દર્શાવી છે.
‘આ બેદરકારી નથી, હત્યા છે’: કડક કાર્યવાહી અને હોસ્પિટલ સીલ કરવાની માંગ
એકસાથે ત્રણ-ત્રણ જીવ ગુમાવ્યા બાદ મૃતક મહિલા અને બાળકોના પરિજનો ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. સમાજના આગેવાનો અને રોષે ભરાયેલા લોકો હવે આ ઘટનાને માત્ર મેડિકલ નેગ્લિજન્સ (બેદરકારી) નહીં, પરંતુ સ્પષ્ટ ‘હત્યા’ ગણાવી રહ્યા છે. તેમની ઉગ્ર માંગ છે કે ડોક્ટર મકસૂદા નાગોરી સામે સાદો કેસ નોંધવાના બદલે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
આ ઉપરાંત, ડોક્ટરનું મેડિકલ લાયસન્સ કાયમ માટે રદ કરવામાં આવે અને સારાહ લેડીકેર હોસ્પિટલને તાત્કાલિક અસરથી તાળા મારી દેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નિર્દોષ પરિવારનો માળો ન પીંખાય. મેડિકલ કાઉન્સિલ અને સ્થાનિક વહીવટી તંત્ર જો આ મામલે કડક દાખલો નહીં બેસાડે, તો મેડિકલ હબ તરીકેની પાલનપુરની છબી ખરડાતા વાર નહીં લાગે. ભગવાનનું રૂપ ગણાતા ડોક્ટરો જ્યારે બેજવાબદારીપૂર્વક વર્તે છે, ત્યારે સિસ્ટમે જ દર્દીઓની વ્હારે આવવું પડશે.
