- ગુજરાતમાં હાર્ટ એટેકનો કહેર: છેલ્લા ૬ મહિનામાં ૫૩ હજારથી વધુ ઈમરજન્સી કેસ, દરરોજ ‘૧૦૮’ ને મળે છે ૨૯૪ કોલ્સ
ગુજરાતમાં હૃદય સંબંધિત બીમારીઓ અને હાર્ટ એટેકના કેસ ચિંતાજનક હદે વધી રહ્યા છે. સાયલન્ટ કિલર બની ચૂકેલી આ બીમારી હવે ઉંમરનો કોઈ ભેદભાવ રાખ્યા વિના લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. તાજેતરમાં ‘૧૦૮’ ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૬ મહિનામાં જ રાજ્યમાં હૃદયની સમસ્યાના ૫૩,૨૨૬ ઈમરજન્સી કેસ નોંધાયા છે. ગયા વર્ષે પ્રથમ ૬ મહિનામાં આ આંકડો ૪૮,૧૪૧ હતો. આમ, ગત વર્ષની સરખામણીએ હૃદયની ઈમરજન્સીના કેસમાં ૧૫ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
દરરોજ સરેરાશ ૨૯૪ વ્યક્તિઓને હૃદયની સારવારની તાતી જરૂર
રાજ્યમાં હાલ દરરોજ સરેરાશ ૨૯૪ વ્યક્તિઓને હૃદયની સમસ્યા માટે ‘૧૦૮’ એમ્બ્યુલન્સની જરૂર પડે છે. બે વર્ષ અગાઉ (૨૦૨૪ માં) આ આંકડો રોજના ૨૩૨ દર્દીઓનો હતો. જો કેસો વધવાની આ જ સ્થિતિ બરકરાર રહી તો, વર્ષના અંત સુધીમાં હૃદયની ઈમરજન્સીના કેસ ૧.૦૭ લાખનો આંકડો પાર કરી શકે તેવી દહેશત છે.
અમદાવાદની સ્થિતિ સૌથી ગંભીર, બોટાદમાં સૌથી વધુ ઉછાળો
હાલ રાજ્યમાં હૃદયની ઈમરજન્સીના જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, તેમાંથી ૨૬% કેસ તો માત્ર અમદાવાદ શહેરમાંથી જ આવે છે. આ વર્ષે પ્રથમ ૬ મહિનામાં જ અમદાવાદમાં ૧૩,૭૬૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલે એમ કહી શકાય કે ‘૧૦૮’ માં આવતા હૃદયની સમસ્યાના દર ચારમાંથી એક કોલ માત્ર અમદાવાદનો હોય છે. અન્ય શહેરોની વાત કરીએ તો સુરત બીજા, રાજકોટ ત્રીજા, ભાવનગર ચોથા અને વડોદરા પાંચમા સ્થાને છે. જો ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ વધારો જોવામાં આવે તો બોટાદ જિલ્લો ૪૮.૧૬% ના વધારા સાથે મોખરે છે (વર્ષ ૨૦૨૫ માં અહીં ૨૭૨ કેસ હતા જે ૨૦૨૬ માં વધીને ૪૦૩ થયા છે).
યુવાનોમાં વધતું જોખમ અને ડોક્ટરોની સલાહ
તબીબી નિષ્ણાતોના મતે, છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં હૃદયની સમસ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સૌથી મોટો ખતરો એ છે કે ૫૦% કેસમાં અગાઉથી કોઈ જ લક્ષણો જોવા મળતા નથી અને અચાનક જ હુમલો આવે છે. ઘણી વખત વ્યક્તિ નિયમિત કસરત કરતી હોય અને ખાવા-પીવાની આદતો પણ સારી હોય, છતાં હૃદયમાં બ્લોકેજ હોઈ શકે છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક નામાંકિત ડોક્ટરની ક્લિપ અનુસાર, બદલાતા સમય અને જીવનશૈલીને જોતા હવે ૧૭ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિએ પોતાના હૃદયમાં બ્લોકેજ છે કે કેમ તે ચકાસવા નિયમિત રૂપે ટેસ્ટ કરાવવા જોઈએ. જેમાં બેઝિક પેનલ, બ્લડ ટેસ્ટ, ECG, ઇકોકાર્ડિયોગ્રામ (ECHO) અને કાર્ડિયાક સીટી સ્કેનનો સમાવેશ થાય છે. હૃદયરોગના સહેજ પણ લક્ષણો જણાય તો જરાય વિલંબ કર્યા વિના તાકીદે ડોક્ટરનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે.
| ગુજરાતમાં હૃદય સંબંધિત ઈમરજન્સીના કેસ (પ્રથમ ૬ મહિનાના આંકડા) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
