- વીજલાઇનના વળતર મુદ્દે મોરબીમાં ખેડૂતો રસ્તા પર: ૧૦૦% વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી શરૂ કરવાની કલેક્ટરની ખાતરી
મોરબી જિલ્લાના જેતપર (મચ્છુ) ગામે વીજલાઇન વળતરના મુદ્દે ચાલી રહેલા આંદોલને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપવાસ આંદોલન પાર્ટ-૨ પૂર્ણ થયા બાદ હવે ખેડૂતોએ ‘સત્યાગ્રહ પાર્ટ-૩’નું રણશિંગુ ફૂંક્યું છે. ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્રના વિરોધમાં મોરબીમાં હજારો ખેડૂતો અને મહિલાઓએ વિશાળ પદયાત્રા યોજીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા
ગુજરાત ખેડૂત છાવણી, જેતપરના નેજા હેઠળ યોજાયેલી આ મહારૈલી મહેન્દ્રનગર ચોકડીથી શરૂ થઈ હતી. ખેડૂતોને થતા અન્યાયના પોસ્ટર્સ અને બેનરો સાથે મોટી સંખ્યામાં જોડાયેલા ખેડૂતો અને મહિલાઓએ સામાકાંઠા વિસ્તારમાં ફરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્યના ૩૬૫ ગામોની ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે સમર્થન દર્શાવીને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે તાજેતરમાં જાહેર કરાયેલો નવો પરિપત્ર ખેડૂત વિરોધી છે અને તેમાં તાત્કાલિક સુધારો થવો જોઈએ.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ શું છે?
કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં મુખ્યત્વે ઊર્જા વિભાગના ૪ જુલાઈ ૨૦૨૬ના ઠરાવ (ક્રમાંક ઈપીસીડી/ઈએલએ/ઈ ફાઈલ/20/2023/1173/ક)નો વિરોધ કરવામાં આવ્યો છે. ઈલેક્ટ્રીસીટી એક્ટ ૨૦૦૩ અને ટેલીગ્રાફ એક્ટ ૧૮૮૫ની કલમ ૧૦ (ડી)ની જોગવાઈઓ ટાંકીને ખેડૂતોએ માંગ કરી છે કે, જ્યાં સુધી ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય અને પૂરેપૂરું વળતર મળે તેવા સુધારા ન થાય, ત્યાં સુધી આ નવા ઠરાવની અમલવારી સંપૂર્ણપણે સ્થગિત રાખવામાં આવે.
૧૦૦% વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી થશે: જિલ્લા કલેક્ટર
ખેડૂતોના આ ઉગ્ર વિરોધ વચ્ચે મોરબી જિલ્લા કલેક્ટરે સત્તાવાર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગ મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરી દેવામાં આવી છે અને તેમાં ખેડૂત પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરાયો છે. વળતર માટે ૨૦૦ ટકા અને ગ્રામ્યમાં ૩૦ ટકાની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, અગાઉ જેમને વળતર મળી ગયું છે તેમને પણ વધારાનું ચૂકવણું કરવાની જોગવાઈ રખાઈ છે.
કલેક્ટરે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે સરકારી જીઆર પ્રમાણે માર્કેટ રેટ કમિટી દ્વારા ભાવ નક્કી થયા બાદ જ વીજ થાંભલા નાખવાની કામગીરી થશે. સંબંધિત કંપની સાથે બેઠક કરીને વેલ્યુઅર નિમણૂક કરવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખેડૂતોને ૧૦૦ ટકા વળતર મળ્યા બાદ જ ગ્રાઉન્ડ પર કામગીરી શરૂ કરવાના આદેશ કરાયા છે. અંતમાં તેમણે ખેડૂતોને અપીલ કરી હતી કે સમયસર વળતર ચૂકવી શકાય તે માટે ખેડૂતોએ ઝડપથી પોતાના પ્રતિનિધિઓની નિમણૂક કરવી જોઈએ. ખેડૂતો દ્વારા અપાયેલું નવું આવેદનપત્ર પણ સરકાર સુધી પહોંચાડવાની કલેક્ટરે ખાતરી આપી હતી.
