અમદાવાદ/સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલને મોટો ફટકો પડ્યો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. આ કેસ સુરેન્દ્રનગરમાં જમીનને નોન-એગ્રીકલ્ચર (NA) કરવાના નામે ચાલતા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કૌભાંડ સાથે જોડાયેલો છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જાન્યુઆરી 2026માં રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે, જમીન NA કરવાની અરજીઓ પર પ્રતિ સ્ક્વેર મીટર ₹5થી ₹10ની “સ્પીડ મની” (લાંચ) વસૂલવામાં આવતી હતી. આ સિસ્ટમને સુનિયોજિત રીતે ચલાવવામાં આવી હતી, જેમાં IORA પોર્ટલ પર અરજીઓની ચકાસણી કરીને લાંચની રકમ નક્કી કરવામાં આવતી હતી. EDના આરોપ મુજબ, આ કૌભાંડમાં 800થી વધુ અરજીઓમાંથી 9 કરોડથી 10 કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ થઈ છે, જ્યારે કુલ જમીનનું મૂલ્ય 1500 કરોડથી વધુનું હોવાનું અંદાજવામાં આવે છે.
તપાસ દરમિયાન EDએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝા, મામલતદાર મયુર દવે અને અન્ય અધિકારીઓ-કર્મચારીઓની ધરપકડ કરી હતી. લાંચની વહેચણીમાં કલેક્ટરને 50%, રેસિડન્ટ એડિશનલ કલેક્ટરને 25%, મામલતદારને 10%, નાયબ મામલતદારને 10% અને ક્લાર્કને 5% ભાગ મળતો હોવાનું સહ-આરોપીઓના નિવેદનોમાંથી બહાર આવ્યું છે.
આ કેસમાં EDએ સ્પેશિયલ PMLA કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. રાજેન્દ્ર પટેલ હાલ ન્યાયિક કસ્ટડીમાં જેલમાં છે. તેમણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી છે. આ નિર્ણયથી તેમનો જેલવાસ લંબાયો છે અને કેસમાં તપાસ આગળ વધશે.
આ ઘટનાએ ગુજરાતના વહીવટી તંત્ર અને IAS અધિકારીઓની પારદર્શિતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. ED તપાસમાં વધુ આરોપીઓ અને ડેવલપર્સના બેંક એકાઉન્ટ્સ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. પૂર્વ કલેક્ટરના સમર્થનમાં પાટીદાર સમાજ તરફથી પણ કેટલીક પ્રતિક્રિયાઓ આવી હતી, પરંતુ કોર્ટનો આ ચુકાદો તપાસને મજબૂત બનાવશે.
આ પણ વાંચો – શું ઈરાને ભારતીય ટેન્કરોને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી દીધી છે? આ અંગે વિદેશ મંત્રાલયે શું કહ્યું?
