નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે “ઈરાન અમારી સાથે ડીલ કરવા માટે બેચેન છે.” પરંતુ ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે “આ ન તો વાતચીત છે, ન મોલ-તોલ છે અને ન તો કોઈ સમજૂતી છે.”
ટ્રમ્પે બુધવારે એક ફંડરેઝર ઇવેન્ટમાં કહ્યું કે ઈરાનની ટોપ લીડરશિપ અમેરિકા સાથે ડીલ કરવા માંગે છે, પરંતુ તેઓ તેને જાહેરમાં કહી શકતા નથી કારણ કે તેમને પોતાના જ લોકો અને અમેરિકાના હાથે મરવાનો ડર છે. તેમણે કહ્યું, “આ સમયે ઈરાન જેવા દેશના વડા બનવા કોઈ ઈચ્છતું નથી.”
ઈરાનનું સખત વલણ
ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સરકારી ટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમેરિકાએ છેલ્લા કેટલાક દિવસોમાં મિત્ર દેશોના માધ્યમથી સંદેશા મોકલ્યા છે. “ઈરાને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે અને ચેતવણી આપીને જવાબ આપ્યો છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે “આ વાતચીત નથી, મોલ-તોલ નથી અને કોઈ સમજૂતી પણ નથી.”
અરાઘચીએ વધુમાં કહ્યું કે “આ ઈઝરાયેલની લડાઈ છે અને અમેરિકા સાથે આ વિસ્તારના લોકો તેની કિંમત ચૂકવી રહ્યા છે.” ઈરાનનું સ્પષ્ટ વલણ છે કે યુદ્ધ તેની પોતાની શરતો પર જ સમાપ્ત થશે.
બંને પક્ષો વચ્ચે અવિશ્વાસ
અમેરિકા તરફથી “ઉપયોગી વાતચીત” ચાલી રહી હોવાના દાવા વચ્ચે ઈરાન તેને સંપૂર્ણપણે નકારી રહ્યું છે. બીબીસી ફારસી સેવાના સંપાદક અમીર અઝીમી અનુસાર, આ અસહમતી બંને પક્ષો વચ્ચેના ઊંડા અવિશ્વાસને દર્શાવે છે. ઈરાનના દ્રષ્ટીથી જોઈએ તો અગાઉની વાતચીત પછી પણ અમેરિકા અને ઈઝરાયેલે હુમલા કર્યા હતા. આવા અનુભવને કારણે ઈરાન હવે કોઈ પણ વાતચીતને શંકાની નજરે જુએ છે.
પાકિસ્તાન, તુર્કી અને મિસરની મધ્યસ્થી
હાલમાં પાકિસ્તાન, તુર્કી અને મિસર જેવા દેશો મધ્યસ્થીની ભૂમિકા નિભાવી રહ્યા છે. પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરે ટ્રમ્પ સાથે વાત કરી છે અને શહબાઝ શરીફે ઈરાની રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી છે. તેમ છતાં ઈરાન અમેરિકા સાથે સીધી વાતચીત કરવાનો ઈન્કાર કરી રહ્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેનો અવિશ્વાસ યુદ્ધને લાંબો ખેંચી રહ્યો છે. ટ્રમ્પના દાવા અને અરાઘચીના સખત નિવેદન વચ્ચે સ્થિતિ હજુ અસ્થિર જણાઈ રહી છે. વૈશ્વિક તેલ પુરવઠા અને ઊર્જા સુરક્ષા પર આ યુદ્ધની અસર સતત વધી રહી છે.
આ પણ વાંચો – ઈરાને ભારત, ચીન, રશિયા જેવા મિત્ર દેશો માટે માર્ગ મુક્ત કર્યો, દુશ્મનો માટે બંધ- અરાઘચીનું નિવેદન
