ગાંધીનગર : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે માનવ અધિકારના ઉલ્લંઘનના ગંભીર આંકડા સામે આવ્યા છે. માનવ અધિકાર આયોગ દ્વારા જાહેર કરાયેલા વર્ષ 2024-25ના વાર્ષિક અહેવાલ મુજબ, જેલ કસ્ટડીમાં 79 અને પોલીસ કસ્ટડીમાં 14 મળી કુલ 93 મોતના કિસ્સાઓમાં આયોગે તપાસ શરૂ કરી છે.
આયોગના અહેવાલ અનુસાર, જેલ કસ્ટડીમાં થયેલા 79 મોતમાં સૌથી વધુ 24 મોત અમદાવાદમાં નોંધાયા છે. ત્યારબાદ રાજકોટમાં 11, વડોદરામાં 10 અને સુરતમાં 7 મોત થયા છે. પોલીસ કસ્ટડીમાં થયેલા 14 મોતમાં અમદાવાદ અને રાજકોટ શહેર પોલીસમાં 3-3, સુરત અને અમદાવાદ ગ્રામ્યમાં 2-2 તેમજ રાજકોટ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય, જૂનાગઢ અને વલસાડમાં 1-1 મોત નોંધાયા છે.
માનવ અધિકાર આયોગના નિયમો અનુસાર, પોલીસ અથવા જેલ તંત્રની કસ્ટડીમાં આરોપી કે કેદીના મોતના કિસ્સામાં આયોગ આપોઆપ તપાસ શરૂ કરે છે. આ વર્ષે પણ આવા તમામ કેસોમાં તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સામાજિક અન્યાયના 2583 કેસ
માનવ અધિકાર આયોગને વર્ષ 2024-25માં સમગ્ર રાજ્યમાંથી 2583 અરજીઓ મળી હતી. આ અરજીઓમાં બાળકો, આરોગ્ય, જેલ, શ્રમ-મજૂરી, અંડરવર્લ્ડ, સાયબર ક્રાઈમ, પોલીસ અત્યાચાર, પ્રદૂષણ, શિક્ષણ, હિંસા, રેગિંગ, મહિલા અધિકાર અને પંચાયતી રાજ સંબંધિત મુદ્દાઓનો સમાવેશ છે. આમાંથી હજુ 567 અરજીઓનો નિકાલ થયો નથી અને તપાસ ચાલુ છે.
ચિંતાજનક મુદ્દા
અમદાવાદ જેલમાં સૌથી વધુ મોત થવા પાછળના કારણોની તપાસ જરૂરી છે.
પોલીસ અને જેલ તંત્રમાં માનવ અધિકારના ઉલ્લંઘનના કિસ્સાઓ વધતા જતા હોવાનું જણાય છે.
ગરીબ, આદિવાસી અને પછાત વર્ગોમાં આવા કેસો વધુ જોવા મળે છે.
માનવ અધિકાર આયોગે આ તમામ કેસોમાં વિગતવાર તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ અહેવાલ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સાથે માનવ અધિકારના પાલન પર પણ પ્રશ્નો ઉભા કરે છે.
આ પણ વાંચો- ગુજરાતમાં નકલી ડોક્ટરોની ભરમાર : માત્ર ત્રણ વર્ષમાં જ 2724 ઝોલાછાપ ડોક્ટરો પકડાયા
