ગાંધીનગર : ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે તકેદારી આયોગ સતત સક્રિય છે. આયોગના તાજેતરના રિપોર્ટ મુજબ, વર્ષ 2020થી 2024 સુધીના પાંચ વર્ષમાં કુલ 1867 સરકારી અધિકારી અને કર્મચારીને ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપમાં વિવિધ સજા કરવામાં આવી છે. આમાં 2024માં સૌથી વધુ 486 અધિકારી-કર્મચારી સામે સજાના ઓર્ડર જાહેર થયા છે.
રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં 138 વર્ગ-1ના અધિકારીઓ સામે સજાના ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 2020થી 2024ના સમયગાળામાં 246 અધિકારી-કર્મચારીનું પેન્શન રોકવાના ઓર્ડર પણ આપવામાં આવ્યા છે.
તકેદારી આયોગ કેવી રીતે કામ કરે છે?
ભ્રષ્ટાચાર અને ગેરરીતિની ફરિયાદ મળ્યા પછી આયોગ તપાસ શરૂ કરે છે. તપાસ પૂર્ણ થયા પછી તે ફાઈનલ ઓર્ડર સાથે સરકારને ભલામણ કરે છે કે દોષિત અધિકારી અથવા કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ. આ ભલામણોના આધારે સરકાર વિભાગીય કાર્યવાહી કરે છે.
2024ના આંકડા
આ વર્ષે કુલ 1382 અધિકારી-કર્મચારી સામે વિવિધ પ્રકારની ભલામણો કરવામાં આવી હતી.
678 જાહેર સેવકો સામે ભારે શિક્ષાની કાર્યવાહીની ભલામણ.
3 જાહેર સેવકો સામે પેન્શન કાપવાની ભલામણ.
29 જાહેર સેવકો સામે ફોજદારી કેસ (પ્રોસીક્યુશન) ચલાવવાની મંજૂરી.
54 કર્મચારી સામે હળવી શિક્ષાની ભલામણ.
30 કર્મચારી સામે વસૂલાત કરવાની ભલામણ.
588 કેસમાં આક્ષેપોમાં તથ્ય ન મળતાં તફતરે કરવાની ભલામણ કરવામાં આવી છે.
2020થી 2024 સુધીમાં સૌથી વધુ સજાના ઓર્ડર 2024માં જ થયા છે, જે દર્શાવે છે કે તકેદારી આયોગ અને સરકાર ભ્રષ્ટાચાર સામે વધુ સક્રિય બની રહ્યા છે. આ કાર્યવાહીથી સરકારી વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી વધવાની આશા છે.આ રિપોર્ટ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને મજબૂતી આપે છે અને સરકારી અધિકારીઓને ચેતવણી આપે છે કે ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો- જેલમાં 79 અને પોલીસ કસ્ટડીમાં 14 મોત : ગુજરાતમાં માનવ અધિકારના ઉલ્લંઘનના ચિંતાજનક આંકડા
