નવી દિલ્હી: દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોની સંખ્યા ઝડપથી વધી રહી છે, પરંતુ તેમના માટે યોગ્ય નોકરીઓની અછતને કારણે ગ્રેજ્યુએટ બેરોજગારીનો મુદ્દો વધુ ગંભીર બની રહ્યો છે. તાજેતરના એક અભ્યાસમાં આ ચિંતાજનક હકીકત સામે આવી છે.
રિપોર્ટ અનુસાર, વર્ષ 2004થી 2023 સુધી દર વર્ષે સરેરાશ 50 લાખ ગ્રેજ્યુએટ્સ ઉમેરાયા છે, પરંતુ આ સમયગાળામાં માત્ર 28 લાખને જ નોકરી મળી છે. આના કારણે ગ્રેજ્યુએટ બેરોજગારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
આંકડાઓ શું કહે છે?
25 વર્ષ સુધીની ઉંમરના ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર આશરે 40 ટકા છે.
25થી 29 વર્ષના યુવાનોમાં 20 ટકા ગ્રેજ્યુએટ બેરોજગાર છે.
વર્ષ 2023 સુધીમાં 20થી 29 વર્ષની ઉંમરના 1.1 કરોડ ગ્રેજ્યુએટ બેરોજગાર હતા.
બેરોજગાર ગ્રેજ્યુએટ્સમાંથી માત્ર 7 ટકા જ યુવાનોને એક વર્ષની અંદર સ્થાયી નોકરી મળી છે.
નોકરીઓનું વિતરણ
2021-22થી 2023-24 દરમિયાન દેશમાં 8.3 કરોડ નવી નોકરીઓ ઉમેરાઈ, પરંતુ તેમાંથી લગભગ 4 કરોડ નોકરીઓ કૃષિ ક્ષેત્રમાં હતી. આ નોકરીઓ મોટાભાગે ઓછી આવકવાળી હોય છે, જે ઉચ્ચ શિક્ષણ મેળવેલા યુવાનો માટે પર્યાપ્ત નથી.
શિક્ષણ સંસ્થાઓ વધી પરંતુ કૌશલ્યનો અભાવ
દેશમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સંખ્યા 1,644થી વધીને 70,000થી વધુ થઈ ગઈ છે. પરંતુ ઘણી સંસ્થાઓના ગ્રેજ્યુએટ્સમાં બજારની જરૂરિયાત મુજબના કૌશલ્યનો અભાવ જોવા મળે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર પણ અપેક્ષા મુજબ નોકરીઓનું સર્જન કરવામાં નિષ્ફળ રહ્યું છે.
દેશમાં અવળી ગંગા- ભણેલા વ્યક્તિ અભણ કરતાં ઓછી કમાણી કરે છે
સામાન્ય રીતે માનવામાં આવે છે કે ભણેલા વ્યક્તિ અભણ વ્યક્તિ કરતાં વધુ કમાણી કરે છે. પરંતુ આ અભ્યાસમાં સામે આવ્યું છે કે ડિગ્રી વગરના વ્યક્તિ ડિગ્રીવાળા વ્યક્તિ કરતાં વધુ કમાણી કરી રહ્યા છે. આને “ગ્રેજ્યુએટ અર્નિંગ પ્રીમિયમ” (ભણતરનું વળતર)ના અભાવ તરીકે જોવામાં આવે છે, જે વિકસિત દેશોમાં સામાન્ય છે, પરંતુ ભારતમાં નથી જોવા મળી રહ્યું.
અમીર-ગરીબ વચ્ચે વધતી ખાઈ
અભ્યાસમાં એક અન્ય ચિંતાજનક વાત એ છે કે મોટાભાગના પ્રોફેશનલ કોર્સમાં અમીર વિદ્યાર્થીઓ જ ભણી રહ્યા છે. ગરીબ વિદ્યાર્થીઓ મોટેભાગે સસ્તી અને સામાન્ય જનરલ ડિગ્રી સુધી મર્યાદિત રહે છે. આ કારણે જોબ માર્કેટમાં પહોંચતા તેઓ પ્રતિભા હોવા છતાં નોકરી મેળવવામાં સંઘર્ષ કરવો પડે છે.
ખાસ કરીને બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વધી રહી છે, પરંતુ તેમની સાથે નોકરીઓની અછત પણ તીવ્ર છે. ઉચ્ચ શિક્ષણ વધી રહ્યું છે, પરંતુ તેની સાથે યોગ્ય નોકરીઓ અને કૌશલ્ય વિકાસનો અભાવ યુવાનોને નિરાશ કરી રહ્યો છે. આ સ્થિતિને સુધારવા માટે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે વધુ સારું સંકલન, કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત કરવાની જરૂર છે.
આ પણ વાંચો – ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી : 2020થી 2024માં 1867 ભ્રષ્ટ અધિકારી-કર્મચારીને સજા
