ગાંધીનગર: ગુજરાતને વિકસિત રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આજે પણ દહેજ જેવી કુપ્રથાના કારણે મહિલાઓએ જીવ ગુમાવવો પડે છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં દહેજના દૂષણને કારણે 178 મહિલાઓએ આપઘાત કર્યો છે. આ ઉપરાંત આપઘાતના 4 પ્રયાસના કેસ પણ નોંધાયા છે.
સરકારના જવાબ અનુસાર, આ સમયગાળામાં દહેજના દૂષણ સંબંધિત 5638 ફરિયાદો પોલીસમાં નોંધાઈ છે. આમાંથી 522 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 15 આરોપી હજુ ફરાર છે.
જિલ્લાવાર આંકડા
- અમદાવાદ: 1665 ફરિયાદ, 34 આપઘાત
- સુરત: 1166 ફરિયાદ, 36 આપઘાત (સૌથી વધુ આપઘાત)
- બનાસકાંઠા: 362 ફરિયાદ, 7 આપઘાત
- વડોદરા: 299 ફરિયાદ, 17 આપઘાત
- કચ્છ: 196 ફરિયાદ, 16 આપઘાત
આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે દહેજની કુપ્રથા હજુ પણ ગુજરાતના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર સમસ્યા છે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પણ આ કુપ્રથાને કારણે મહિલાઓને સૌથી વધુ ત્રાસ સહન કરવો પડે છે.

સરકારે દહેજ વિરોધી કાયદાની વાત તો કરી છે, પરંતુ વાસ્તવમાં તેના અમલમાં ઘણી ખામીઓ જોવા મળી રહી છે. દહેજના દૂષણને રોકવા માટે કાયદો અમલમાં છે, તેમ છતાં આજે પણ મહિલાઓને આ કુપ્રથાના કારણે મોતની સોડ તાણવી પડે છે. આ ઘટનાઓ મહિલા અધિકાર અને સમાજની માનસિકતા પર પ્રશ્ન ઉભા કરે છે.
દહેજ જેવી કુપ્રથા આજે પણ ગુજરાતના સમાજમાં ઊંડે રોપાયેલી છે. કાયદો હોવા છતાં તેનું અમલીકરણ અને સામાજિક જાગૃતિની જરૂર છે. સરકારે આ મુદ્દે વધુ સક્રિય થઈને મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે કડક પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચો – દેશમાં બેરોજગારીનું આલમ : ગ્રેજ્યુએટ બેરોજગારી 40% સુધી પહોંચી, ભણેલા કરતાં અભણ વધુ કમાય છે
