ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગે બુધવારે (૧ એપ્રિલ, ૨૦૨૬) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત) માટેનું અધિકૃત શેડ્યુલ જાહેર કરી દીધું છે.
આયોગના જણાવ્યા અનુસાર, મતદાન ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાશે જ્યારે મતગણતરી અને પરિણામો ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે યોજાય તે માટે આદર્શ આચાર સંહિતા (મોડલ કોડ ઓફ કન્ડક્ટ) તરત અમલમાં મુકવામાં આવી છે.
આદર્શ આચાર સંહિતાના મુખ્ય નિયમો
શાસક પક્ષ કે સરકાર સરકારી ખર્ચે પોતાની સિદ્ધિઓની જાહેરાત કરી શકશે નહીં.
કોઈપણ મંત્રી કે સરકારી અધિકારી ચૂંટણી પ્રચારને સરકારી કામકાજ સાથે જોડી શકશે નહીં.
મતદારોને નાણાકીય અથવા અન્ય કોઈપણ પ્રલોભન આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ.
મંદિર, મસ્જિદ, ચર્ચ જેવા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ નહીં થઈ શકે.
જાહેર સભા કે સરઘસ માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત.
રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ પર પ્રતિબંધ.
ચૂંટણી કામ માટે સરકારી વાહનો, હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ નહીં થઈ શકે.
નવી યોજનાઓ, નાણાકીય સહાય કે શિલાન્યાસ જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ (કુદરતી આફતના કિસ્સામાં આયોગની મંજૂરીથી છૂટ મળી શકે).
આયોગે સ્પષ્ટ કર્યું છે કે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ, પક્ષ કે અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.
ચૂંટણીનું વિગતવાર શેડ્યુલ
ચૂંટણી જાહેરનામું: ૬ એપ્રિલ ૨૦૨૬
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૧ એપ્રિલ ૨૦૨૬
ફોર્મની ચકાસણી: ૧૩ એપ્રિલ ૨૦૨૬
ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ: ૧૫ એપ્રિલ ૨૦૨૬
મતદાન: ૨૬ એપ્રિલ ૨૦૨૬
મતગણતરી અને પરિણામ: ૨૮ એપ્રિલ ૨૦૨૬
આ ચૂંટણીઓમાં ૨૭% ઓબીસી આરક્ષણ અને મલ્ટી-ઈવીએમ વ્યવસ્થા જેવા નવા પાસાઓ પણ ધ્યાને લેવામાં આવ્યા છે. રાજ્યમાં રાજકીય પ્રવૃત્તિઓ હવે પૂર્ણ તેજીથી શરૂ થવાની સંભાવના છે.
આ પણ વાંચો – બિહારમાં મહિલા સાથે જાહેરમાં ઉત્પીડન, વિરોધપક્ષે કહ્યું – મણિપુર જેવી ક્રૂરતાની શરૂઆત
