અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઈરાન યુદ્ધ વિશે બોલતાં કહ્યું, “ઈરાનની નૌસેના નષ્ટ થઈ ગઈ છે. તેમની વાયુસેના તબાહ થઈ ગઈ છે. તેમના મોટા ભાગના નેતાઓ મરી ગયા છે.”ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઈરાન પર હુમલો અત્યંત જરૂરી હતો કારણ કે તેઓ પરમાણુ હથિયારો બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયા હતા.
ટ્રમ્પે પોતાના 19 મિનિટના સંબોધનમાં એવો દાવો કર્યો કે ઈરાન સામેના યુદ્ધનો હેતુ પૂરો થવાની ખૂબ નજીક છે .ટ્રમ્પના ભાષણની તુરંત બાદ તેલની કિંમતોમાં ઉછાળો આવ્યો અને એશિયાઈ બજારોમાં પણ ઘટાડો નોંધાયો. તેમણે કહ્યું, “અમે ઇઝરાયેલ અને મધ્ય પૂર્વના અમારા અન્ય સહયોગીઓ જેમ કે સાઉદી અરેબિયા, બહેરીન, કતાર, કુવૈત અને યુએઈને તેમના સહયોગ માટે આભાર વ્યક્ત કરીએ છીએ.”
ટ્રમ્પના મતે, કોઈ ઉશ્કેરણી વગર ઈરાને આ દેશો પર હુમલો કર્યો તેનાથી સાબિત થાય છે કે તેઓ આ વિસ્તાર માટે કેટલું મોટું જોખમ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ આ સંબોધન એટલા માટે આપી રહ્યા છે જેથી લોકોને સમજાવી શકાય કે “એપિક ફ્યુરી” અમેરિકા અને વિશ્વની સુરક્ષા માટે કેમ જરૂરી છે. જણાવી દઈએ કે, અમેરિકાએ ઈરાન સામેની પોતાની સેન્ય કાર્યવાહીને ‘એપિક ફ્યુરી’ નામ આપ્યું છે.
ટ્રમ્પે કહ્યું કે છેલ્લા 47 વર્ષોમાં ઈરાન અથવા તેના સમર્થિત જૂથોએ અનેક આતંકવાદી હુમલાઓ અને અન્ય કાર્યવાહીઓ કરી છે. તેમણે ઈરાનની સત્તાને ‘હત્યારી’ ગણાવી છે. તેમણે તાજેતરમાં દેશમાં થયેલા વિરોધ પ્રદર્શનો પરની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં હજારો નાગરિકો માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે આવા નેતાઓને પરમાણુ હથિયારો મેળવવાની પરવાનગી આપી શકાય નહીં. “હું આવું ક્યારેય નહીં થવા દઉં.”
‘આ યુદ્ધ એક રોકાણ છે’
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા એક સેન્ય તાકાત તરીકે અજેય છે. તેમણે આ યુદ્ધને અમેરિકાની આવનારી પેઢીઓ માટે ‘એક સાચું રોકાણ (ઇન્વેસ્ટમેન્ટ)’ ગણાવ્યું. ત્યારબાદ તેમણે 20મી અને 21મી સદીના યુદ્ધોની અવધિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે અનેક વર્ષો સુધી ચાલ્યા હતા, જ્યારે આ સંઘર્ષ હજુ માત્ર 32 દિવસથી ચાલી રહ્યુ છે.
ટ્રમ્પે દાવો કર્યો કે હવે અમેરિકી નાગરિકો ઈરાની આક્રમકતા અને ‘પરમાણુ બ્લેકમેલ’ના જોખમમાં નથી. તેમના મતે, અમેરિકા હવે પહેલાં કરતાં વધુ સુરક્ષિત, મજબૂત અને સમૃદ્ધ બનશે. બીબીસીના બિઝનેસ રિપોર્ટર પીટર હોસ્કિન્સ અનુસાર, ટ્રમ્પના સંબોધનથી આંતરરાષ્ટ્રીય તેલ બજારને હોર્મુઝ સ્ટ્રેટ ક્યારે ખુલશે તે અંગે કોઈ ભરોસો મળ્યો નથી. રાષ્ટ્રપતિના બોલવાનું શરૂ થાય તે પહેલાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત આશરે 100 ડોલર પ્રતિ બેરલ હતી.
સંબોધન દરમિયાન તેમાં ઉતાર-ચઢાવ રહ્યો, પરંતુ હવે કિંમત ફરી વધી રહી છે અને હાલમાં આશરે 4% વધીને 105.38 ડોલર પર પહોંચી ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્ત્વનું છે, કારણ કે વિશ્વની આશરે 20% ઊર્જા પુરવઠો સામાન્ય રીતે આ સાંકડા સમુદ્રી માર્ગમાંથી પસાર થાય છે.
28 ફેબ્રુઆરીએ સંઘર્ષ શરૂ થયા બાદ આ માર્ગ લગભગ બંધ પડ્યો છે. ઈરાને અમેરિકી અને ઇઝરાયેલી હવાઈ હુમલાઓના જવાબમાં આ જળમાર્ગનો ઉપયોગ કરનારા જહાજો પર હુમલો કરવાની ધમકી આપી હતી. ટ્રમ્પના સંબોધન બાદ એશિયાના મુખ્ય શેર બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે તે પહેલાં તેમાં વધારો નોંધાયો હતો.
જાપાનનો નિક્કેઈ આશરે 1.5% નીચે છે, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.6% અને હોંગકોંગનો હેંગ સેંગ 1% ઘટીને વેપાર કરી રહ્યા છે. રોકાણકારોમાં એ ચિંતા છે કે ટ્રમ્પના ભાષણ છતાં ઈરાન યુદ્ધના અંત અંગે કોઈ સ્પષ્ટ સંકેત મળ્યો નથી. ફેબ્રુઆરીના અંતમાં ઈરાન યુદ્ધ શરૂ થયા બાદથી એશિયાઈ શેર બજારોમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક યુદ્ધ સમાપ્ત થવાની આશાથી તેજી આવે છે, તો ક્યારેક તણાવ વધવાના સંકેતથી વેચવાલી હાવી થઈ જાય છે.
એશિયા આ સંઘર્ષના અસર માટે ખાસ કરીને સંવેદનશીલ છે, કારણ કે વિસ્તારના અનેક મોટા દેશો જેમ કે ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા ઊર્જા પુરવઠા માટે મધ્ય પૂર્વ પર ઘણા આધારિત છે. આવી સ્થિતિમાં યુદ્ધ વધવા અથવા તેલ પુરવઠો અસરગ્રસ્ત થવાની આશંકા સીધી બજારો પર દબાણ લાવે છે.
‘ટ્રમ્પની યોજનામાં કંઈ સ્પષ્ટ નથી’
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેનના વરિષ્ઠ સલાહકાર રહી ચૂકેલી મેલિસા ટૂફેનિયને બીબીસીને કહ્યું કે ટ્રમ્પના ભાષણ બાદ અમેરિકી દર્શકો ઈરાન યુદ્ધ અંગે કદાચ વધુ વધુ મૂંઝવણમાં છે. તેમણે કહ્યું, “મને લાગતું નથી કે આજે આ ભાષણ જોનાર કોઈ પણ અમેરિકીને એવું લાગશે કે કોઈ સ્પષ્ટ યોજના છે, કોઈ સ્પષ્ટ સમય-મર્યાદા નથી અથવા અમે પહેલાં કરતાં વધુ સુરક્ષિત છીએ.”
તેમજ નેટોમાં અમેરિકાના પૂર્વ રાજદૂત ઈવો ડાલ્ડરે કહ્યું કે ટ્રમ્પના ભાષણથી અનેક મહત્ત્વના પ્રશ્નોના જવાબો મળ્યા નથી. તેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ટ્રમ્પનો દાવો છે કે ઈરાનની પરમાણુ ક્ષમતા, નૌસેના અને મિસાઈલ સિસ્ટમ તબાહ થઈ ગઈ છે, તો પછી અમેરિકા હજુ પણ ઈરાનમાં સેન્ય કાર્યવાહી કેમ કરી રહ્યું છે.
તેમણે બીબીસી સંવાદદાતા સુમી સોમાસ્કંદા સાથે વાત કરતાં કહ્યું કે, “મને લાગતું નથી કે તેનાથી અમે વધુ સુરક્ષિત થયા છીએ… અને મને લાગે છે કે અમેરિકી જનતાના મનમાં પણ આવી જ શંકા છે.” ડાલ્ડરનું કહેવું છે કે આ ભાષણમાં ટ્રમ્પે નેટો સહયોગીઓ સામે સખત વલણ અપનાવ્યું નથી અને ગઠબંધનમાંથી બહાર નીકળવાની ધમકીઓને પણ ફરીથી નથી આપી, પરંતુ શક્યતા છે કે તેઓ પછીથી સોશિયલ મીડિયા પર આવું વલણ ફરી દેખાડી શકે છે.
આ પણ વાંચો – ગુજરાત પોલીસમાં મોટા પરિવર્તન : 35 અધિકારીઓને આંતરિક બદલી અને વધારાના ચાર્જ સોંપાયા
