આણંદ : ભ્રષ્ટાચાર આચરીને કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ ઊભી કરનાર આણંદના પૂર્વ અધિક કલેક્ટર (RAC) કેતકી વ્યાસની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રૂ. ૩.૫૬ કરોડની અપ્રમાણસર મિલકત વસાવવાના ચકચારી કેસમાં ACB ની વિશેષ અદાલતે કેતકી વ્યાસની જામીન અરજી આકરી ટિપ્પણીઓ સાથે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવા આર્થિક ગુનાઓની સમાજ પર વ્યાપક અને નકારાત્મક અસર પડે છે.
કોર્ટનું કડક અવલોકન અને આકરી ટિપ્પણીઓ
જામીન અરજી નામંજૂર કરતા વિશેષ અદાલતે અત્યંત ગંભીર અવલોકનો કર્યા હતા:
તંત્ર પરથી વિશ્વાસ ઉઠે છે: આર્થિક અને ગેરકાયદે સંપત્તિના ગુનાઓ સીધી રીતે પ્રજાના સરકારી તંત્ર પરના વિશ્વાસને મોટું નુકસાન પહોંચાડે છે.
ભાગી જવાની શક્યતા: કેતકી વ્યાસ મહેસૂલી કાયદાથી સારી રીતે વાકેફ એવા વર્ગ-૧ ના જવાબદાર અધિકારી હોવા છતાં, તેઓ લાંબા સમય સુધી ACB ની તપાસથી દૂર રહ્યા હતા. આવા વર્તનને જોતા તેમને જામીન પર મુક્ત કરવાથી ટ્રાયલ વખતે તેમના ભાગી જવાની શક્યતા નકારી શકાય નહીં.
અધિકૃતતા વિનાના દસ્તાવેજો: અરજદારે આવક અને રોકાણના જે દસ્તાવેજો રજૂ કર્યા હતા, તેના પર અરજદાર કે CA ના કોઈ સહી-સિક્કા ન હોવાથી કોર્ટે તેને હાલ પૂરતા માન્ય રાખવાનો ઇનકાર કર્યો હતો.
કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી: વિવિધ સ્થળોએ ખરીદેલી બેનામી મિલકતો અને બેંક વ્યવહારોના મૂળ સુધી પહોંચવા માટે આરોપી મહિલાની કસ્ટોડિયલ પૂછપરછ અત્યંત જરૂરી હોવાનું કોર્ટે નોંધ્યું છે.
આગોતરા જામીન રદ થતાં CID ક્રાઈમે કરી હતી ધરપકડ
પૂર્વ RAC કેતકી વ્યાસ સામે રૂ. ૩.૫૬ કરોડ જેટલી માતબર રકમની મિલકતો પોતાના અને સગા-સંબંધીઓના નામે ગેરકાયદેસર રીતે વસાવી હોવાનો ગુનો ACB માં દાખલ થયો હતો. ધરપકડ ટાળવા માટે તેમણે લાંબા સમય સુધી પોલીસને હંફાવી હતી અને સેશન્સ તેમજ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. બંને કોર્ટમાંથી અરજી રદ થયા બાદ અંતે CID ક્રાઈમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ હાલ અત્યંત નાજુક તબક્કે છે અને ચાર્જશીટ ફાઈલ થવાની બાકી છે.
કેતકી વ્યાસના બચાવની દલીલો જે કોર્ટે નકારી કાઢી
પોતાને નિર્દોષ ગણાવી દાવો કર્યો કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને તપાસની મંજૂરી મળ્યાના ૨ વર્ષ અને ૮ મહિના પછી ફરિયાદ નોંધાઈ છે.
વિરમગામમાં રહેતા માતા-પિતા અલગ આવક અને રોકાણ ધરાવતા હોવાની દલીલ કરી.
પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પતિની તપાસ સમયગાળા દરમિયાનની આશરે રૂ. ૮૯ લાખની આવક ACB એ ધ્યાને ન લીધી હોવાનો આક્ષેપ કર્યો.
ACB દ્વારા ગણવામાં આવેલી ૬૮.૮૪% ની રકમ માત્ર બજાર કિંમતના આધારે ગણેલી કાલ્પનિક અને ભૂલભરેલી ગણતરી હોવાનો બચાવ રજૂ કર્યો હતો. જોકે, કોર્ટે પ્રથમ દર્શનીય ગુનામાં સંડોવણી જણાતી હોવાથી જામીન આપ્યા ન હતા.
આ પણ વાંચો – નેતાઓ અને કંપનીઓની મિલીભગત? ધોળકામાં 11મા દિવસે આંદોલન આક્રમક, ભાજપના ધારાસભ્યને જનતાની સીધી ચીમકી
