અમદાવાદ : સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ વસંત ગજેરા અને તેમના ભાઈઓ વિરુદ્ધ ચાલી રહેલા 1900 કરોડ રૂપિયાના મોટા છેતરપિંડી અને ફોર્જરી કેસમાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે ગજેરા બંધુઓ દ્વારા કરાયેલી એફઆઈઆર રદ કરવાની અરજીને ફગાવી દીધી છે અને સ્પષ્ટ કહ્યું છે કે પ્રાથમિક પુરાવાઓ જોતાં તપાસ અટકાવવી ન્યાયના હિતમાં નથી.
ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલે આરોપ લગાવ્યો છે કે ગજેરા બંધુઓએ મસમોટું કૌભાંડ આચર્યું છે. તેમણે બોગસ ડિજિટલ સહીઓનો ઉપયોગ કરીને ખાનગી કંપનીમાં ફરિયાદીનો 43 ટકા હિસ્સો ઘટાડીને માત્ર 4.02 ટકા કરી નાખ્યો હતો. આ ઉપરાંત મિલેનિયમ-2 અને મિલેનિયમ-4 ટેક્સટાઈલ માર્કેટની દુકાનો વેચીને અંદાજે 2085 કરોડ રૂપિયા મેળવ્યા હતા, જેમાંથી માત્ર 157 કરોડ રૂપિયા ચેકથી દર્શાવ્યા હતા.
આરોપીઓ પર ₹1928 કરોડની રોકડ ઉચાપતનો પણ ગંભીર આરોપ છે. ફરિયાદીના પરિવારના સભ્યોની બનાવટી સહીઓ કરીને તેમને ડિરેક્ટર પદ પરથી હટાવી દેવાયા હતા અને ખોટા દસ્તાવેજો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC)માં રજૂ કરાયા હતા.
હાઈકોર્ટનું સ્પષ્ટ વલણ
ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે અને પુરાવાઓમાં આરોપીઓની ગુનાઇત સંડોવણી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આરોપીઓ વિરુદ્ધ IPCની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હોવાથી, આ તબક્કે તપાસ રોકવી યોગ્ય નથી.
આ કેસની તપાસ હાલમાં સુરત પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના આ નિર્ણય બાદ હવે ગજેરા બંધુઓ વિરુદ્ધની તપાસ વધુ તેજ બનશે અને ટૂંક સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. કોર્ટના આ ચુકાદા પછી ગજેરા બંધુઓએ હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી છે.
આ પણ વાંચો – ક્રૂડ 112 ડોલરે પહોંચ્યું : ઈરાન-કતાર હુમલાથી વૈશ્વિક બજારોમાં સુનામી, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યું
