ગાંધીનગર : ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) અમલમાં લાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. UCCના ડ્રાફ્ટ અને ભલામણો તૈયાર કરવા માટે રચાયેલી ખાસ કમિટીએ આજે (17 માર્ચ) પોતાનો અંતિમ અને વિસ્તૃત રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપી દીધો છે. આ રિપોર્ટ સુપરત થતાં જ કાયદો બનાવવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે.
રાજ્ય સરકારે 4 ફેબ્રુઆરી 2025ના રોજ આ કમિટીની રચના કરી હતી. છેલ્લા એક વર્ષ દરમિયાન કમિટીએ વિવિધ ધર્મ, જ્ઞાતિના અગ્રણીઓ, કાયદાકીય નિષ્ણાતો અને સામાન્ય લોકોના અભિપ્રાયો લીધા હતા. હવે 17 માર્ચે કામકાજ સલાહકાર કમિટીની બેઠકમાં આ રિપોર્ટ પર ચર્ચા થશે અને સરકાર 4 વિધેયકો લાવવાની તૈયારી કરી રહી છે.
સમાન નાગરિક સંહિતા શું છે?
UCC એવો કાયદો છે જે દેશના તમામ ધર્મ અને સમુદાયો માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને સંપત્તિ વહેંચણી જેવા પારિવારિક મુદ્દાઓમાં એક સમાન નિયમ લાગુ કરે છે. હાલમાં વિવિધ ધર્મો માટે અલગ-અલગ કાયદા છે, જેને UCC એક કરવાનો પ્રયાસ કરે છે. સંવિધાનની કલમ 44 પણ રાજ્યને આ દિશામાં પ્રયાસ કરવાની સૂચના આપે છે.
UCC અમલમાં આવ્યા બાદ શું ફેરફાર થશે
લગ્ન અને છૂટાછેડાના નિયમો બધા માટે સમાન થશે
છૂટાછેડા વગર બીજા લગ્ન કરવા પર પ્રતિબંધ
મિલકત વહેંચણીમાં પુત્રીઓને સમાન અધિકાર
લગ્નની લઘુત્તમ વય મર્યાદા બધા માટે એકસરખી
ધાર્મિક માન્યતાઓ, પૂજા, ખાનપાન અથવા પોશાક પર કોઈ અસર નહીં પડે
ઉત્તરાખંડ સરકારે પહેલેથી જ UCC અમલમાં મૂક્યો છે અને તેમાં લગ્ન-નિકાહ, છૂટાછેડા-તલાક, સંપત્તિ, પુત્રીઓના અધિકારો અને લિવ-ઇન રિલેશનશિપની નોંધણી જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. આદિવાસી વિસ્તારોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ગુજરાત સરકાર હવે આ રિપોર્ટના આધારે કાયદો તૈયાર કરવાની પ્રક્રિયા તેજ કરશે. આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્યમાં તમામ નાગરિકો માટે પારિવારિક કાયદાઓમાં સમાનતા આવશે.
આ પણ વાંચો – ધાર્મિક ઓળખ અને આરક્ષણ વચ્ચેનો ટકરાવ: અદાલતો શું કહી રહી છે?
