નવી દિલ્હી: દર્દીઓની સુરક્ષા અને દવાઓના થઈ રહેલા બેફામ દુરુપયોગને અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, હવેથી ખાંસી (કફ) સહિતના તમામ પ્રકારના સિરપ ડૉક્ટરની ચિઠ્ઠી (પ્રિસ્ક્રિપ્શન) વિના નહીં મળે. એટલે કે હવે કોઈપણ મેડિકલ સ્ટોર પરથી કફ સિરપ કે અન્ય પ્રવાહી દવાઓ (લિક્વિડ મેડિસિન) ખરીદવા માટે ડૉક્ટરની સલાહ લેવી ફરજિયાત બની ગઈ છે.
શું છે નવો કાયદો અને કયો ફેરફાર કરાયો?
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, દેશમાં ‘ડ્રગ્સ (5th Amendment) રૂલ્સ, 2026’ લાગુ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધી ‘ડ્રગ્સ રૂલ્સ, 1945’ ના ‘શેડ્યૂલ K’ (Schedule K) હેઠળ કેટલીક દવાઓ એવી હતી જેને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના પણ સીધી મેડિકલ સ્ટોર પરથી ખરીદી શકાતી હતી. જેને સામાન્ય ભાષામાં OTC (Over-The-Counter) દવાઓ કહેવાય છે.
પરંતુ નવા સુધારા અંતર્ગત સરકારે આ ‘શેડ્યૂલ K’ માંથી ‘Syrups’ શબ્દ હટાવી દીધો છે. જેના કારણે હવે કોઈ પણ સિરપ OTC કેટેગરીમાં રહેશે નહીં અને તેને ખરીદવા માટે પ્રિસ્ક્રિપ્શન જોઈશે જ.
આ આકરો નિર્ણય લેવા પાછળના મુખ્ય કારણો
સરકારના આ કડક નિર્ણય પાછળ દર્દીઓની સુરક્ષા અને દેશમાં વધી રહેલો ડ્રગ્સનો દુરુપયોગ જવાબદાર છે. છેલ્લા કેટલાક સમયથી કોડીન (Codeine) યુક્ત કફ સિરપનો નશા માટે મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો હતો. આ ઉપરાંત અન્ય ગંભીર કારણો નીચે મુજબ છે:
ઓવરડોઝનું જોખમ: જાણકારીના અભાવે લોકો સિરપનો વધુ પડતો ડોઝ લઈ લેતા હોય છે, જે કિડની અને લીવરને નુકસાન પહોંચાડે છે.
બાળકો પર જોખમ: વાલીઓ દ્વારા ડૉક્ટરની સલાહ વિના બાળકોને અપાતા ખોટા ડોઝને કારણે આડઅસરોનું પ્રમાણ વધ્યું હતું.
નકલી અને મિલાવટી સિરપ: તાજેતરના વર્ષોમાં વૈશ્વિક સ્તરે (ગામ્બિયા, ઉઝબેકિસ્તાન વગેરેમાં) નકલી અને ઝેરી કફ સિરપ પીવાથી બાળકોના મોતની ઘટનાઓ સામે આવી હતી, જેને પગલે ગુણવત્તા જાળવવી પડકારરૂપ બની હતી.
સિંગલ-યુનિટ પેકિંગ: 1 જાન્યુઆરી 2027 થી બદલાશે આખું માળખું
પ્રિસ્ક્રિપ્શનના નિયમની સાથે સરકારે પેકેજિંગમાં પણ મોટો ફેરફાર કર્યો છે. હવેથી તમામ પ્રકારની સિરપ અને લિક્વિડ દવાઓ મોટી બોટલની જગ્યાએ માત્ર ‘સિંગલ-યુનિટ પેક’ માં જ વેચી શકાશે.
દવાઓ 5 ml, 10 ml જેવા નાના અને એક જ વાર ઉપયોગમાં લઈ શકાય તેટલા પેકિંગમાં જ મળશે.
આ નવો નિયમ 1 જાન્યુઆરી, 2027 થી સમગ્ર દેશમાં લાગુ થશે.
ખુલ્લી મોટી બોટલોમાં દવા ખરાબ થવાની અને ઓવરડોઝની સંભાવના વધુ રહેતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. જોકે, ફાર્મા કંપનીઓને તેમનો જૂનો સ્ટોક વેચવા માટે 6 મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો છે.
મેડિકલ સ્ટોર્સને કડક ચેતવણી અને નિયમના ફાયદા
આ નિયમ લાગુ થયા બાદ મેડિકલ સ્ટોર્સના સંચાલકો માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના સિરપ વેચવી ગુનો ગણાશે અને ઉલ્લંઘન કરવા પર લાઇસન્સ રદ થવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. આ નવા નિયમોથી ભવિષ્યમાં ઓવરડોઝના જોખમો ઘટશે, બાળકો અને વૃદ્ધોની સુરક્ષા વધશે, દવાની ઉચ્ચ ગુણવત્તા જળવાઈ રહેશે અને ભેળસેળનું જોખમ સાવ નહિવત થઈ જશે.
આ પણ વાંચો – મેટ્રિમોનિયલ સાઇટ પર ‘આદિત્ય પટેલ’ બની વિધવાઓને ફસાવતો કરીમ સિપાઈ ઝડપાયો
