પશ્ચિમ એશિયામાં ઉદ્ભવતા તણાવનો ધુમાડો માત્ર તેલના ટાંકરો સુધી મર્યાદિત રહેતો નથી, તેની અસર સીધી ભારતીય રસોડા સુધી પહોંચી જાય છે. આજે પણ ભારત પોતાના રસોડા માટે જરૂરી એલપીજીનો મોટો હિસ્સો આયાત કરે છે અને તેમાંથી પણ મોટાભાગનો પુરવઠો પશ્ચિમ એશિયાથી આવે છે. એટલે ભારતના 33 કરોડથી વધુ પરિવારોનું રોજિંદું ભોજન વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓ પર આધારિત બની જાય છે, જે કોઈ પણ રીતે સ્થિર અને સુરક્ષિત વ્યવસ્થા નથી.
વર્ષ 2016માં શરૂ થયેલી પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના (PMUY)એ ગરીબ પરિવારોને ધૂમાડાવાળા પરંપરાગત ચૂલાથી મુક્ત કરી ગેસ સુધી પહોંચાડ્યો. આ એક મોટી સામાજિક અને આરોગ્યલક્ષી ક્રાંતિ હતી. પરંતુ હવે સમય આવી ગયો છે કે આ ક્રાંતિને આગળ વધારી નવી દિશામાં વિચારવું પડશે. તે દિશા છે ઇલેક્ટ્રિક કુકિંગ.
તે સમયગાળા દરમિયાન ભારતનું વીજળી તંત્ર એટલું મજબૂત નહોતું કે રસોડાનું ભાર વહન કરી શકે. પરંતુ આજે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. શહેરોમાં 23 કલાક અને ગામડાઓમાં 22 કલાક સુધી વીજ પુરવઠો સામાન્ય બની ગયો છે. દેશે 250 ગિગાવોટ જેટલી પીક ડિમાન્ડ પણ સફળતાપૂર્વક સંભાળી છે. એટલે હવે રસોડાને ગેસ પર જ નિર્ભર રાખવું બદલાતી વાસ્તવિકતાથી આંખ મીંચવા જેવું છે.
હકીકતમાં એલપીજી હવે માત્ર ઇંધણ નથી, તે એક મોંઘો સોદો બની રહ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વિક્ષેપથી ટ્રાન્સપોર્ટ અને ઇન્શ્યોરન્સ ખર્ચ વધે છે, જેનો સીધો અસર ગ્રાહક પર પડે છે. સરકારે બજાર મુજબ ₹135નો વધારો શક્ય ગણાવ્યો હતો, પરંતુ માત્ર ₹60નો જ વધારો કર્યો. બાકીનો ભાર ક્યાંક સિસ્ટમમાં જ દબાઈ રહ્યો છે. આ લાંબા ગાળે ટકાઉ નથી.
બીજી તરફ વીજળીનો સ્ત્રોત મોટાભાગે દેશની અંદર જ છે. કોયલા આધારિત ઊર્જા સાથે સાથે સોલાર અને પવન ઊર્જાનો હિસ્સો ઝડપથી વધી રહ્યો છે. એટલે રસોડાની ઊર્જા જરૂરિયાતને આયાતથી આંતરિક ઉત્પાદન તરફ ખસેડવાનો એક સારો અવસર છે.
ટેક્નોલોજી પણ હવે આ પરિવર્તનને સમર્થન આપે છે. ઇન્ડક્શન સ્ટોવ અને ઇલેક્ટ્રિક પ્રેશર કુકર વધુ કાર્યક્ષમ, ઝડપી અને સ્વચ્છ છે. ગેસની સરખામણીએ ઇન્ડક્શન 85 થી 90 ટકા ઊર્જા કાર્યક્ષમતા આપે છે, જ્યારે ગેસ લગભગ 55 ટકા સુધી મર્યાદિત રહે છે. એટલે ઓછા ખર્ચે વધુ અસરકારક રસોઈ અને તે પણ ધૂમાડા વગર.

તો પછી પ્રશ્ન એ છે કે આ પરિવર્તન હજી સુધી વ્યાપક કેમ બન્યું નથી.
જવાબ છે વર્તણૂક અને નીતિ. ભારતના રસોડામાં ટેક્નોલોજી સાથે લાગણી અને વિશ્વાસ પણ જોડાયેલા છે. ગેસની જ્યોત દેખાય છે એટલે વિશ્વાસ છે, જ્યારે વીજળી અદૃશ્ય છે એટલે સંકોચ છે. આ માનસિકતા બદલવા માટે સરકારને સ્પષ્ટ સંકેતો આપવા પડશે.
ગિવ ઇટ અપ અભિયાનની જેમ હવે સ્વિચ ટુ ઇલેક્ટ્રિક અભિયાનની જરૂર છે. શહેરી અને સક્ષમ વર્ગને પ્રોત્સાહિત કરવું જોઈએ કે તેઓ ગેસનો ઉપયોગ ઓછો કરે અને ઇલેક્ટ્રિક વિકલ્પો અપનાવે. સાથે સાથે ગેસ સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમયગાળો વધારવો, ખાસ કરીને ગેર ઉજ્જવલા ગ્રાહકો માટે એક નીતિગત સંકેત આપી શકે છે.
મધ્યગાળામાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના હેઠળ ઇલેક્ટ્રિક કુકિંગ સાધનોને સામેલ કરવાથી સ્થાનિક ઉત્પાદન વધશે, ખર્ચ ઘટશે અને બજારમાં સસ્તા વિકલ્પો ઉપલબ્ધ થશે.
પરંતુ સૌથી મોટી જવાબદારી તે 10 કરોડ ઉજ્જવલા લાભાર્થીઓ માટે છે, જેઓ માટે દરેક નવી ટેક્નોલોજી એક ખર્ચનો પ્રશ્ન છે. અહીં ફરીથી સબસિડી, જાગૃતિ અને વ્યવહાર પરિવર્તનનો સમન્વય જરૂરી છે, જે રીતે ઉજ્જવલા સફળ થઈ હતી. આખરે ભારતના રસોડાનું ભવિષ્ય એક જ ઇંધણમાં નથી, પરંતુ હાઇબ્રિડ મોડલમાં છે, જ્યાં ગેસ અને વીજળી બંને સાથે કામ કરે. આ માત્ર વિકલ્પ નથી, પરંતુ અનિશ્ચિત દુનિયામાં એક સુરક્ષા કવચ છે.
આ ચર્ચા ગેસ સામે વીજળીની નથી, આ ચર્ચા છે એવા ભારતની, જે પોતાની ઊર્જા, પોતાની અર્થવ્યવસ્થા અને પોતાના રસોડાને પોતાના હાથમાં રાખવા માંગે છે.
અભિષેક પાંડેય
સંપાદક, ગુજરાત એક્સક્લૂસિવ
આ પણ વાંચો – હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાની વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન : જાણો શું કહ્યું
