- ગીરમાં ફરી વળ્યો મોતનો છાયો: CDV અને બેબસિયા વાયરસથી ૮ સિંહોનાં મોત, સરકારની કરોડોની ગ્રાન્ટ છતાં સિંહો અસુરક્ષિત!
ગુજરાતનું ઘરેણું અને સમગ્ર એશિયાનું ગૌરવ એવા ગીરના સિંહો પર ફરી એકવાર ઘાતક બીમારીઓનો કાળો કોપ ઉતર્યો છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમના વિસ્તારોમાંથી આવતા સમાચાર હચમચાવી દેનારા છે. ભૂતકાળમાં સિંહોના અસ્તિત્વ માટે ખતરો બની ચૂકેલા કનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબસિયા જેવા ભેદી રોગચાળાએ ફરી ગીરમાં એન્ટ્રી મારી છે, જેમાં અત્યાર સુધીમાં ૮ થી વધુ સિંહો (૩ સિંહબાળ અને ૫ પુખ્ત) મોતને ભેટ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર વન વિભાગની કામગીરી અને સિંહ સંરક્ષણની વાસ્તવિકતા સામે મોટા પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.
મોતનો સિલસિલો અને તંત્રની દોડધામ
પ્રાથમિક અહેવાલો મુજબ, ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ, ગીર ગઢડા બોર્ડર, બાબરીયા અને જામવાળા રેન્જમાં સિંહોના ટપોટપ મોત થઈ રહ્યા છે. લીલીયા, સાવરકુંડલા અને સરસિયા રેન્જમાં પણ સિંહબાળના મોત નોંધાયા છે. સિંહોમાં નબળાઈ, તાવ, ખોરાક ન લેવો, શ્વાસમાં તકલીફ અને ન્યુરોલોજીકલ સમસ્યાઓ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. હાલમાં ધારીના સરસિયા રેન્જમાંથી ૮ જેટલા સિંહોને શંકાસ્પદ હાલતમાં રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. વેટરનરી નિષ્ણાતોની ટીમો દોડતી થઈ ગઈ છે અને સેમ્પલિંગની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.
અમારું વિશ્લેષણ: કરોડોનો ખર્ચ, છતાં જવાબદારી ‘અદ્રશ્ય’ કેમ?
અહીં સૌથી મોટો અને કડવો સવાલ એ ઊભો થાય છે કે, સરકાર “પ્રોજેક્ટ લાયન” અને સિંહ સંરક્ષણના નામે દર વર્ષે લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. હાઇટેક હોસ્પિટલો, લાયન એમ્બ્યુલન્સ અને ડ્રોન મોનિટરિંગની મોટી મોટી ગુલબાંગો હાંકવામાં આવે છે. છતાં, જ્યારે વાયરસની એન્ટ્રી થાય છે ત્યારે જ તંત્ર કેમ સફાળું જાગે છે?
નિષ્ણાતો કહે છે કે CDV કૂતરાઓ કે અન્ય પ્રાણીઓમાંથી ફેલાય છે અને બેબસિયા બગાઈ (Ticks) દ્વારા ફેલાય છે. જો જંગલના કોર એરિયામાં કરોડો રૂપિયાના સર્વેલન્સ પ્રોજેક્ટ ચાલતા હોય, તો આ ચેપી રોગ સિંહોના ઝુંડ સુધી પહોંચ્યો કેવી રીતે? શું ગ્રાઉન્ડ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ થાય છે? સરકાર લાખો રૂપિયા રોકે છે, ડીપ જંગલમાં ટ્રેકિંગ સિસ્ટમ હોવાના દાવા થાય છે, છતાં સિંહોના મોત બાદ કોઈની સીધી જવાબદારી નક્કી થતી નથી. “જવાબદારી અદ્રશ્ય” રહેવાની આ નીતિ સિંહોના અસ્તિત્વ માટે વાયરસ કરતાં પણ વધુ ખતરનાક છે.
ઇતિહાસમાંથી બોધપાઠ કેમ નહીં?
આ કોઈ પહેલી ઘટના નથી.
૨૦૧૮: દલખાણીયા રેન્જમાં CDV વાયરસે હાહાકાર મચાવ્યો હતો અને ૨૯ થી વધુ સિંહોનો ભોગ લીધો હતો.
૨૦૨૦-૨૧: ધારી અને ખાંભા વિસ્તારમાં બેબસિયા રોગચાળાને લીધે ૧૦ થી વધુ સિંહોના મોત થયા હતા.
ગયા વર્ષે: સિંહ ગણતરી બાદ ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં પણ ૧૫ જેટલા સિંહો બીમારીથી મોતને ભેટ્યા હતા.
વારંવાર ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે, છતાં તંત્ર “પ્રિ-વેન્શન” (રોગ અટકાવવા) ના બદલે માત્ર “રિએક્શન” (રોગ આવ્યા પછીની દોડધામ) મોડમાં જ કામ કરતું દેખાય છે. એશિયાટિક સિંહો માત્ર ગીરમાં જ છે, જો આવી બેદરકારી ચાલુ રહેશે તો વધતી જતી સિંહ વસ્તી માટે આ રોગચાળો કોઈ દિવસ મોટો સફાયો બોલાવી શકે છે.
હાલ વન વિભાગે કોર અને બફર વિસ્તારોમાં ડ્રોન મોનિટરિંગ અને સર્વેલન્સ વધાર્યું છે, પણ જનતા અને પર્યાવરણ પ્રેમીઓ માંગી રહ્યા છે કાયમી ઉકેલ અને જવાબદેહી! શું સરકાર આ સિંહોના મોતની નિષ્પક્ષ તપાસ કરી કસૂરવારો સામે પગલાં લેશે કે પછી ફરી આ ફાઈલ દબાઈ જશે?
આ પણ વાંચો – ડોનાલ્ડ ટ્રમ્પની મુસ્લિમ દેશો પાસે મોટી માંગ: ‘અબ્રાહમ એકોર્ડ્સ’ પર હસ્તાક્ષર કરો, પાકિસ્તાન માટે ‘રેડ લાઇન’?
