ગાંધીનગર : ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ન્યાયતંત્રમાં ફરજ બજાવતા પાંચ જિલ્લા કક્ષાના ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાની ભલામણ કરી હતી, જેને રાજ્યપાલે સ્વીકારી લીધી છે. આ ભલામણને આધારે ગુજરાત સરકારના કાયદા વિભાગે આજે આ પાંચેય ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત જાહેર કરતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના લોઅર જ્યુડિશિયરીમાં ખળભળાટ મચી ગયો છે અને વકીલો તેમજ ન્યાયિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
કયા ન્યાયાધીશોને ફરજિયાત નિવૃત્તિ?
આ નિર્ણયથી તાત્કાલિક અસરથી નિવૃત્ત થનારા પાંચ ન્યાયાધીશોમાં મોરબી, પોરબંદર, મોડાસા અને રાજકોટના ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. આમાંથી મોરબીના બે ન્યાયાધીશો છે.
મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રથમેશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ
મોરબી ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ પ્રશાંત વિનોદરાય જોશી
પોરબંદર ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ અલીહુસૈન મોહીબુલ્લાહ શેખ
મોડાસાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કિર્તીકુમાર જયંતિલાલ દરજી
આ નિર્ણય ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ રૂલ્સ-2005ના રૂલ-21 અને ગુજરાત સિવિલ સર્વિસ (પેન્શન) રૂલ્સ-2002ના રૂલ-10(4) હેઠળ લેવામાં આવ્યો છે. હાઈકોર્ટની ભલામણને આધારે રાજ્યપાલ અને કાયદા વિભાગે તેને સ્વીકારીને આ કડક પગલું ભર્યું છે.
ન્યાયતંત્રમાં ખળભળાટ અને ચર્ચા
એક જ સમયે લોઅર જ્યુડિશિયરીમાંથી એક પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ, બે પ્રિન્સિપાલ જજ સહિત કુલ પાંચ ન્યાયાધીશોને ફરજિયાત નિવૃત્ત કરવાના આ નિર્ણયથી રાજ્યના ન્યાયતંત્રમાં ખાસ કરીને લોઅર કોર્ટમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. વકીલો, ન્યાયિક અધિકારીઓ અને કાનૂની વર્તુળોમાં આ નિર્ણયને લઈને તીવ્ર ચર્ચા ચાલી રહી છે. કેટલાક તેને જાહેર હિત અને ન્યાયતંત્રમાં પારદર્શિતા તથા કાર્યક્ષમતા વધારવાના પ્રયાસ તરીકે જુએ છે, જ્યારે અન્યો તેને અચાનક અને અસામાન્ય પગલું ગણાવી રહ્યા છે.
આ નિર્ણય પછી રાજ્યના ન્યાયતંત્રમાં નવી નિમણૂકો અને બદલીઓની પ્રક્રિયા પણ ઝડપી બનવાની શક્યતા છે. વધુ વિગતો અને પ્રતિક્રિયાઓ મળતાં જ અહેવાલ આપવામાં આવશે.
આ પણ વાંચો – વિધાનસભા પછી અમદાવાદમાં GSEB પરીક્ષાના અંતિમ દિવસે બોમ્બ ધમકીથી ડરનો માહોલ : અગ્રણી શાળાઓને ઈ-મેઈલથી ધમકી
