વડતાલ: સંઘના શતાબ્દી વર્ષ અને શિક્ષાપત્રીના દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પૂજ્ય ડૉ. મોહન ભાગવત સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા તીર્થસ્થાન વડતાલધામે પધાર્યા હતા. અહીં તેમના આગમન નિમિત્તે ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.
અમદાવાદથી વડતાલ પહોંચ્યા બાદ ડૉ. ભાગવત સીધા ગોમતીજીના કિનારે નિર્માણ પામી રહેલા ભારતના સૌથી મોટા સનાતન ધર્મના સંગ્રહાલય તરીકે ઉભરી રહેલા ‘અક્ષર ભુવન’ ખાતે પધાર્યા. ત્યાં પૂજ્ય સંતો અને ઋષિકુમારોની ઉપસ્થિતિમાં પવિત્ર વેદમંત્રોચ્ચાર સાથે સંગ્રહાલયના વિશાળ મંડોવરના ગજેન્દ્ર પીઠિકાનું પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વડતાલ સંસ્થાનના ચેરમેન ડૉ. સંતવલ્લભ સ્વામી, ગઢડા અને જુનાગઢ મંદિરના ચેરમેન તેમજ અગ્રણી દાતાઓ પણ પૂજનવિધિમાં સહભાગી રહ્યા.
ત્યારબાદ ડૉ. ભાગવત ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા નિર્મિત વડતાલના ભવ્ય મંદિરે પહોંચ્યા, જ્યાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. મંદિરે પહોંચતા આસામ, મણિપુર અને ત્રિપુરાના રિયાંગ અને બ્રુ જાતિના બાળકો દ્વારા ‘રાધિકાષ્ટકમ’ મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

વડતાલ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રાણપ્રતિષ્ઠિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિ કૃષ્ણ મહારાજ સહિતના દેવોના દર્શન-પૂજન કર્યા બાદ તેઓ શ્રી હરિમંડપ ખાતે પણ પધાર્યા. આ પવિત્ર સ્થળે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીની રચના કરી હતી અને આજે પણ ત્યાં સહજાનંદી સ્પંદનો અનુભવાય છે.
પછી તેઓ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ સાથે વડતાલના દ્વિશતાબ્દી સભાગૃહમાં પહોંચ્યા, જ્યાં વડતાલ ગાદી અંતર્ગત આવતાં ગઢપુર, ધોલેરા, સાળંગપુર અને જુનાગઢ મંદિરોના ટ્રસ્ટીઓ તેમજ આગેવાન હરિભક્તોએ તેમનું સ્વાગત-અભિવાદન કર્યું.
સભાને સંબોધતા ડૉ. મોહન ભાગવતે જણાવ્યું કે સંઘ જે કાર્ય કરી રહ્યો છે તે ઈશ્વરની પ્રેરણાથી થઈ રહ્યું છે. “કર્તા ઈશ્વર છે. ગોવર્ધન તો પ્રભુએ પોતાની ટચલી આંગળીએ ઉપાડ્યો હતો, આપણે તો માત્ર લાકડી અડાડી રહ્યા છીએ,” એમ તેમણે જણાવ્યું.
તેમણે સનાતન ધર્મને જીવંત અને ધબકતો રાખવા માટે પૂજ્ય સંતોનું વિશેષ યોગદાન ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારતના શાસ્ત્રોમાં રહેલું જ્ઞાન વિશ્વને વિનાશથી બચાવી શકે છે અને હવે આ જ્ઞાન વિશ્વ સાથે વહેંચવાનો સમય આવી ગયો છે. શિક્ષાપત્રીમાં જણાવાયેલા નિયમો અનુસાર જીવન જીવવામાં આવે તો સમાજ અને દેશના વિકાસમાં ચોક્કસ સકારાત્મક પરિવર્તન આવી શકે છે.

કાર્યક્રમનું સંચાલન વડતાલ સંસ્થાનના ચેરમેન ડૉ. સંતવલ્લભ સ્વામીએ કર્યું હતું, જ્યારે સ્વાગત પ્રવચન સત્સંગ મહાસભાના પ્રમુખ પૂજ્ય નૌતમ સ્વામીએ આપ્યું હતું. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે ડૉ. ભાગવતના આગમન બદલ રાજીપો વ્યક્ત કરીને આવનારા ડિસેમ્બરમાં ધોલેરા ખાતે યોજાનારા મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા સત્સંગ સમાજ વતી આમંત્રણ પાઠવ્યું.
કાર્યક્રમમાં સંસ્થાના મુખ્ય કોઠારી પૂજ્ય દેવસ્વામી, એસજીવીપી સંસ્થાના પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, ગઢડા મંદિરના ચેરમેન પૂજ્ય હરિજીવન સ્વામી, જુનાગઢ મંદિરના ચેરમેન પૂજ્ય પી.પી. સ્વામી, સાળંગપુર મંદિરના કોઠારી પૂજ્ય વિવેક સ્વામી સહિત વિવિધ ધામોથી સંતો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા.
આ ઉપરાંત વડતાલ નિશુલ્ક હોસ્પિટલના ટ્રસ્ટીઓ, વડતાલ, જુનાગઢ અને ગઢડા પ્રદેશના આગેવાનો, ગુજરાત સરકારના મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો, અધિવક્તાઓ તેમજ ન્યાય અને પત્રકારત્વ ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને યુવા સ્વયંસેવકો દ્વારા સંભાળવામાં આવી હતી.
આ પણ વાંચો- યુદ્ધના તણાવ વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા : પરિવારોની આંખોમાં હર્ષના આંસુ
