- હાઈકોર્ટના નિર્દેશ બાદ પોલીસને માનવાધિકાર અનુસરવા સૂચના, ગેરવર્તણૂક થાય તો જવાબદારી નક્કી થશે
અમદાવાદ : ગુજરાતમાં આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાના અને તેમને જાહેરમાં શરમજનક રીતે રજૂ કરવાની પોલીસની પ્રથા પર હવે રોક લગાવવામાં આવી છે. ઇન્ચાર્જ DGP કે.એલ.એન. રાવે આ મુદ્દે કડક વલણ અપનાવતા સમગ્ર પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ આરોપીને જાહેરમાં વરઘોડા કાઢવા, માફી મંગાવવાની ફરજ પાડવા અથવા શારીરિક રીતે હેરાન કરવાની પ્રથા સંપૂર્ણપણે બંધ કરવી.
ડીજીપી દ્વારા જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે આરોપીઓ સાથે કોઈપણ પ્રકારનું અમાનવીય વર્તન કરવું સ્વીકાર્ય નહીં હોય. પોલીસ દ્વારા લાકડી-લાતોથી માર મારવો કે જાહેરમાં અપમાનજનક વર્તન કરવું કાયદાની વિરુદ્ધ ગણાશે.
ડીજીપી રાવે ચેતવણી આપી છે કે જો કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી દ્વારા આવા કૃત્યો કરવામાં આવશે તો તેના માટે ઉચ્ચ કક્ષાએ જવાબદારી નક્કી કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ નિર્ણય પાછળ ગુજરાત હાઈકોર્ટના તાજેતરના નિર્દેશને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટે આરોપીઓના માનવાધિકાર અને કાયદેસરની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પોલીસના આવા વલણ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આરોપીઓના જાહેર વરઘોડા અને જાહેરમાં માફી મંગાવવાના બનાવો સામે ચર્ચા ચાલી રહી હતી. આ પ્રથાને લઈ કાયદાકીય અને માનવાધિકારના મુદ્દાઓ ઉઠતા હવે પોલીસ તંત્રને સખત માર્ગદર્શિકા આપવામાં આવી છે.
આ પણ વાંચો – ઇંધણ બચત માટે ગુજરાત પોલીસ સક્રિય, DGPના કડક આદેશ
