અમદાવાદ: ગુજરાતના હાઈવે જાણે રકત રંજિત બન્યા હોય તેમ રવિવારે ત્રણ અલગ-અલગ સ્થળોએ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં કુલ 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પંચમહાલના કાલોલ પાસે વડોદરાના એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે, જ્યારે ગોંડલ અને પાવી જેતપુરમાં પણ માર્ગ અકસ્માતે અનેક પરિવારોમાં માતમ ફેલાવ્યો છે.
1. પંચમહાલ: એક્સપ્રેસ-વે પર વડોદરાના ખીનજી પરિવારને કાળ ભરખી ગયો
પંચમહાલ જિલ્લાના કાલોલ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર પર સૌથી ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી પરત ફરી રહેલો વડોદરાનો ખીનજી પરિવાર પોતાની કારમાં સવાર હતો ત્યારે ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેની બાજુ ફંગોળાઈ હતી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર પાંચમાંથી ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
મૃતકોના નામ: સાજિદ ઈકબાલ ખીનજી (55), ઈલિયાસ ઈકબાલ ખીનજી (50), ઈશાક ઈકબાલ ખીનજી (48) અને રેહાન અજગર ખીનજી (35).
વડોદરાના આ પરિવારના ચાર સભ્યોના સામૂહિક મોતથી સમગ્ર પંથકમાં શોકની લહેર ફરી વળી છે.
2. ગોંડલ: બ્રિજની રેલિંગ સાથે વાન અથડાતા 20 ફૂટ નીચે પટકાયેલા બેના મોત
રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પર મોડી રાત્રે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી વિસાવદરના ધ્રાફળ ડેમ તરફ માછીમારી કરવા જઈ રહેલી એક બોલેરો પીકઅપ વાન બ્રિજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. વાનના પાછળના ભાગે બેઠેલા 16 લોકોમાંથી 6 વ્યક્તિઓ 20 ફૂટ નીચે બ્રિજ પરથી પટકાયા હતા.
આ ઘટનામાં કૃષ્ણનંદન સહની (25) અને રિતેષકુમાર સહની (18) નામના બે યુવકોના ગંભીર ઈજાને કારણે સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
3. પાવી જેતપુર: પાવાગઢથી પરત ફરતા બે મિત્રોને ટ્રેલરે કચડ્યા
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના વંકુટિર ગામ પાસે ત્રીજો અકસ્માત સર્જાયો હતો. મધ્ય પ્રદેશના અલીરાજપુરના બે મિત્રો શૈતાન મેહડા અને રાયમલ મેહડા બાઈક પર પાવાગઢ માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતા એક ટ્રેલરે તેમની બાઈકને અડફેટે લેતા બંને મિત્રોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જીને ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો, જેની પોલીસ અત્યારે શોધખોળ કરી રહી છે.
તમામ ઘટનાઓમાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ દિવસમાં આઠ જિંદગીઓ હોમાતા રાજ્યભરમાં ટ્રાફિક સુરક્ષા અને પૂરપાટ ઝડપે દોડતા વાહનો સામે ફરી સવાલો ઉભા થયા છે.
