લદ્દાખ : પ્રખ્યાત ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને ઈન્જિનિયર સોનમ વાંગચૂકને આજે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમની નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળની પ્રિવેન્ટિવ ડિટેન્શન તાત્કાલિક રદ કરી દીધી છે. આ નિર્ણય પછી તેઓ જોધપુર સેન્ટ્રલ જેલમાંથી બહાર આવી ગયા છે.
સપ્ટેમ્બર ૨૦૨૫માં લદ્દાખમાં રાજ્યના દરજ્જા અને સિક્સ્થ સ્કેડ્યુલની માંગ સાથે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા થઈ હતી. આ પ્રદર્શનમાં ૪ લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં સોનમ વાંગચૂકને NSA હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
ગૃહ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે “યોગ્ય વિચારણા પછી” આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાંગચૂકે NSA હેઠળની મહત્તમ મુદતનો લગભગ અડધો સમય પૂરો કરી લીધો હતો. તેમના વકીલ અને લેહ એપેક્સ બોડીના સભ્યોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે તેઓ આજે જ જેલમાંથી મુક્ત થયા છે.
સોનમ વાંગચૂક કોણ છે?
સોનમ વાંગચૂક લદ્દાખના પ્રખ્યાત પર્યાવરણવાદી અને શિક્ષણ સુધારક છે. તેઓ હિમાલયના પર્યાવરણ અને સ્થાનિક અધિકારો માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. તેમની “આઈસ સ્ટુપા” જેવી પહેલો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
આ નિર્ણય પછી લદ્દાખમાં રાજકીય અને સામાજિક સ્તરે ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાંગચૂકના સમર્થકો હવે તેમની સાથે લદ્દાખના મુદ્દાઓ પર વાતચીતની માંગ કરી રહ્યા છે.
