વેરાવળ : ગુજરાતના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાયેલા ઉના દલિત અત્યાચાર કાંડમાં આખરે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે પરંતુ તે ચુકાદો ઘણા માટે અપૂર્ણ લાગી રહ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટે આજે (17 માર્ચ) પાંચ આરોપીઓને દોષિત ઠેરવીને 5 વર્ષની સજા ફટકારી છે, જ્યારે 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરી દીધા છે. આ ચુકાદો સાંભળતાં જ દલિત સમાજમાં આક્રોશ અને અસંતોષની લહેર ફરી વહેવા લાગી છે.
11 જુલાઈ 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામમાં જે ઘટના બની હતી, તે આજે પણ ગુજરાતના દલિત સમાજના મનમાં તાજી છે. ગાયનું ચામડું કાપવાના આરોપમાં દલિત સમાજના 7 યુવાનોને ગાડી સાથે બાંધીને લાકડીઓ અને પાઈપોથી નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના વીડિયો વાયરલ થતાં જ સમગ્ર દેશમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. ગુજરાતમાં જ 74 હુલ્લડના બનાવો બન્યા હતા, જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને કરોડો રૂપિયાની જાહેર મિલકતને નુકસાન પહોંચ્યું હતું.
આ કેસમાં કુલ 42 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. લાંબી કાનૂની લડાઈ પછી આજે કોર્ટે પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.
રમેશ જાદવ
રાકેશ જોશી
પ્રમોદ ગૌસ્વામી
નાગજી ડાયા
બળવંત ગૌસ્વામી
આ પાંચેયને એટ્રોસિટી એક્ટ હેઠળ 5 વર્ષની સજા અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ 2થી 3 વર્ષની વધારાની સજા સાથે 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત મૃતકોના પરિવારોને વળતર આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
બાકીના 37 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા છે. આમાં 4 પોલીસ અધિકારીઓ પણ સામેલ છે.
આ ચુકાદો સાંભળીને દલિત સમાજમાં ભારે નારાજગી વ્યક્ત થઈ રહી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે “આટલા મોટા અત્યાચાર પછી માત્ર 5ને સજા અને બાકીના 37ને છોડી મૂકવું એ ન્યાય નથી.” પરિવારજનો અને સામાજિક સંગઠનો હવે હાઈકોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો – 20 વર્ષ મુખ્યમંત્રી રહ્યા પછી નીતીશ કુમાર રાજ્યસભા પહોંચ્યા : એનડીએના તમામ ઉમેદવારો વિજયી
