- કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી
ગાંધીનગર : ગુજરાતમાં જાણે ઉનાળાની જગ્યાએ સીધો ચોમાસું જ શરૂ થઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન વિભાગ અને અન્ય આગાહીકારોએ આગામી 29 અને 30 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે આ વરસાદ સાથે ગાજવીજ અને વાવાઝોડાની પણ સંભાવના છે.
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 29 માર્ચે ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જ્યારે 30 માર્ચે વરસાદનો વ્યાપ વધશે અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની આગાહી છે.
અમદાવાદ હવામાન વિભાગના અધિકારી એ.કે.દાસએ જણાવ્યું કે, “25થી 28 માર્ચ સુધી વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેશે. પરંતુ 28 માર્ચથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 29 અને 30 માર્ચે અમુક સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ થઈ શકે છે. 29 તારીખે કચ્છ અને બનાસકાંઠા તથા 30 તારીખે વધુ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.”
માછીમારોને કડક સૂચના
29 માર્ચે કચ્છ અને બનાસકાંઠા તથા આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહીને લીધે માછીમારોને 29 તારીખે દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.
ગરમીનો પ્રકોપ અને તાપમાન
વરસાદની આગાહી વચ્ચે હાલ રાજ્યમાં પવનોની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધ્યો છે. 25થી 28 માર્ચ દરમિયાન રાજ્યભરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની ધારણા છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. 28 માર્ચ પછી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશાથી પવન ફૂંકાશે.
ખેડૂતોમાં ચિંતાનો માહોલ
આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મોટી મુશ્કેલી બની શકે છે. ઉનાળુ પાકો અને બાગાયતી ખેતી પર અસર પડવાની શક્યતા છે. વાવાઝોડા અને કરા સાથે વરસાદ પડે તો ઘઉં, જીરું, રેપીસીડ જેવા પાકોને નુકસાન થઈ શકે છે. ખેડૂતો હાલમાં જ વરસાદની આગાહીને લઈને ચિંતિત છે.
સલાહ અને સાવધાની
હવામાન વિભાગે લોકોને આગાહીને ગંભીરતાથી લેવા અને વાવાઝોડાના સમયે ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. માછીમારો અને ખેડૂતોને તેમના કાર્યક્રમો અનુસાર સાવધાની રાખવી જોઈએ. ગુજરાતમાં માર્ચ મહિનામાં આવું કમોસમી વરસાદ ખેડૂતો માટે વારંવાર મુશ્કેલી ઊભી કરે છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ વર્ગે સાવધાની રાખવી જરૂરી છે.
આ પણ વાંચો – પીએમે અમેરિકાનું નામ પણ ન લીધું, કૃષિ ક્ષેત્ર અમેરિકા માટે ખોલી દીધું : રાહુલ ગાંધી
